Madhya Gujarat

વિદેશ મોકલવાના બહાને 13 વ્યક્તિ સાથે અડધા કરોડની છેતરપિંડી

આણંદ : વિદ્યાનગરમાં શ્રીમદ્દ ઓવરસીઝ કન્સલટન્ટ ચલાવતા પતિ – પત્નીએ ચરોતર ઉપરાંત આસપાસના વિસ્તારના 13 જેટલા વિદેશવાંચ્છુ સાથે વિદેશ મોકલવાના બહાને રૂ.53 લાખ ઉપરાંતની છેતરપિંડી આચરતા ચકચાર મચી ગઈ છે. વિદ્યાનગર પોલીસે આ અંગે દંપતિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદના સાણંદ ખાતે રહેતા વિરોજકુમાર હિતેશકુમાર પટેલ ઇન્ટીરિયલ ડિઝાઇનનું કામ કરે છે. તેઓએ તેમના ભાઇની પત્ની કામીનીબહેનને યુકે મોકલવા માટે સ્ટુડન્ટ વિઝા માટે દોડધામ કરતાં હતાં. જેમાં તેઓએ વિદ્યાનગરના રાધા સ્વામી સામીપ્ય હોમસાયન્સની સામે આવેલા શ્રીમદ્દ ઓવરસીઝ કન્સલટન્ટના શ્રેયસ કે. શાહનો સંપર્ક કર્યો હતો.

આ સંપર્ક દરમિયાન શ્રેયસે કામીનીબહેનના જરૂરી દસ્તાવેજ મંગાવ્યાં હતાં. તેઓની એક બે મુલાકાત બાદ શ્રેયસ કે. શાહ તથા તેમના પત્ની મધુબહેને વિઝા માટેની પ્રોસેસીંગ ફાઇલ ફી તથા યુકેની યુનિવર્સિટીની ફી તથા બીજા ખર્ચ પેટે રૂ. પંદરેક લાખનો ખર્ચ જણાવ્યો હતો અને હું બોલાવું ત્યારે આવી જજો તેમ જણાવ્યું હતું. દરમિયાનમાં 20મી જૂન,22ના રોજ શ્રેયસ કે. શાહે કામીનીબહેનનો ઓફર લેટર આવી ગયો હોવાનું જણાવી યુનિવર્સિટીની ફી પેટે રોકડા રૂ.10.50 લાખ માંગ્યાં હતાં. આથી, વિજયરાજકુમારે તેમને આરટીજીએસ મારફતે રૂ.10.50 લાખ ટ્રાન્સફર કર્યાં હતાં.

જોકે, વિજયકુમાર અને તેનો ભાઇ સાહિલ અવાર નવાર વિઝાની પ્રોસેસ બાબતે પુછપરછ કરતાં હતાં, શ્રેયસે ગલ્લા તલ્લા શરૂ કર્યાં હતાં અને હું તમને અપડેટ આપતો રહિશ અને ઇન્ટરવ્યુનો મેલ આવશે એટલે તેમને જણાવીશ. તેવા બહાના બતાવવા લાગ્યો હતો. છેલ્લા 9મી ઓગષ્ટ,22ના રોજ છેલ્લી વાત થઇ હતી અને મેિડકલ ટેસ્ટ કરાવી લેજો તેવી વાત કરી હતી. જોકે, બાદમાં તેનો મોબાઇલ બંધ થઇ ગયો હતો.

આથી, ચિંતિત વિરાજકુમાર વિદ્યાનગર આવ્યાં હતાં. પરંતુ ઓફિસને તાળા હતાં. સ્ટાફના માણસનો પણ મોબાઇલ બંધ આવતો હતો. આમ છેતરાયાં હોવાનું જણાતાં વિરાજકુમાર પટેલે વિદ્યાનગર પોલીસ મથકે ફરિયાદ આપી હતી. પ્રાથમિક તપાસમાં જ વિરાજકુમાર ઉપરાંત આણંદ અને ખેડા જિલ્લાના પણ અન્ય 12 વ્યક્તિ સાથે મળી કુલ 53 લાખની છેતરપિંડી આચરી હોવાનું ખુલ્યું હતું. આ અંગે વિદ્યાનગર પોલીસે શ્રેયસ કુલીન શાહ (રહે.વલાસણ) અને તેમના પત્ની મધુબહેન શાહ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top