Comments

મણિપુરમાં શાંતિ પ્રસ્થાપિત કરવામાં સરકારને આખરે સફળતા મળશે ખરી?

મણિપુરના પ્રતિબંધિત અને સૌથી મોટા આતંકવાદી સંગઠનને શાંતિના ટેબલ પર લાવવામાં કેન્દ્ર સરકારની વ્યૂહરચના અસરકારક સાબિત થઈ છે. આ સમાધાન કરાવવામાં કેન્દ્રના ગૃહ પ્રધાન અમીત શાહ ચાણક્યની ભૂમિકામાં જોવા મળ્યા છે. રાજ્યમાં કાયમી શાંતિ માટેના પ્રયાસોમાં લાગેલી કેન્દ્ર સરકારને આખરે સફળતા મળી છે. એક તરફ મણિપુર સરકાર આ સંગઠન સાથે હિંસાનો માર્ગ છોડવાની વાત કરી રહી છે તો બીજી તરફ કેન્દ્ર સરકાર આ સંગઠન પર પોતાનું કડક વલણ જાળવી રહી છે. ગૃહ મંત્રાલયે ૧૬ દિવસ પહેલા જ યુનાઈટેડ નેશનલ લિબરેશન ફ્રન્ટ (UNLF) પરનો પ્રતિબંધ પાંચ વર્ષ માટે લંબાવ્યો હતો.

ગૃહ મંત્રાલયના નિર્ણય બાદ આતંકવાદી સંગઠને ૧૭માં દિવસે શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. ૧૩ નવેમ્બરે ગૃહ મંત્રાલયે પાંચ આતંકવાદી સંગઠનો પર પ્રતિબંધ લંબાવ્યો હતો. આમાં UNLFનું નામ પણ સામેલ હતું. યુનાઇટેડ નેશનલ લિબરેશન ફ્રન્ટ નવેમ્બરમાં રચાયો હતો અને તેણે નવેમ્બરમાં જ આત્મસમર્પણ કર્યું છે. તેને મણિપુરના યુનાઇટેડ નેશનલ લિબરેશન ફ્રન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉત્તર-પૂર્વમાં ૫૯ વર્ષથી સક્રિય આ સંગઠનનો મૂળ ઉદ્દેશ્ય સાર્વભૌમ રાજ્યની સ્થાપનાનો હતો. આ આતંકવાદી સંગઠનની સ્થાપના ૨૪ નવેમ્બર, ૧૯૬૪ના રોજ કરવામાં આવી હતી. અરમ્બમ સાઈમેન્દ્રનું નામ તેના સ્થાપક તરીકે લેવામાં આવે છે. વર્ષ ૨૦૦૫ સુધી તેના કુલ સભ્યોની સંખ્યા ૨,૦૦૦ અંદાજવામાં આવી હતી, પરંતુ તાજેતરના વર્ષોમાં આ સંગઠને તેની તાકાત વધારી છે.

બ્રિટીશ ઈન્ડિયાના સમયમાં મણિપુર એક રજવાડું હતું. જ્યારે દેશ આઝાદ થયો ત્યારે અહીં મણિપુરના મહારાજાને કાર્યકારી વડા તરીકે સરકાર બનાવી હતી. ૧૯૭૨માં મણિપુર સંપૂર્ણ રાજ્ય બન્યું હતું. મણિપુર એક સંપૂર્ણ રાજ્ય બન્યું તે પહેલાં જ મેઇતેઈ સમુદાયના લોકો ભારતમાં તેના વિલીનીકરણ પર નારાજ હતા. તેમણે UNLFની રચના કરી હતી. જેમ જેમ તેના સંગઠનની ગતિવિધિઓ વધી તેમ ૧૯૮૦માં કેન્દ્રએ સમગ્ર મણિપુરને અશાંત વિસ્તાર જાહેર કર્યો હતો અને રાજ્યમાં ચાલી રહેલી બળવાખોરીની હિલચાલને રોકવા માટે AFSPA કાયદો લાગુ કર્યો હતો. આ બધાની વચ્ચે કુકી સમુદાયે ૧૯૯૦ના દાયકામાં પોતાનું સંગઠન બનાવ્યું હતું. આ પછી મણિપુરમાં જાતિ સંઘર્ષ શરૂ થયો હતો. UNLF દ્વારા તેના શસ્ત્રો છોડી દેવાથી ૨૨,૩૨૭ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા આ ઉત્તર-પૂર્વીય રાજ્યમાં શાંતિ પાછી ફરવાની આશા છે.

મણિપુરની કુલ વસ્તી ૨૮.૫૫ લાખ છે. આવી સ્થિતિમાં UNLF દ્વારા કેન્દ્ર સાથે કરવામાં આવેલા કરારને આ લોકો માટે મોટી ઉપલબ્ધિ તરીકે જોવામાં આવી રહી છે. મણિપુરમાં હિન્દુઓ અને ખ્રિસ્તીઓ લગભગ સમાન છે. આ સિવાય રાજ્યમાં મુસ્લિમો અને કેટલાક શીખોની પણ હાજરી છે. UNLF તેની સશસ્ત્ર હિલચાલ ચલાવવા માટે મોટા પ્રોજેક્ટોમાંથી ખંડણી, હથિયારોના વેપાર અને ખંડણીનો ઉપયોગ કરતી હતી, પરંતુ હવે આ સંગઠનના શસ્ત્રો નીચે પડવાથી મણિપુરમાં એક નવી સવારનો સૂરજ ઉગશે. આ પછી રાજ્ય વિકાસના પંથે વધુ ઝડપથી આગળ વધી શકશે.

કેન્દ્ર સરકાર સાથે કરવામાં આવેલા કરાર મુજબ આતંકવાદી સંગઠન યુનાઈટેડ નેશનલ લિબરેશન ફ્રન્ટના તમામ સભ્યો આગામી ત્રણ વર્ષ સુધી રાહત કેમ્પમાં રહેશે. ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં આતંકવાદીઓના આત્મસમર્પણ-કમ-પુનર્વસન માટેની ગૃહ મંત્રાલયની સુધારેલી યોજના ૨૦૧૮ હેઠળ દરેક સભ્યને ચાર લાખ રૂપિયાની એક વખતની ચૂકવણી અને નાણાકીય અનુદાન સહિત લાભો આપવામાં આવશે, જે ત્રણ વર્ષ માટે ફિક્સ ડિપોઝિટ તરીકે તેમના સંબંધિત નામે બેંકમાં રાખવામાં આવશે. આત્મસમર્પણની શરત ત્રણ વર્ષ સુધી પુનર્વસન શિબિરમાં રહેવાની છે.

આ સમયગાળા દરમિયાન તેમને ત્રણ વર્ષ માટે ૬,૦૦૦ રૂપિયાનું માસિક સ્ટાઈપેન્ડ આપવામાં આવશે. બે વર્ષ પહેલા ૯ માર્ચ, ૨૦૨૧ના રોજ મણિપુરના ઈમ્ફાલમાં વિવિધ આતંકવાદી સંગઠનોના ૨૦ સભ્યોએ શસ્ત્રો જમા કરાવી દીધા હતા. આત્મસમર્પણ કરાયેલા કેડરમાંથી ૧૬ થડૌ પીપલ્સ લિબરેશન આર્મીના સભ્યો હતા. ત્યારબાદ યુનાઈટેડ લિબરેશન ફ્રન્ટના બે સભ્યોએ આત્મસમર્પણમાં ભાગ લીધો હતો. યુએનએલએફની શરણાગતિ પછી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે રાજ્યના બાકીના આતંકવાદી સંગઠનો પણ તેમના શસ્ત્રો છોડીને મુખ્ય પ્રવાહમાં પાછા આવી શકે છે. મણિપુરમાં તાજેતરનાં રમખાણો માટે મેઇતેઇ સમુદાય વધુ જવાબદાર હોવાથી જો આમ થશે તો મણિપુર માટે ચોક્કસપણે એક નવી સવાર ઉભરી આવશે.

અધિકારીઓએ કહ્યું હતું કે તેઓ છેલ્લા કેટલાક અઠવાડિયાથી રાજ્યમાં UNLF, PLA, કાંગલેઈ યાવોલ કનબા લુપ (KYKL) અને પીપલ્સ રિવોલ્યુશનરી પાર્ટી ઑફ કંગલીપાક (PREPAK) જેવા લગભગ નિષ્ક્રિય પ્રતિબંધિત જૂથોના પુનરુત્થાન વિશે ચેતવણી આપી રહ્યા હતા. તા. ૩ મેના રોજ વંશીય અથડામણો ફાટી નીકળ્યા ત્યારથી વિવિધ પક્ષો દ્વારા પોલીસ સ્ટેશનો અને એકેડેમીઓમાંથી ઓટોમેટિક રાઇફલ્સ અને લાખો બુલેટ્સ સહિતના હજારો હથિયારોની ચોરી કરવામાં આવી હતી અને તે સમજી શકાય છે કે શસ્ત્રોના નવા પ્રવાહે અસામાજિક તત્ત્વોને પ્રોત્સાહન આપ્યું હતું.

UNLF ભૂતકાળમાં મોટા પાયે ગેરવસૂલીમાં સામેલ છે જ્યારે PLA એ ઇમ્ફાલ ખીણમાં સ્વતંત્ર મેઇતેઇ રાજ્યનું લક્ષ્ય રાખ્યું હતું. કેવાયકેએલ ખંડણી પર ચાલે છે અને અન્ય આતંકવાદી જૂથોને ખુલ્લેઆમ સમર્થન આપે છે. તેને કોઈ વિચારધારા વિનાનું ભાડૂતી જૂથ માનવામાં આવે છે અને તેની કેડર મુખ્યત્વે ગુનેગારો અને ડ્રગ વ્યસનીઓની બનેલી છે. પ્રેપાકને મણિપુરની કહેવાતી મુક્તિની તેની વિચારધારા માટે સરકાર દ્વારા પ્રતિબંધિત કરવામાં આવ્યું છે અને તે મુખ્યત્વે ઉદ્યોગપતિઓ, ખાસ કરીને ફાર્મસીઓ પાસેથી ગેરવસૂલી દ્વારા ભંડોળ ઊભું કરે છે. તે મુખ્યત્વે માદક દ્રવ્યોનો વેપાર કરે છે. પ્રેપાક PLA અને UNLF વતી ગેરવસૂલીમાં પણ સામેલ છે અને તે પોતાનો હિસ્સો જાળવી રાખ્યા પછી ખંડણીની રકમ બીજા આતંકવાદી સંગઠનોને મોકલે છે.

અહેવાલ મુજબ, ઉપરોક્ત ઉલ્લેખિત ઓટોમેટિક ગન સિવાય, તા. ૩ મેના રોજ વંશીય સંઘર્ષ શરૂ થયો ત્યારથી પોલીસ અને અન્ય સુરક્ષા અધિકારીઓ પર હુમલા દરમિયાન લગભગ છ લાખ ગોળીઓ ગુમ થઈ ગઈ હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે લગભગ ૪,૫૩૭ શસ્ત્રો અને ૬.૩૨ લાખ રૂપિયાનો દારૂગોળો ચોરાયો હતો. ઇમ્ફાલ પૂર્વમાં પાંગેઇ ખાતેનું મણિપુર પોલીસ તાલીમ કેન્દ્ર (MTPC), ૭મી ઈન્ડિયા રિઝર્વ બટાલિયન અને ૮મી મણિપુર રાઈફલ્સ, બંને ઈમ્ફાલ શહેરના ખાબેસોઈ ખાતે સ્થિત છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર ચોરેલા હથિયારોમાંથી ૨,૯૦૦ ઘાતક શ્રેણીના હતા, જ્યારે અન્યમાં ટીયરગેસ અને મિની ફ્લેર ગનનો સમાવેશ થાય છે. મણિપુરમાં તા. ૩ મેથી હિંસાનો જે દોર ચાલુ થયો તેને કારણે કેન્દ્ર સરકારના માથે ઘણાં માછલાં ધોવાયાં હતાં. તેમાં પણ હિંસામાં વધુ આક્રમક મેઇતેઇ સમાજ હિન્દુ હોવાને કારણે તેને શાસક ભાજપનું પીઠબળ હોવાની વાતો પણ સાંભળવા મળતી હતી. હવે મેઇતેઇનું વર્ચસ્વ ધરાવતા આતંકવાદી સંગઠન સાથે સમજૂતી થઈ હોવાથી મણિપુરમાં કદાચ શાંતિનો સૂર્યોદય થાશે.
 – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top