Columns

સુંદર ત્વચા મેળવવા શું ધ્યાન રાખશો?

ત્વચાના બગડવા પર ખોરાક ઉપરાંત વારસાગત કારણો, હોર્મોનની અસર અને ખોટી જીવનશૈલી પણ ખૂબ અસર કરે છે.
ફળોના રસ :- ફળોમાંથી રસ કાઢવામાં આવે ત્યારે તેના રેસા નીકળી જતા હોય છે, ફળોની શર્કરાની માત્રા વધી જતી હોય છે. વળી ફળોમાં રહેલું વિટામિન સી ખૂબ જ ઝડપથી હવામાં વિઘટિત થઈ જાય છે. આ કારણોસર ફળોનો રસ વધુ શર્કરાયુક્ત અને વિટામિન સી રહિત માત્ર સ્વાદિષ્ટ પીણું બની જાય છે. આ પીણાં દ્વારા ત્વચા પર ખીલ થવાની સંભાવના રહે છે. આથી ફળો હંમેશાં ફળો સ્વરૂપે જ ખાવાં જોઈએ. ફળોનો રસ ત્વચાને નુકસાન કરી શકે.

તળેલા પદાર્થો:- તળેલા પદાર્થો પુષ્કળ પ્રમાણમાં ચરબી ધરાવે છે. વળી, જો એક જ તેલમાં વારંવાર વ્યંજનો તળાયેલા હોય તો ટ્રાન્સ ફેટની માત્રા ખૂબ વધી જાય છે. આ ટ્રાન્સ ફેટ ખાસ કરીને ટીન એજ બાળકોમાં થતાં હોર્મોનના ફેરફારમાં મોટો નકારાત્મક ભાગ ભજવે છે. ટીન એજ તરુણીઓમાં હાલમાં વધુ પ્રમાણમાં જોવા મળતી PCOD ની સમસ્યા માટે આ ટ્રાન્સ ફેટ જવાબદાર પરિબળ છે. હોર્મોનમાં થતાં ફેરફારો ત્વચાને વધુ પડતી તૈલી કરી નાખી ખીલ ઉત્પન્ન કરે છે અને ત્વચાને સતત ચીકણી રાખે છે.

કોફી:- આજકાલ યુવાનોમાં કોફીના સેવનનો ટ્રેન્ડ વધ્યો છે. કોફીમાં રહેલા કેફીનને કારણે શરીર વધુ માત્રામાં પાણી ગુમાવે છે અને ડીહાઈડ્રેશન પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે. જેને કારણે ત્વચા શુષ્ક બને છે. સૂકી ત્વચામાં કરચલી ઝડપથી પડે છે અને ઉંમર વર્તાય છે. આથી કોફીનું સેવન શકય એટલું ઓછું કરવું.

વધુ પડતાં ચીઝનું સેવન :-ન ચીઝમાંથી બનાવવામાં આવેલ વાનગીઓનું અતિશય સેવન ખીલને નોતરે છે. ચીઝ એ દુધાળા પ્રાણીઓના શરીરના હોર્મોન્સ પણ ધરાવે છે. ખાસ કરીને ગાયના દૂધમાંથી બનાવવામાં આવતું ચીઝ આ પ્રકારના હોર્મોન્સ વધુ પ્રમાણમાં ધરાવે છે. આ હોર્મોન્સને કારણે ‘હોર્મોન્સ ઇંડ્યુસ્ડ ખીલ’ થવાની શક્યતા રહેલી છે. જેને ખીલની સમસ્યા હોય, એમણે ચીઝયુક્ત વાનગીઓ લેવાની ટાળવી હિતાવહ છે.

કેનમાં રહેલાં ખાદ્યપદાર્થો અને પેકેટના નાસ્તા :- આ પ્રકારના ખાદ્યપદાર્થો બાળકો માટેનો હાથવગો સ્વાદિષ્ટ નાસ્તો છે પરંતુ આ નાસ્તો સોડિયમ અને બિસ્ફેનોલનું ઊંચું પ્રમાણ ધરાવતો હોય ત્વચામાં પાણીનો ભરાવો કરે છે જે ત્વચાને ફૂલેલી અને સૂકી કરે છે અને ત્વચાની કુદરતી નરમાશ ચાલી જાય છે. આ પ્રકારના ખાદ્યપદાર્થોને બદલે શક્ય એટલા તાજા બનાવેલા નાસ્તાનો ઉપયોગ કરવાથી ત્વચાની ચમક બરકરાર રહે છે.

એરેટેડ પીણાં:- કહે છે કે આંતરડાંમાં રહેલા પાચન માટે ઉપયોગી એવા બેક્ટેરિયા (પ્રો બાયોટીકસ) ની સંખ્યામાં વધઘટ થવાની આડ અસર પણ ત્વચા પર પડે છે. એરેટેડ પીણાંમાં રહેલું ખાંડનું ઊંચું પ્રમાણ અને હાનિકારક રસાયણો આંતરડાંમાં રહેલા પ્રોબાયોટીક્સની સંખ્યા ઘટાડે છે અને એમ પાચનની ક્રિયામાં ખલેલ પડે છે જેની સીધી અસર ત્વચાના સ્વાસ્થ્ય અને સુંદરતા પર પડે છે.

વધુ પડતાં તીખા – મસાલેદાર વ્યંજનો:- ખૂબ વધારે મસાલેદાર વ્યંજનો આરોગવાને પરિણામે જઠરમાં એસિડિટી વધે છે. આ એસિડને કારણે પણ ત્વચા તૈલી બને છે અને ખીલ થાય છે. ખોરાકમાંથી લાલ મરચું, સૂકા ગરમ મસાલાનો ત્યાગ કરવાથી ત્વચા સ્વસ્થ રહે છે.

આલ્કોહોલનું સેવન :- આલ્કોહોલનું સેવન એસિડિટી અને ગેસ કરે છે. જેને કારણે શરીરમાં અને ખાસ કરી આંખ નીચે અને ત્વચામાં પાણીનો ભરાવો થાય છે . ચહેરા પર સોજા આવે છે.
અપૂરતી ઊંઘ:- રાત્રે ૭-૮ કલાકની પૂરતી ઊંઘ મેળવવી જરૂરી છે. જો ઊંઘ પૂરતી ન મળે તો આંખની આસપાસ કાળાં કુંડાળાં દેખાવા માંડે છે. આમ, ઉપર મુજબનાં સૂચનોનો અમલ કરી, ખોરાકમાંથી અમુક પ્રકારના ખાદ્યપદાર્થો દૂર કરવાથી અને જીવનશૈલીમાં નજીવા ફેરફારો દ્વારા પણ સુંદર ત્વચા મેળવી શકાય છે.

Most Popular

To Top