National

વર્ષ-૨૦૨૨ સુધી ભારતમાં ૧ લાખથી વધુ રેલવે ક્રોસિંગોથી મુક્તિ મળશે

વર્ષ-૨૦૨૨ સુધીમાં દેશમાં ૧ લાખથી વધુ ફાટકો દૂર કરવામાં આવશે. જેનાથી કરોડો રૂપિયાનું ઈંધણ અને હજારો માનવ કલાકોની બચત થશે. આ બ્રિજના નિર્માણમાં સૌપ્રથમવાર ફેબ્રિકેટેડ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ બ્રિજના નિર્માણમાં ૧૦૫૦ ટન ફેબ્રિકેટેડ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તેવું ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ તથા ભારત સરકારના રેલવે મંત્રાલય દ્વારા અમદાવાદ શહેરના થલતેજ-શીલજ-રાંચરડા ચાર રસ્તા પર રૂ. ૫૫ કરોડના ખર્ચે નવનિર્મિત ચારમાર્ગીય રેલવે ઓવરબ્રિજનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં ગુરુવારે ઈ-લોકાર્પણ કરતા જણાવ્યું હતું.

અમિત શાહે વધુમાં કહ્યું હતું કે, દેશના તમામ ઘરોમાં વીજળી પહોંચી ચૂકી છે. મહિલાઓને ઉજ્જવલા યોજના હેઠળ ગેસ પૂરો પાડી ધુમાડામાંથી મુક્તિ અપાવી છે. દેશના દરેક ઘરમાં એક બેન્ક એકાઉન્ટ ખૂલી ચૂક્યું છે. આ ઉપરાંત વર્ષ ૨૦૨૨ સુધીમાં દરેક ઘર સુધી પાણીનો નળ પહોંચી જશે.

નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદ દેશમાં ઝડપથી વિકાસ પામી રહેલું શહેર છે, ત્યારે શહેરની ૬૫ લાખની જનતાને તમામ પ્રકારની વ્યવસ્થા-સુવિધા પૂરી પાડવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આ ઓવરબ્રિજ નીચેથી પસાર થતી રેલવે લાઈન પર રોજની ૧૦૦ ટ્રેન પસાર થાય છે. તેના કારણે ઘણાબધા માનવ કલાકો તથા ઇંધણનો વપરાશ થતો હતો. આ વિસ્તાર પણ છેલ્લાં ૧૫ વર્ષમાં ખૂબ ઝડપથી વિકસ્યો છે.

જેથી ટ્રાફિકની પણ સમસ્યા રહેતી હતી, પરંતુ આ ઓવરબ્રિજના નિર્માણથી આ બધી સમસ્યાઓનો અંત આવશે.પટેલે કહ્યું હતુ કે, આ રેલવે ઓવરબ્રિજ સિમેન્ટના સ્લેબના બદલે લોખંડના હેવી ગર્ડરોથી નવી ડિઝાઈનથી બનેલો બ્રિજ છે. જે હજારો ભારેખમ ટ્રકોનો પણ ભાર સહન કરી શકે તે રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે. ભારતમાં આવી માત્ર બે જ સ્ટીલની મિલો છે, જે તેને બનાવે છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top