ઈરાનના નવા સંરક્ષણ પ્રધાન સૈયદ માજિદ ઇબન અલ-રેઝાના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે. ઈઝરાયલે દાવો કર્યો છે કે ઈરાનના નવા સંરક્ષણ પ્રધાન સૈયદ માજિદ અલ-રેઝા માર્યા ગયા છે. નોંધનીય છે કે સૈયદ માજિદ અલ-રેઝાએ એક દિવસ પહેલા જ આ પદ સંભાળ્યું હતું. રવિવારે ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન અઝીઝ નાસિરઝાદેહનું પણ એક હુમલામાં મોત થયું હતું.
રવિવારે ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાનનું મોત
ઈરાની રાજ્ય ટેલિવિઝને રવિવારે અહેવાલ આપ્યો હતો કે દેશની સંરક્ષણ પરિષદની બેઠકને નિશાન બનાવીને કરવામાં આવેલા હવાઈ હુમલામાં ઈરાનના લશ્કરી વડા અને સંરક્ષણ પ્રધાન માર્યા ગયા હતા. બેઠકમાં હાજર રહેલા જનરલ અબ્દુલ રહીમ મૌસાવી અને સંરક્ષણ પ્રધાન જનરલ અઝીઝ નાસિરઝાદેહ હુમલા દરમિયાન માર્યા ગયા હતા. રવિવારે ઈરાને અર્ધલશ્કરી રિવોલ્યુશનરી ગાર્ડના વડા અને સુરક્ષા સલાહકાર અલી શમખાનીના મૃત્યુની જાહેરાત કરી હતી.
શનિવારે મધ્ય પૂર્વમાં પરિસ્થિતિ વધુ વણસી ગઈ જ્યારે અમેરિકા અને ઇઝરાયલે સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીના કાર્યાલય સહિત ઈરાનના અનેક વિસ્તારો પર હુમલો કર્યો. રવિવારે થયેલા હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર ખામેનીની પણ હત્યા કરવામાં આવી. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના જણાવ્યા અનુસાર ઈરાન તેના પરમાણુ કાર્યક્રમ પર કામ કરવાનું ચાલુ રાખે છે અને અમેરિકા પર હુમલો કરી શકે તેવી મિસાઇલો વિકસાવી રહ્યું છે. એક વિડિઓ સંદેશમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાની લોકોને ખામેનીના શાસન સામે ઉભા થવા અને પોતાની સરકાર બનાવવા અપીલ કરી.
ઈરાનમાં અત્યાર સુધીમાં ઈઝરાયલી અને અમેરિકાના હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 787 લોકો માર્યા ગયા છે. ઈરાની રેડ ક્રેસેન્ટ સોસાયટીએ મંગળવારે આ જાહેરાત કરી. તેણે X પર એક સંદેશ જારી કરીને મૃત્યુઆંક જાહેર કર્યો. ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીના શનિવારે ઈરાન પર ઇઝરાયલી અને અમેરિકાના હવાઈ હુમલામાં મોત થયા હતા. ત્યારબાદ ઈરાનના બદલો લેવાના હુમલાઓએ પશ્ચિમ એશિયામાં સંઘર્ષને વધાર્યો છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ઈરાન પર ભારે અને સચોટ બોમ્બમારો આખા અઠવાડિયા દરમિયાન અથવા જ્યાં સુધી જરૂર પડે ત્યાં સુધી ચાલુ રહેશે.