ગાઝા શહેરમાં બુધવારે હજારો લોકોની હાજરી વચ્ચે 112 પેલેસ્ટિનિયન નાગરિકોના સામૂહિક અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. આ તમામ મૃતદેહો લગભગ 3 વર્ષ સુધી કાટમાળ નીચે દટાયેલા રહ્યા હતા. બચાવ ટીમોએ તાજેતરમાં કાટમાળમાંથી મૃતદેહોને બહાર કાઢ્યા બાદ તેમના પરિવારજનોને અંતિમ વિદાય આપવાની તક મળી હતી. આ મૃતકો અબુ શરીઆ અને અલ-હસાયના પરિવારના સભ્યો હતા. તેઓ ગાઝાના સાબ્રા વિસ્તારમાં થયેલા ઇઝરાયેલી હુમલા બાદ પોતાના ઘરના કાટમાળ નીચે દટાઈ ગયા હતા.
કાટમાળમાંથી બહાર કાઢાયા 112 મૃતદેહ
બચાવ કામગીરી દરમિયાન 112 મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા, જેના પછી સામૂહિક નમાઝ-એ-જનાઝા અદા કરવામાં આવી અને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. પેલેસ્ટિનિયન અધિકારીઓના જણાવ્યા અનુસાર, નવેમ્બર 2023ના હુમલામાં આ બંને પરિવારોના કુલ 308 લોકોના મોત થયા હતા. તેમાં 40 બાળકો, 30 મહિલાઓ અને 7 દિવ્યાંગ વ્યક્તિઓનો સમાવેશ થતો હતો. હજુ પણ આશરે 157 લોકો કાટમાળ નીચે દટાયેલા હોવાની અથવા ગુમ હોવાની માહિતી સામે આવી છે.
હજારો લોકોની હાજરીમાં નીકળી અંતિમયાત્રા
અંતિમયાત્રા દરમિયાન પેલેસ્ટિનિયન ધ્વજથી ઢંકાયેલી કોફિનોની લાંબી કતારો જોવા મળી હતી. મૃતકોના ફોટોગ્રાફ સાથેના મોટા બેનરો પણ લોકો હાથમાં લઈને ચાલ્યા હતા. આ દરમિયાન ગાઝામાં ચાલી રહેલા સંઘર્ષને સમાપ્ત કરવાની માંગ પણ ઉઠી હતી.
સંઘર્ષ શરૂ થયા બાદનો સૌથી મોટો અંતિમ સંસ્કાર
પેલેસ્ટિનિયન સિવિલ ડિફેન્સે આ ઘટનાને ઓક્ટોબર 2023માં સંઘર્ષ શરૂ થયા બાદ ગાઝામાં યોજાયેલા સૌથી મોટા સામૂહિક અંતિમ સંસ્કારોમાંનો એક ગણાવ્યો છે. સંસ્થાના પ્રવક્તા મહમૂદ બસાલે જણાવ્યું કે લાંબા સમય સુધી પોતાના સ્વજનોના મૃતદેહોની રાહ જોતા પરિવારો માટે આ ક્ષણ અત્યંત ભાવનાત્મક રહી હતી. પેલેસ્ટિનિયન નેશનલ ઇનિશિયેટિવના સેક્રેટરી જનરલ મુસ્તફા બરઘૂતીએ દાવો કર્યો કે આ પેલેસ્ટિનિયન ઇતિહાસના સૌથી મોટા અંતિમ સંસ્કારોમાંનો એક હોઈ શકે છે.
હજુ પણ અનેક પરિવારો રાહ જોઈ રહ્યા છે
માનવાધિકાર કાર્યકરો અને સંશોધકોએ જણાવ્યું કે હજુ પણ હજારો પરિવારો પોતાના સ્વજનોના મૃતદેહોની રાહ જોઈ રહ્યા છે. યુરો-મેડ હ્યુમન રાઇટ્સ મોનિટરના અધ્યક્ષ રામી અબ્દૂએ જણાવ્યું કે માત્ર અબુ શરીઆ પરિવારના જ આશરે 200 સભ્યો હજુ પણ કાટમાળ નીચે હોવાની આશંકા છે. લાંબા સમયને કારણે ઘણા મૃતદેહોની ઓળખ કરવી પણ મુશ્કેલ બની શકે છે. કેટલાક કાર્યકરોએ જણાવ્યું કે ભારે મશીનોના અભાવે પરિવારોને પોતાના સ્વજનોની શોધ હાથથી કાટમાળ હટાવીને કરવી પડી રહી છે.
પુનર્નિર્માણ અને બચાવ કામગીરી ઝડપી કરવાની માંગ
અંતિમ સંસ્કાર એવા સમયે યોજાયા જ્યારે ગાઝામાં સંઘર્ષ અને સૈન્ય કાર્યવાહી અંગે તણાવ યથાવત છે. અહેવાલો મુજબ, ઓક્ટોબરમાં જાહેર કરાયેલા યુદ્ધવિરામ છતાં ત્યારબાદ થયેલા હુમલાઓમાં ઓછામાં ઓછા 1250 પેલેસ્ટિનિયનના મોત થયા છે અને 4110થી વધુ લોકો ઘાયલ થયા છે.
પેલેસ્ટિનિયન ક્લાન્સ એન્ડ ફેમિલીઝ એસેમ્બલીએ પશ્ચિમ દેશોના સમર્થનવાળા બોર્ડ ઓફ પીસને કાટમાળ નીચે ફસાયેલા લોકોના મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી ઝડપી બનાવવા, કાટમાળ દૂર કરવા અને ગાઝાના પુનર્નિર્માણની પ્રક્રિયા આગળ વધારવાની અપીલ કરી છે. 112 લોકોને આખરે અંતિમ વિદાય મળી હોવા છતાં હજુ પણ અનેક પરિવારો પોતાના ગુમ થયેલા સ્વજનોની રાહ જોઈ રહ્યા છે.