Business

26/11 ના દ્રશ્યે ‘ધુરંધર’ના સેટ પર રડાવ્યા: અક્ષય ખન્ના અને અર્જુન રામપાલ

પહેલા થિએટર અને પછી ઓટીટી પર સતત જોવાયેલી અને વખણાયેલી આદિત્ય ધરની ફિલ્મ ધુરંધરમાં અક્ષય ખન્ના અને અર્જુન રામપાલે વિલન તરીકે ખાસ્સી લોકપ્રિયતા મેળવી છે. એક ઇન્ટરવ્યુમાં તેમણે આ ફિલ્મમાં વણી લેવાયેલા 26/11ના સીનની વાત શેર કરી છે. એમના મતે ફિલ્મના એક ભાવુક દ્રશ્યે આખી ટીમને અંદરથી ઝંઝોડીને રાખી દીધી હતી. આદિત્ય ધારના દિગ્દર્શનમાં બનેલી આ જાસૂસી થ્રિલર સત્ય ઘટનાઓથી પ્રેરિત હતી અને દેશભક્તિ સાથે આતંકવાદના વિષયને સ્પર્શતી હતી. ફિલ્મમાં ખાસ કરીને 26/11ના હુમલાને આધારે તૈયાર કરાયેલ એક મહત્વપૂર્ણ દ્રશ્યના શૂટિંગ દરમિયાન કલાકારો માટે પરિસ્થિતિ સંભાળવી મુશ્કેલ બની ગઈ હતી.

રણવીર સિંહ, આર. માધવન, અર્જુન રામપાલ, અક્ષય ખન્ના અને સંજય દત્ત જેવા પ્રતિષ્ઠિત કલાકારોએ ફિલ્મમાં મહત્વની ભૂમિકાઓ નિભાવી હતી અને તેમના અભિનયને દર્શકો તથા સમીક્ષકો તરફથી વિશેષ વખાણ મળ્યા હતા. પરંતુ 26/11ના હુમલાને દર્શાવતું દ્રશ્ય શૂટ કરતી વખતે અક્ષય ખન્ના અને અર્જુન રામપાલ પોતાની લાગણીઓ કાબૂમાં રાખી શક્યા નહોતા અને ભાવુક થઈ ગયા હતા. એક મુલાકાત દરમિયાન આર. માધવને જણાવ્યું હતું કે તે દ્રશ્યનું શૂટિંગ પૂર્ણ થયા બાદ અક્ષય અને અર્જુન સંપૂર્ણ રીતે તૂટી પડ્યા હતા. સ્ક્રીન પર તેમના પાત્રો ભલે ઉજવણી કરતા દેખાતા હતા, પરંતુ વાસ્તવિક જીવનમાં તેઓ આ ઘટના યાદ કરીને રડી પડ્યા હતા. માધવનના જણાવ્યા અનુસાર, તે માત્ર અભિનય નહોતો, પરંતુ ભૂતકાળની પીડાદાયક યાદોને ફરીથી જીવંત કરવાનો અનુભવ હતો. આ ઘટનાએ ફિલ્મની સમગ્ર ટીમને સમજાવી દીધું કે તેઓ એક સંવેદનશીલ અને વિશેષ પ્રોજેક્ટનો ભાગ બની રહ્યા છે. બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડ સફળતા મેળવનારી આ ફિલ્મે વિશ્વભરમાં ₹1349 કરોડની કમાણી કરી હતી. હવે દર્શકો તેની સિક્વલ ધુરંધર 2ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ‘ધુરંધર 2’ 19 માર્ચ, 2026ના રોજ રિલીઝ થશે અને તેમાં રહેમાન ડાકુના પાત્રની આગળની સફર દર્શાવવામાં આવશે.

Most Popular

To Top