Comments

બી.બી.સી. ની ફિલ્મનો હેતુ શું છે?

બ્રિટીશ બ્રોડ કાસ્ટિંગ કોર્પોરેશન – બી.બી.સી. એ ગયા સપ્તાહે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પરત્વે એક દસ્તાવેજી ફિલ્મ રજૂ કરી. તેનું ધ્યેય મોદી સામે જૂના ને પ્રચારને જીવંત કરવાનું અને તેમને ૨૦૦૨ ના ગુજરાતનાં રમખાણોમાં ભેરવી દેવાનું લાગે છે. બી.બી.સી.એ પોતાની દસ્તાવેજી ફિલ્મના પ્રચારમાં કહ્યું છે કે બ્રિટન સરકારે કરેલી ‘છૂપી પૂછપરછ’ પર આધારિત આ ફિલ્મ છે, પણ બ્રિટીશ સરકારે આ દાવાનો સરેઆમ ઇન્કાર કર્યો છે.બ્રિટીશ વડા પ્રધાન રિશી સુનાકે આ હેવાલને ફગાવી દેતાં કહ્યું છે કે મોદીના ચરિત્રાલેખન સાથે હું  નાસંમત છું. ભારત સરકારે પણ આ દસ્તાવેજી ફિલ્મને ફગાવી દેતાં કહ્યું કે આ ફિલ્મ અપપ્રચાર છે. આમ છતાં આ દસ્તાવેજ ફિલ્મ ધારણા મુજબ જ ચર્ચાનો વિષય બની છે અને મોદી સરકારના વિરોધીઓમાં રસનો વિષય બની છે.

માહિતી અને પ્રસારણ મંત્રાલયે યુટયૂબ અને ટવીટર પર આ ફિલ્મ અને તેની લિંક પર પ્રતિબંધ મૂકયો છે. ૩૦૦ થી વધુ ભૂતપૂર્વ ન્યાયાધીશો, નિવૃત્ત અધિકારીઓ અફસરો વગેરેના જૂથે આ દસ્તાવેજી ફિલ્મને ભારત સામેના ‘અવિરત પૂર્વગ્રહ’ બદલ વખોડી નાંખી છે અને કહ્યું છે કે આ દસ્તાવેજી ફિલ્મ અસત્ય અને વિકૃત વાતો પર આધારિત છે અને તે એક સ્વતંત્ર અને લોકશાહી દેશ તરીકે ભારતના અસ્તિત્વના પાયા સામે જ સવાલ ઉઠાવે છે.  સ્વાભાવિક રીતે મોદીના તમામ ટીકાકારો રાજી થયા છે અને ફરી તેમના પર હુલ્લડ પર નજર રાખવાનો અને પોલીસોને શિસ્ત માટેનાં પગલાં લેતાં રોકવાનો આક્ષેપ કર્યો છે.

વિચિત્ર વાત એ છે કે બી.બી.સી. ની દસ્તાવેજી ફિલ્મમાં કેટલીક હકીકતોને શામેલ કરવાનો ઇન્કાર કરવામાં આવ્યો છે. હજી ગયા વર્ષના જૂન મહિનામાં સુપ્રીમ કોર્ટે ૨૦૦૨ના ગુજરાતના હુલ્લડના મામલામાં મોદી સહિતના ૬૪ માણસોને સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ – સીટે કલીન ચીટ આપી તેને માન્ય રાખવાનો નિર્ણય કર્યો હતો. કોંગ્રેસના હત્યા કરાયેલા નેતા એહસાન જાફરીનાં પત્ની ઝાકિયા જાફરીએ કરેલી અરજીને રદ કરતાં કહ્યું હતું કે આ અરજીમાં કોઇ પાત્રતા નથી.

આ ઉપરાંત આ દસ્તાવેજી ફિલ્મ રજૂ કરવાના સમયે પણ કેટલાક પ્રશ્નો ઊભા કર્યા છે? અત્યારે જ કેમ? આ દસ્તાવેજી ફિલ્મનું નિશાન ભારત, તેની લોકશાહી રીતે ચૂંટાયેલી સરકાર વડા પ્રધાન અને તેની બહુમતી વસ્તી છે? મોદીની આગેવાની હેઠળની સરકાર આ વર્ષે જી-20 શિખર પરિષદ યોજવાની છે અને ભારતની તાકાત બતાવતા ૨૦૦ થી વધુ કાર્યક્રમો દેશભરમાં યોજાવાના છે તે કારણ છે? ૨૦૨૪ ની લોકસભાની ચૂંટણી માટે હાલ નબળા વિરોધ પક્ષને બળ માટે તેને મદદ કરવાનો તેનો હેતુ છે?

રસપ્રદ વાત એ છે કે બી.બી.સી.એ આ દસ્તાવેજી ફિલ્મ નવા ‘પુરાવા’ આધારિત હોવાનું જણાવી પ્રચાર કર્યો છે. અજ્ઞાત રહેતા એક ભૂતપૂર્વ બ્રિટીશ રાજદ્વારીએ આ ફિલ્મમાં જણાવ્યું હતું કે હિંસામાં કમમાં કમ ૨૦૦૦ લોકોની હત્યા થઇ હતી જેમાંથી બહુમતી મુસલમાનોની હતી. આ મુસલમાનો સામેનો ઇરાદાપૂર્વકનો અને રાજકીય હેતુથી કરાયેલો. સાબરમતી એકસપ્રેસની બોગી સળગાવી દેવાને પગલે ફાટી નીકળેલા રમખાણનો દોષનો ટોપલો મોદી પર ઢોળી દેવા માટે તેમાં અવિશ્વસનીય અધિકારી અને શંકાશીલ વ્યકિતઓની જુબાની ટાંકવામાં આવી છે.

હાંકી કઢાયેલા ભૂતપૂર્વ પોલીસ અધિકારી સંજીવ ભટ્ટ, આર.બી. શ્રી કુમાર અને તીસ્તા શેતલવડ વગેરેએ કરેલા આક્ષેપો છે. આ લોકો મોદી વિરોધી તરીકે  જાણીતા છે અને તેમની રજૂઆતને પડકારવામાં આવી છે અને સુપ્રીમ કોર્ટે ખારિજ કરી છે. સંજીવ ભટ્ટને તો કસ્ટોડિયલ મૃત્યુ માટે કસૂરવાર ઠેરવી જેલની સજા પણ થઇ છે. હવે આ ફિલ્મ પર કેટલો ભરોસો રાખી શકાય?

ભટ્ટે તો દાવો કર્યો છે કે મેં તે સમયના ગુજરાત મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી એક એક એવી બેઠકમાં હાજરી આપી છે કે જેમાં તેમણે સત્તાધીશોને કહ્યું હતું કે હિંદુઓને મુસ્લિમો સામેનો તેમનો આક્રોશ ઠાલવી લેવા દો જેથી ગુજરાતમાં ગોધરા જેવી ઘટના ફરી કયારેય નહીં બને. ભટ્ટે કહ્યું કે ૫૯ અયોધ્યા કારસેવકોનું મોત થયું તે સાબરમતી ટ્રેન સળગાવી દેવાની ઘટના પછી આ બેઠક મળી હતી. તે સમયે ભટ્ટ ગુજરાતના જાસૂસી બ્યૂરોમાં પોલીસ સુપરિન્ટેન્ડન્ટ હતા.

સુપ્રીમ કોર્ટે રચેલી સીટે એવું તારણ કાઢયું હતું કે ભટ્ટ પોતે કહે છે કે એવી કોઇ બેઠકમાં હાજર જ ન હતા! સરકારે ઝડપથી પગલાં લઇ તા. ૨૮ મી ફેબ્રુઆરીએ લશ્કર બોલાવી લીધું હતું. ૫૪ મૃતદેહોને અમદાવાદ લઇ જવા પડયા હતા. કારણકે  તેમના સગાંઓ અમદાવાદ અને તેની આસપાસ રહેતાં હતાં. આ મૃતદેહોને પોલીસ અધિકારીઓના રક્ષણ હેઠળ લઇ જવામાં આવ્યા હતા અને ૩૦ કિલોમીટરના આ અંતર દરમ્યાન ત્રણ વાર આ અધિકારીઓને બદલવામાં આવ્યા હતા. વળી મોદીના રહેઠાણે મળેલી બેઠકમાં ભટ્ટ હાજર જ ન હતા અને તેથી તે ભરોસાપાત્ર નથી.

નાણાવટી – મહેતા પંચે પણ જણાવ્યું હતું કે મોદીના ઘરે મળેલી બેઠક વિષે ભટ્ટ જુઠું બોલ્યા છે અને ફેકસ મશીનની મદદથી બનાવટી દસ્તાવેજ બનાવ્યાં છે. અલબત્ત, સરકાર બતાવવા માંગે છે કે અમને આવી ફિલ્મોથી કંઇ અસર થવાની નથી તો મોદીના સહાયકો માને છે કે ભારત જી-20 અને ૨૦૨૪ ની કવોડ શિખર પરિષદની યજમાન ગતિની તૈયારી કરે છે ત્યારે ભારત અને વ્યકિતગત રીતે વડા પ્રધાનને નિશાન બનાવવાના હજી પ્રયત્નો થશે.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top