Madhya Gujarat

વડતાલના સમૂહલગ્નમાં 200 યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા

આણંદ, તા.28
વડતાલ લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દીના ઉપક્રમે ગોકુલધામ નાર દ્વારા રવિવારે ગોમતી કિનારે આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના આર્શીવાદ સાથે 200 યુગલોએ શ્રી લક્ષ્મીનારાયણદેવ, શ્રી હરિકૃષ્ણ મહારાજના સાંનિધ્યમાં પ્રભુતામાં પગલા પાડી સાંસારિક જીવનમાં પગરણ શરૂ કર્યા હતા. આ પ્રસંગે વડતાલ મંદિરના ચેરમેન દેવપ્રકાશ સ્વામી, કોઠારી ર્ડા. સંતવલ્લભદાસજી સ્વામી, ગોકુલધામ નારના પ્રણેતા વરિષ્ઠ સંતો તથા વિધાનસભાના દંડક જગદીશભાઈ, માતરના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર નડીયાદના પંકજભાઈ દેસાઈ, વિપુલભાઈ પટેલ સહિત અન્ય રાજકીય મહાનુભાવે અને દાનવીર હરિભક્તોએ સાંસારિક જીવનની કેડી કંડારનાર નવયુગલોને તેઓનું સાંસારિકજીવન સુખી-સમૃધ્ધ અને જીવન ધર્મમય બને તેવા શુભ આર્શીવાદ પાઠવ્યા હતા. ભગવાન સ્વામિનારાયણના સર્વજીવ હિતાવહને વરેલા ગોકુલધામ નાર દ્વારા યોજાયેલ 200 બ્રાહ્મણ બટુકોને યજ્ઞાપવિત સંસ્કાર અને ધર્મ, નાત-જાતના ભેદભાવ વગર 200 યુવક યુવતીઓનો સર્વજ્ઞાતિય સમુહ લગ્નોત્સવએ મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયનું પ્રશંસનીય કાર્ય છે. આજની કાળઝાળ મોંઘવારીમાં આર્થિક રીતે પીડાતા પરિવારોમાં દિકરી પરણવા લાયક થાય ત્યારે તેના લગ્નના ખર્ચાને પહોંચી વળવું પરિવારના મોભી માટે ખૂબજ કષ્ટ ભર્યું છે. ત્યારે જરૂરિયાતમંદ દીકરા-દીકરીઓ માટે ગોકુલધામ નાર ધ્વારા સમુહલગ્ન યોજી સમાજને ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરૂં પાડયું છે. ફક્ત લગ્ન એટલાજ નહિ. પણ ઘરસંસાર શરૂ કરવા માટે જરૂરી સાધન સામગ્રી પણ દરેક દંપતિને પૂરી પાડવામાં આવી છે. જેથી નવયુગલ પોતાનો સંસાર સ્વભાનભેર ચઠાવી શકે. સાથે સાથે અકસ્માત કે જન્મથી ખોડખાંપણ ધરાવતા હોય તેવા ૨૦૦ દિવ્યાંગોને ટ્રાયસીકલ, વોકર સ્ટીક તથા બહેનોને રોજગારી મળી શકે તે માટે ૨૦૦ બેનોને સીવણસંચા પૂરા પાડવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ચેરમેન દેવપ્રકાશ સ્વામીએ જણાવ્યું હતું કે સમુહ લગ્નમાં ભાગ લેનાર દરેક નવદંપતિઓનું જોડાનાર દાંમ્યત્યજીવન સુખમય બને તેવી લક્ષ્મીનારાયણદેવના ચરણોમાં પ્રાર્થના કરી તેઓનું જીવન નંદનમય બને તેવા આર્શીવાદ પાઠવ્યા. આ પ્રસંગે આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે નવયુગલોને આર્શીવાદ પાઠવતા જણાવ્યું હતું કે ભગવાન સ્વામિનારાયણનો સર્વજીવ હિતાવહનો સંદેશ હતો કે સર્વ કોઈનું હિત થવું જોઈએ. જે સંદેશને મૂળ સંપ્રદાય વડતાલધામ દાતાઓના ધનનો સદ્ વ્યય કરે છે.
વડતાલધામ શિક્ષાણક્ષેત્રે, આરોગ્યક્ષેત્રે કે દેશમાં કોઈ આપતિ
આવી પડે જેવી કે, દુષ્કાળ, પૂર હોય કે કોરોના જેવા સમયમાં પણ નાનામાં નાના માણસને લાભમળે તે મુજબ જરૂરિયાત પ્રમાણે કાર્ય કરે છે. જે કામ ગોકુલધામ નાર ધ્વારા થઈ રહ્યા છે. ભગવાન શ્રીહરિના ચરણરજથી પાવન થયેલ આ વડતાલની ભૂમી ઉપર લગ્નગ્રંથીથી જોડાનાર યુગલોને જીવનમાં હંમેશા સામાવાળાના ગુણ ગ્રહણ કરવો. તો આપનું જીવન આનંદમય ચાલશે. લક્ષ્મીનારાયણ દેવ જગતના દેવ છે. ભગવાન શ્રીહરિએ પોતે પોતાનું સ્વરૂપ શ્રીહરિકૃષ્ણ મહારાજમાં પધરાવ્યું છે. અને આ મૂર્તિમાં રહ્યા થકી આપના સંકલ્પ અને ભાવપૂર્ણ કરશે.
આ પ્રસંગે નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, કલ્પેશભાઈ પરમાર (માતર), વિપુલભાઈ પટેલ (સોજીત્રા), કાળુભાઈ ડાભી (ધંધુકા) વડતાલના સરપંચ અમીતભાઈ પરમાર તથા રાજકીય અગ્રણી ચેતનભાઈ રામાણી ઉપસ્થિત રહ્યા હતા.

Most Popular

To Top