Madhya Gujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિદ્યાર્થીઓ, દિવ્યાંગોને ટિકિટના દરમાં ૫૦% છુટ

કેવડીયા, તા.3
સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ, એકતા નગરની આઠમી ગર્વર્નિંગ બોડીની બેઠક ચેરમેન મુકેશ પુરીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે યોજાઇ હતી. જેમાં કર્મયોગીઓ અને પ્રવાસીઓના હીતમાં મહત્વપૂર્ણ નિર્ણયૉ લેવામાં આવ્યા છે. આ નિર્ણયોથી પ્રવાસીઓ અને કર્મયોગીઓમાં ખુશી છવાઇ છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસ નિયમન સત્તામંડળ ખાતે વર્ષોથી અલગ-અલગ એજન્સીઓ મારફતે ફરજ બજાવતા ફરજપરસ્ત કર્મયોગીઓની સેવાની કદર કરતા તેમના માસિક વેતન/સ્ટાઇપેન્ડમાં વધારો કરવાનો બહુમુલ્ય નિર્ણય કરવામાં આવ્યો છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે વિશ્વ કક્ષાનું પ્રવાસન સ્થળ બન્યુ છે, ત્યારે શૈક્ષણિક સંસ્થાઓ અને દિવ્યાંગજનોના હિતમાં કામ કરતી સ્વૈચ્છીક સંસ્થાઓ તરફથી આ પ્રકારના પ્રવાસના આયોજન માટે ટિકિટ દરમાં રાહત આપવા માટે અનેકવિધ રજુઆતો મળેલ હતી. જે અંગે ગર્વર્નિંગ બોડીની બેઠકમાં આવા પ્રકારના શૈક્ષણિક પ્રવાસે આવતા સમુહોને ૫૦% સુધીની રાહત આપવા અભુતપૂર્વ નિર્ણય સર્વાનુમતે લેવામાં આવ્યો છે.આ સમુહ પ્રવાસમાં તમામ શાળાઓ અને કોલેજો (સરકારી અને ખાનગી બંને) દ્વારા શૈક્ષણિક પ્રવાસમાં આવતા ગ્રુપના સભ્યો, તમામ દિવ્યાંગ વ્યક્તિઓ અને દિવ્યાંગ કલ્યાણ સાથે સંકળાયેલી સંસ્થાઓનાં પ્રવાસમાં આવતા ગૃપના સભ્ય,તમામ સરકારી અને અર્ધસરકારી તાલીમ સંસ્થાઓ/કેન્દ્રોના શૈક્ષણિક તાલીમ પ્રવાસમાં આવતા ગ્રુપના સભ્યોને એકતા નગરના તમામ આકર્ષણો પર ટિકિટ દરમાં ૫૦% રાહત આપવાનો નિર્ણય શરતોને આધિન કરવામાં આવ્યો છે. આઠમી ગર્વર્નિંગ બોડીની બેઠકમાં ગુજરાતના અગ્રસચિવ સર્વ અશ્વિનિ કુમાર, સંજીવકુમાર,સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલ સહિતના સત્તામંડળના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Most Popular

To Top