National

બદલાપુરની બાળકીઓનો બદલો લેવા રસ્તા પર ઉતરેલા 300 સામે ફરિયાદ, 40ની ધરપકડ

થાણેઃ મહારાષ્ટ્રના બદલાપુરમાં કિન્ડરગાર્ડનની બે માસૂમ છોકરીઓની યૌન ઉત્પીડનની ઘટના બાદ ખળભળાટ મચી ગયો છે. ઘટના બાદ લોકો રોષે ભરાયા હતા અને રેલવે ટ્રેક બ્લોક કરી દીધો હતો. શાળામાં તોડફોડ કરવામાં આવી હતી, ત્યારબાદ પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. ઈન્ટરનેટ બંધ કરી દેવાયું હતું.

હવે આ સમગ્ર મામલે વિરોધ પ્રદર્શન કરી રહેલા લગભગ 300 લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. પોલીસે 40 થી વધુ લોકોની ધરપકડ કરી છે. થાણે પોલીસનું કહેવું છે કે ધરપકડ કરાયેલા લોકોને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

આ ઘટના અંગે સેન્ટ્રલ રેલ્વે જીઆરપીના ડીસીપી મનોજ પાટીલે કહ્યું કે સ્થિતિ સામાન્ય છે. રેલવેની અવરજવર પણ સામાન્ય છે. હવે કોઈ કલમ લાદવામાં આવી નથી. ઈન્ટરનેટ સેવાઓ થોડા દિવસો માટે સ્થગિત રહેશે, જેથી અફવાઓ ન ફેલાય.

પોલીસના જણાવ્યા અનુસાર, 13 ઓગસ્ટે શાળાના શૌચાલયમાં કિન્ડરગાર્ડનની બે છોકરીઓનું યૌન શોષણ થયું હતું. આ ઘટના ત્યારે સામે આવી જ્યારે એક છોકરીએ તેના માતા-પિતાને 16 ઓગસ્ટે આ ઘટના વિશે જણાવ્યું. આરોપી અક્ષય શિંદેની 17 ઓગસ્ટે ધરપકડ કરવામાં આવી હતી.

યૌન ઉત્પીડન કેસના આરોપી અક્ષય શિંદેને કલ્યાણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જે દરમિયાન મીડિયાને કોર્ટ પરિસરમાં પ્રવેશવા દેવામાં આવ્યો ન હતો. NCP (SCP)ના સાંસદ સુપ્રિયા સુલેએ પાર્ટીના કાર્યકરો સાથે બદલાપુર ઘટના સામે મહારાષ્ટ્ર સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

બદલાપુરમાં શું થયું, સમજો સમગ્ર ઘટના
મંગળવારે મામલો સામે આવ્યા બાદ હજારો લોકો બદલાપુર રેલવે સ્ટેશન પર એકઠા થયા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેના કારણે 12 એક્સપ્રેસ અને મેલ ટ્રેનોના રૂટ બદલવા પડ્યા હતા. 30 લોકલ ટ્રેનોને આંશિક રીતે રદ કરવી પડી હતી અને કેટલીક લાંબા અંતરની ટ્રેનોના રૂટ પણ બદલવામાં આવ્યા હતા.

બદલાપુરમાં વિરોધ હિંસક બન્યો અને ગુસ્સે થયેલા લોકોએ પથ્થરમારો કર્યો અને શાળામાં તોડફોડ કરી. બદલાપુર રેલ્વે સ્ટેશન પાસે એક બસને પણ નુકસાન થયું હતું. પોલીસે નવ કલાક પછી લાઠીચાર્જ કરીને અને રેલવે ટ્રેક સાફ કરીને વિરોધનો અંત લાવ્યો હતો.

Most Popular

To Top