15 ફેબ્રુઆરીએ ‘શિવજી કી સવારી’, સુરસાગર ખાતે ભવ્ય મહાઆરતીનું આયોજન
(પ્રતિનિધિ), વડોદરા. તા. 7
સંસ્કારીનગરી વડોદરામાં મહાશિવરાત્રીના પવિત્ર પર્વ નિમિત્તે પરંપરાગત અને આસ્થાભરેલી ‘શિવજી કી સવારી’ આ વર્ષે પણ ભવ્ય રીતે આયોજિત થવાની છે. આગામી 15 ફેબ્રુઆરી 2026, રવિવારના રોજ ભગવાન શિવ પરિવાર સાથે નગરચર્યાએ નીકળશે. આ અનોખી યાત્રાના આયોજન માટે શુક્રવારે બેઠક યોજાઈ હતી, જેમાં રૂટ, સમયપત્રક અને ધાર્મિક કાર્યક્રમો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
યોજનાનુસાર બપોરે 3:30 વાગ્યે પ્રતાપનગરના રણમુક્તેશ્વર મહાદેવ મંદિરથી મહાકાય નંદી પર બિરાજમાન શિવ પરિવારની સવારી પ્રસ્થાન કરશે. યાત્રા વાડી, ચોખંડી, માંડવી, ન્યાયમંદિર, માર્કેટ અને દાંડીયાબજાર માર્ગે આગળ વધી સાંજના આશરે 7 વાગ્યે સુરસાગર તળાવ ખાતે પહોંચશે. ત્યાં **સાંજના 7:15 વાગ્યે શ્રી સર્વેશ્વર મહાદેવ (111 ફૂટ પ્રતિમા)**ના સાનિધ્યમાં ભવ્ય મહાઆરતી યોજાશે.
મહાઆરતી બાદ સવારી પરંપરાગત માર્ગે ઉદયનારાયણ મંદિર અને સલાટવાડા થઈ સમાપન પામશે. આ યાત્રામાં શહેરભરમાંથી મોટી સંખ્યામાં શિવભક્તો જોડાય તેવી શક્યતા છે.
બેઠક દરમિયાન મેયર પિન્કીબેન સોનીએ સુરસાગર ખાતે દરરોજ સંધ્યાકાળે નિયમિત આરતીના આયોજનનું સૂચન કર્યું હતું, જેને શિવજી કી સવારી સમિતિના સભ્યોએ આવકાર આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે વર્ષ 2013થી શરૂ થયેલી આ પરંપરાને હવે 13 વર્ષ પૂર્ણ થયા છે. આયોજકો દ્વારા ભવિષ્યમાં આ યાત્રાને જગન્નાથપુરીની રથયાત્રા જેવી ભવ્યતા મળે તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી છે.
મહાશિવરાત્રીના પાવન અવસરે યોજાનારી આ સવારી વડોદરાની ધાર્મિક, સાંસ્કૃતિક ઓળખને વધુ ઉજાગર કરશે એવી ભાવના શિવભક્તોમાં જોવા મળી રહી છે.