હેડક્વાર્ટરના રૂમમાં ગળે ફાંસો ખાઈ લીધો,રહસ્ય અકબંધ
પ્રીતિ પરમાર પાંચ વર્ષથી ભરૂચ LIB શાખામાં ફરજ બજાવતાં હતાં

ભરૂચ,તા.22
ભરૂચ શહેરમાં એક મહિલા પોલીસ કોન્સ્ટેબલે કઠિતપણે આપઘાત કરી લેતા પોલીસ તંત્રમાં હડકંપ મચી ગયો છે. મધરાત્રે ભરૂચ હેડક્વાર્ટર ખાતે આવેલા પોતાના રહેણાંક રૂમમાં યુવતીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે.
મૂળ ભાવનગરની 27 વર્ષીય પ્રીતિ ઉદેસિંહ પરમારના આપઘાતનું કારણ હજુ અકબંધ છે. ઘટનાની જાણ થતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા.બી ડિવિઝન પોલીસની મદદથી મૃતદેહને નીચે ઉતારવામાં આવ્યો હતો. ત્યાર બાદ મૃતદેહને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ મામલે બી ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા આપઘાત પાછળનું સાચું કારણ જાણવા માટે મૃતકના પરિવારજનો અને સહકર્મીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.
બુધવારે પોતાની કચેરીમાં ફરજ દરમિયાન ખુશ ખુશાલ પ્રીતિએ પોતાના સ્ટાફ સાથે પાણીપૂરી ખાધી, સાથે નાસ્તો પણ કર્યો હોવાનું માહિતી મળી છે.ત્યારબાદ અચાનક અંતિમ પગલું કેમ ભર્યું હોય એ હજુ રહસ્ય રહ્યું છે.પોલીસે તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, મૂળ ભાવનગરના તળાજા તાલુકાના બોરલા ગામમાં વતની પ્રીતિ પરમાર છેલ્લાં પાંચ વર્ષથી ભરૂચ પોલીસબેડામાં LCB શાખામાં ફરજ બજાવતાં હતાં. બુધવારે પોતાની ફરજ બજાવીને રૂમમાં જઈ અચાનક ગળે ફાંસો ખાઈ દમ ઘૂંટાવી લીધો છે.ભરૂચ સિવિલમાં તબીબો દ્વારા પેનલ પીએમ કરાઈ રહ્યું છે.પોલીસ બેડામાં મહિલા કર્મીએ ક્યા કારણે છેલ્લું પગલું ભર્યું હોય એ જાણવા હજુ નથી મળ્યું.જો કે રહસ્યમયી બહાર લાવવા માટે પોલીસે કમર કસી છે.