Vadodara

કોરોનાની ત્રીજી લહેર સામે SSGનો પ્રસૂતિ વિભાગ સજ્જ

વડોદરા : કોરોનાની સંભવિત ત્રીજી લહેરને અનુલક્ષીને સયાજી હોસ્પિટલના પ્રસૂતિ વિભાગે, પ્રસૂતિ પહેલા સગર્ભાઓ સંક્રમિત થાય તો તેમની ઉચિત સારવાર અને પ્રસુતિના સમયે જ સંક્રમિત જણાય તો સલામત સુવાવડ કરાવવા માટે જરૂરી પૂર્વ તૈયારીઓ તકેદારીના ભાગરૂપે કરી લીધી છે.કોરોનાની શહેરમાં શરૂઆત થઈ ત્યારે પહેલા કેસોમાં જ સગર્ભાઓનો સમાવેશ થતો હતો અને આ રોગ સાવ અજાણ્યો હતો.ત્યારે જ સંક્રમિત મહિલાઓની સારવાર અને સુવાવડનો પડકાર આ વિભાગે ઝીલ્યો હતો.કોવિડ 19  કોરોના મહામારીમાં પહેલી અને બીજી લહેરોનો અનુભવ અને સાવચેતી સંભવિત ત્રીજી લહેરના સંક્રમિત બહેનોની સલામત પ્રસૂતિ કરાવવાના પડકારોને પહોંચી વળવામાં ચોક્કસ મદદરૂપ બનશે તેવી લાગણી સયાજી હોસ્પિટલના સ્ત્રી રોગ અને પ્રસૂતિ વિભાગના વડા અને પ્રાધ્યાપક ડો.આશિષ ગોખલેએ વ્યક્ત કરી છે.તેમણે જણાવ્યું કે માનવ સંપદાને તાલીમ,લેબર રૂમ,ઓટી,આઇસોલેશન વોર્ડ, આઇસીયુ સહિતની આવશ્યક સુવિધાઓ તૈયાર છે.તેમણે જણાવ્યું કે હાલમાં ડેલ્ટા અને ઓમિક્રોન એમ બે વેરિયન્ટ છે.

પણ બંનેની સિમ્પટોમેટોલોજી અને પ્રોટોકોલમાં વિશેષ ફરક નથી.નિર્ધારિત ચેપ નિવારક તકેદારીઓ બંનેમાં રાખવાની છે.સદભાગ્યે અત્યાર સુધી એક પણ સગર્ભા સંક્રમિત થઈ નથી.અમે પ્રસૂતિ વિભાગના ભોંય તળિયે 15 + પથારીઓની આ માટે જુદી સુવિધા રાખી છે. આઇસીયુ અને લેબર રૂમની પણ અલાયદી સગવડ છે.અમે નોન કોવિડ પ્રસુતિની કામગીરી ચાલુ રાખીને કોવિડ પ્રસુતિને પણ હેન્ડલ કરીએ છે.અમારી પાસે અનુભવી અને સમર્પિત તબીબો,નર્સિંગ સ્ટાફ અને સહાયક સ્ટાફની ટીમ છે.લક્ષણો સાથે કોઈ સગર્ભા આવે તો તુરત જ પ્રોટોકોલ અનુસરી સંપૂર્ણ સાવચેતી સાથે સ્ક્રીનીંગથી લઈને સારવાર શરુ કરવામાં આવશે.યાદ રહે કે કોવિડની પહેલી બે લહેર દરમિયાન સંક્રમિત સગર્ભાઓની સારવાર અને સલામત સુવાવડની ખાનગી દવાખાનાઓમાં સુવિધા લગભગ હતી જ નહીં. સયાજી અને ગોત્રી હોસ્પિટલ સિવાય કોઈ વિકલ્પ હતો જ નહીં.બીજી લહેરના અંત ભાગે કેટલીક ખાનગી હોસ્પિટલોમાં તેની સુવિધા ઉપલબ્ધ થઈ.જો કે તે સામાન્ય પરિવારોને પોસાય તેવી ન હતી.જ્યારે ઉપરોક્ત બંને સરકારી દવાખાનાઓમાં લગભગ વિનામૂલ્યે સંક્રમિત સગર્ભાઓની સારવાર અને પ્રસૂતિ સંપૂર્ણ નિષ્ઠા અને સમર્પિતતા સાથે કરવામાં આવી છે.

Most Popular

To Top