Madhya Gujarat

વડગામમાં 10 હજાર મેન્ગ્રુવનું વાવેતર કરાશે

આણંદ : વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આયોજીત મેન્ગ્રુવ ઇનિશિયેટિવ ફોર શોરલાઇન હેબિટ્સ એન્ડ ટેન્ગીબલ ઇનક્મ્સ (MISHTI) કાર્યક્રમનો રાજ્યના 11 જિલ્લાઓની અંદાજીત 25 સાઇટ્સ પરથી પ્રારંભ કરવામાં આવશે. આ 11 જિલ્લાઓમાં આણંદ ઉપરાંત અમદાવાદ, કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, નવસારી, ભરૂચ, ભાવનગર, મોરબી, વલસાડ અને સુરત જિલ્લાનો સમાવેશ થાય છે કે જ્યાં મેન્ગ્રુવનું વાવેતર કરવામાં આવશે. આણંદના દરિયાકાંઠે આવેલા વડગામ ખાતે મેન્ગ્રુવનું વાવેતર કરવામાં આવશે.

સમગ્ર વિશ્વમાં 5મી જૂનના દિવસને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવાનો છે. સમયની સાથે વધતાં જતાં પ્રદૂષણથી ઉભી થતી આડઅસરો તથા સમસ્યાઓને નાથવાનો એકમાત્ર ઉપાય છે પર્યાવરણનું સંરક્ષણ. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રાજ્યભરમાં વિવિધ સ્થળોએ અનેકવિધ કાર્યક્રમો હાથ ધરાનાર છે.

આ કાર્યક્રમમાં મેન્ગ્રુવ ઇનિશિયેટિવ ફોર શોરલાઇન હેબિટ્સ એન્ડ ટેન્ગીબલ ઇનક્મ્સ (MISHTI) કાર્યક્રમમાં જૈવવિવિધતા, કાર્બન સ્ટોક, પર્યાવરણીય પર્યટનની તકો અને સ્થાનિક સમુદાયો માટે આવક પેદા કરવા તથા મેન્ગ્રુવના શ્રેષ્ઠ ઉપયોગ સહિત વેટલેન્ડ્સના અનન્ય સંરક્ષણ મૂલ્યોને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે. MISHTI ના અન્ય ઉદ્દેશ્યોમાં પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ દ્વારા વૃક્ષારોપણની તકનીકો, સંરક્ષણ પગલાં, વ્યવસ્થાપન પ્રથાઓ અને સંસાધનોનું એકત્રીકરણ અંગેની શ્રેષ્ઠ પદ્ધતિઓની વહેંચણીનો પણ સમાવેશ થાય છે.

આણંદ જિલ્લાના નાયબ વન સંરક્ષક દ્વારા જણાવ્યા મુજબ, વિશ્વ પર્યાવરણ દિવસ 5મી જુનના રોજ ખંભાત તાલુકાના વડગામ ખાતે મિશ્તી કાર્યક્રમ હેઠળ યોજાનારા કાર્યક્રમમાં મેન્ગ્રુવના વાવેતર સમયે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, સાંસદ મિતેષભાઇ પટેલ, આણંદના સર્વ ધારાસભ્યઓ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે. વડગામ ખાતેના 2 હેક્ટર વિસ્તારમાં વન વિભાગ દ્વારા 5મી મેથી હાથ ધરાયેલા મેન્ગ્રુવના વાવેતર કાર્યમાં 10 હજાર મેન્ગ્રુવના રોપાનું વાવેતર કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ‘મિશન લાઇફ’નો સંદેશ આપી તે અંગેની પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવશે.

મેન્ગ્રુવ (ચેર) દરિયાની ભરતીના મોજાથી કાંઠા વિસ્તારનું ધોવાણ અટકાવે છે
પર્યાવરણના જતનમાં મેન્ગ્રુવ (ચેર) કેટલી અગત્યતની ભૂમિકા ભજવી શકે છે ? તેને ધ્યાને લઇને જ સરકારે મેન્ગ્રુવના વાવેતર માટેના કાર્યક્રમની શરુઆત કરી છે. દરિયાઈ વિસ્તારમા વિવિધ પ્રકારની જીવસૃષ્ટિ ધરાવતું મેન્ગ્રુવ (ચેર) દરિયાની ભરતીના મોજાથી કાંઠા વિસ્તારનું ધોવાણ અટકાવે છે. મેન્ગ્રુવના મૂળ જમીનના ધોવાણથી આવેલા કાંપને અસરકારક રીતે પકડીને ફિલ્ટરનું કામ કરે છે.

ખારાશવાળા સખત દરિયાઈ પવનોને મેન્ગ્રુવ આગળ વધતા અટકાવે છે. મેન્ગ્રુવ મોટા જથ્થામાં પાંદડા ઉત્પન્ન કરે છે, જેમાંથી ઉત્પન્ન થયો સેન્દ્રિય બાયોમાસ દરિયાઈ જીવો માટે ખોરાક તરીકે કામ આવે છે. મેન્ગ્રુવના વૃક્ષો વિવિધ પ્રકારના પક્ષીઓને રહેઠાણ તેમજ સંવર્ધન અને આશ્રયસ્થાન પુરૂ પાડે છે. મેન્ગ્રુવ સ્થાનિક હવામાન સુધારે છે. સ્થાનિક લોકોને બળતણ, ચરિયાણ તેમજ લાકડા મેળવવાનો મેન્ગ્રુવ અગત્યનો સ્ત્રોત છે. ફીશીંગ નેટના ટ્રેનિંગ માટે માછીમારો રાઈઝફોરા અને સીરીઓપ્સના મેન્ગ્રુવ વૃક્ષોની છાલનો ઉપયોગ કરે છે.

Most Popular

To Top