Comments

સમાન નાગરિક ધારો! કાલે આવતો હોય તો આજે આવે!

‘આનંદો, આનંદો. વર્ષોથી જેની રાહ જોતા હતા તે સપનું સિધ્ધ થવાનું હવે હાથવેંતમાં છે!’ હવે દેશમાં સૌ નાગરિકો સમાનપણે અધિકારો ભોગવી શકશે! હવે લગ્નના વરઘોડા પર બેસવાનો સૌને અધિકાર હશે, હવે સૌ મૂછો રાખી શકશે. સમાનપણે ધર્મસ્થાનોમાં પ્રવેશ કરી શકશે! હવે માતા-પિતાની મિલકતમાં દીકરીઓને સમાન હિસ્સો મળશે. જાહેર જીવનમાં સ્ત્રીઓને પુરુષો જેટલી જ તક મળશે! ધર્મ, સામાજિક પરંપરા અને રીત-રિવાજોને નામે અત્યાચાર નહિ થાય! ભેદભાવ નહિ થાય! સાસુ-સસરાની સેવા માત્ર વહુએ જ નહિ કરવાની, વરે પણ પોતાના સાસુ સસરાની જવાબદારી ઉઠાવવી પડશે! ‘એમ!’ હા, હવે નાગરિકોની વચ્ચે ધર્મ, જાતિ, ભાષાના નામે ભેદભાવ નહીં થાય!

તમામે લગ્નનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે! અને તમામે કાનૂની કાર્યવાહી દ્વારા જ છૂટાછેડા લેવા પડશે! કારણ કે દેશમાં ‘કોમન સિવિલ કોડ’ એટલે કે સમાન નાગરિક ધારો લાગુ થવાનો છે!’ -એક મિત્રે બીજા મિત્રને પોતાના ઉત્સાહનું કારણ કહ્યું એટલે બીજો મિત્ર બોલ્યો કે ‘એમ સમાન સિવિલ કોડ આવે તો આવું થાય! મને તો એમ કે સમાન સિવિલ કોડ આવે એટલે મુસલમાન ચાર લગ્ન કરે છે એ અટકી જાય. તેમનાં ધર્મસ્થળોને કરવેરામાં જે છૂટ મળે છે તે બંધ થઇ જાય. લઘુમતીના નામે જે વિશેષ છૂટછાટ મળે છે તે સમાપ્ત થઇ જાય!’

– ભારતમાં લોકસભાની ચૂંટણી હવે સામે આવી છે અને માટે સમાન સિવિલ કોડ લાગુ કરવાની વાતોએ જોર પકડયું છે! આમ પણ ભારતીય જનતા પાર્ટીનાં વર્ષોના અપાયેલા વચનમાં રામ મંદિર, કાશ્મીરમાં 370 કલમની નાબૂદી પછી સમાન સિવિલ કોડ ત્રીજું અગત્યનું વચન છે અને સત્તાની ત્રીજી ટર્મ માટે તેનો અમલ કરવો જરૂરી છે!

ભારતમાં સ્વતંત્રતાના સમયથી જ ફોજદારીધારો સૌ માટે સરખો છે. પણ નાગરિક કાયદામાં લઘુમતીઓ અને પરંપરાગત સમુદાયો માટે કેટલીક ખાસ છૂટછાટ રાખવામાં આવી છે! આમાંથી મુસ્લિમો માટેની છૂટછાટો રાજકીય કારણસર વધારે પ્રખ્યાત છે. જયારે મૂળ નિવાસી સમુદાયો કે કેટલાક વિશિષ્ટ સમુદાયો માટે રખાયેલી છૂટછાટો ઝાઝી ચર્ચાતી નથી. પણ સૌથી અગત્યની વાત તો એ છે કે જેઓ સમાન નાગરિક કાયદો અમલમાં આવવો જોઇએ તેવું ભારપૂર્વક માને છે તેઓ જ પોતાના કુટુંબમાં, સમાજમાં, ગામમાં બીજાને મળતા અધિકારો વાપરવા દેતા નથી.

ભારતના બંધારણે સ્ત્રી પુરુષ વચ્ચે ભેદ ગણ્યો નથી. આમ છતાં મોટા ભાગનાં પરિવારો દીકરાને નિર્ણયની જે સ્વતંત્રતા આપે છે તે દીકરીઓને આપતા નથી. હજુ થોડાં વર્ષો પહેલાં તો આપણે દીકરીઓને ભણવા પણ નો’તા દે’તા! જમીન-મિલકતમાં સરખો હિસ્સો આજે પણ નથી આપતા! જીવનસાથીની પસંદગી બાબતે તો ‘ઓનર કીલીંગ’ની ઘટનાઓ વધી ગઇ છે ત્યારે વિચારવાનું એ છે કે જે સમાનતાના અધિકારો આપ્યા છે તે તો ભોગવવા દો! સમાન નાગરિક ધારો માત્ર મુસલમાનોને લાગુ ના પડે! ખાપ પંચાયતો અને જ્ઞાતિ સમૂહો જે કાયદાઓ ઘડીને નાગરિક નિયંત્રણો ઊભાં કરે છે તેને પણ લાગુ પડે! બાકી લોકશાહીનાં મૂળભૂત મૂલ્યો સમજે તે બધા તો એક જ વાત કહે કે સમાન નાગરિક ધારો કાલે આવતો હોય તો આજે આવે!

ફોજદારી અને દિવાની બાબતો સમાન રીતે લાગુ પડતી હોય તો નાગરિક હક્કો ફરજો પણ સમાન રીતે જ લાગુ પડવી જોઇએ! ભારતના શિડયુલ ટ્રાઇબ સમાજોમાં આજે પણ બહુપત્નીવ્રત છે. ઘણા આદિવાસી સમાજોમાં બહુપતિત્વ પણ છે. ઘણા સમાજોમાં પતિના મૃત્યુ કે છુટાછેડા પછી બાળક સાથે સ્ત્રી બીજા પુરુષ સાથે લગ્ન કરે છે ત્યારે પુરુષ આપોઆપ આ આંગળિયાત બાળકનો પિતા બની જવાબદારી નિભાવે છે! એ માટે બાળક દત્તક લેવાની કાયદેસરની પ્રક્રિયા કરવી પડતી નથી!

ભારતમાં સામાજિક સાંસ્કૃતિક વૈવિધ્ય હેતુ માટે આઝાદી પછી નાગરિક અધિકારોમાં કેટલાક અપવાદો રાખવામાં આવ્યા. હવે જો સમાન નાગરિક કાનૂન લાગુ પડે તો આ તમામ વિશેષાધિકારોનો અંત આવશે! અને જો ગંભીરતાપૂર્વક લીસ્ટ બનાવીએ તો સમજાય છે કે મુસ્લિમો કરતાં હિન્દુઓમાં જ વિશેષાધિકાર વધારે છે. ખાલી હિન્દુ મેરેજ એકટ હિન્દુઓને સમાન બનાવે છે. પણ સામાજિક રૂઢિઓ અને પરંપરાઓ મુજબ તો આપણે ત્યાં સ્ત્રી-પુરુષ અને જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચેના નિયમો જૂદા છે. ભેદભાવવાળા છે! સમયની માંગ છે કે સરકાર જયારે હિન્દુ અને મુસલમાનો વચ્ચે કાયદાથી સમાનતા લાવે ત્યારે હિન્દુઓ પોતાના સમુદાયો વચ્ચે રહેલા ભેદભાવ દૂર કરે! સમાનતાની માંગ કરવાની ન હોય. સમાનતા સ્વીકારવાની હોય. બીજાને આપવાની હોય!

‘જે ન્યાય માંગે છે તે બીજાને અન્યાય નથી કરતો.’ જો હું કોઇનો ગુલામ બનવાનું પસંદ નથી કરતો તો હું બીજાને ગુલામ રાખતો પણ નથી.’ આ માત્ર સુવાકયો નથી. જીવન જીવવાની રીત છે. સરકાર પાસે સમાનતા માંગીએ ત્યારે બંધારણે જે સમાન તક સૌને આપી છે તેનો સ્વીકાર પણ કરીએ! એક બાજુ સમાન નાગરિક અધિકારનો કાયદો લાવો તેમ કહેવું અને બીજી તરફ કોર્ટ મેરેજ કરતાં યુવક-યુવતીના ફોર્મમાં મા-બાપની સહી ફરજીયાત કરો એવી માંગ કરવી એ જ વિરોધાભાસ છે! આશા રાખીએ કે સમાન નાગરિક સંહિતાની વ્યાપક અને મુદ્દાસર ચર્ચા થાય અને તે માત્ર મુસલમાનોને નહીં, પણ દેશનાં તમામ નાગરિકોને લાગુ પડશે. તે ખુલાસા સાથે થાય! બાકી તે લાગુ તો વહેલામાં વહેલી તકે થાય! અને સૌથી અગત્યનું કે તેનો વર્તનમાં સ્વીકાર થાય! ભેદભાવ દૂર થાય!  
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top