Columns

તુનિશા શર્માના અપમૃત્યુ માટે લવ જિહાદ કારણરૂપ હતી?

એક હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવાન પ્રેમમાં પડે ત્યારે ઘણા બધા જટિલ પ્રશ્નો પેદા થતા હોય છે. આખા દેશમાં જ્યારે લવ જિહાદનો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે ૨૦ વર્ષની ટી.વી. સ્ટાર તુનિશા શર્માનું અપમૃત્યુ પણ લવ જિહાદને કારણે થયું હોવાનો આક્ષેપ બીજા કોઈએ નહીં પણ તુનિશાના કાકા પવન શર્માએ કર્યો છે. તુનિશા શર્માના કમોતને પોલીસ આપઘાતમાં ખપાવી રહી છે, પણ તે જે રીતે મૃત હાલતમાં મળી આવી તેના પરથી આપઘાત ઉપરાંત હત્યાની સંભાવના પણ રહે છે. તુનિશા શર્માનો મૃતદેહ તેની ટી.વી. સિરિયલ ‘અલીબાબા-દાસ્તાને કાબુલ’ના સેટ ઉપર મેક અપ રૂમમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.

તુનિશા તેનાથી ૮ વર્ષ મોટા કો-સ્ટાર શીઝાન ખાનના પ્રેમમાં હતી અને તેમનું ૧૫ દિવસ પહેલાં જ બ્રેક અપ થયું હતું, જેને કારણે તુનિશા ડિપ્રેશનમાં રહેતી હતી. ‘મેડમ સર’ની જાણીતી અભિનેત્રી પ્રીતિ તનેજાના દાવા મુજબ તુનિશા ગર્ભવતી હતી. જો કે પોલીસે તે દાવાને નકારી કાઢ્યો છે. પવન શર્માના દાવા મુજબ પોલીસે કેસની તપાસ કર્યા વગર જ તેને આપઘાત માની લીધો તેની પાછળ કોઈ વગદાર લોકો કામ કરી રહ્યા છે.

તુનિશા શર્માના કથિત આપઘાત માટે જવાબદાર ગણાતા તેના બોયફ્રેન્ડ શીઝાન ખાનની ધરપકડ કરવામાં આવી છે. કહેવાય છે કે શીઝાન ખાન તુનિશા ઉપરાંત બીજી અનેક યુવતીઓ સાથે સંબંધો ધરાવતો હતો અને તુનિશા સાથે ચીટિંગ કરતો હતો. આ વાતની જાણ તુનિશાને થતાં તેણે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. પોલીસની પૂછપરછમાં શીઝાન ખાને તુનિશા સાથેના બ્રેક અપનાં ત્રણ કારણો ગણાવ્યાં છે. એક, તેમનો ધર્મ અલગ હતો. બે, તેમની ઉંમર વચ્ચે ૮ વર્ષનો તફાવત હતો. ત્રણ, તુનિશાનાં સગાંઓ તેમના સંબંધના વિરોધમાં હતા. આ તમામ કારણો તુનિશાને સંબંધો બાંધતી વખતે પણ ખ્યાલમાં જ હતાં, તેમ છતાં તેણે સંબંધ બાંધ્યો હતો. જ્યારે શીઝાન ખાને તેની સાથેના સંબંધો તોડી કાઢ્યા ત્યારે તુનિશા તેનો આઘાત જીરવી શકી નહોતી.

ભાજપના નેતા અને મહારાષ્ટ્રના પ્રધાન ગિરીશ મહાજને પણ દાવો કર્યો છે કે તુનિશાનું મોત લવ જિહાદને કારણે થયું છે. તેમના કહેવા મુજબ મહારાષ્ટ્ર સરકાર ટૂંક સમયમાં લવ જિહાદને લગતો ઉત્તર પ્રદેશના કાયદા જેવો કાયદો પણ લાવી રહી છે. તુનિશાનો બોયફ્રેન્ડ શીઝાન ખાન પોલીસની પૂછપરછમાં રોજ પોતાનાં નિવેદનો બદલી રહ્યો છે. પહેલાં તે કહેતો હતો કે દિલ્હી નજીક મહેરોલીમાં શ્રદ્ધા વોકરની હત્યાના કિસ્સાથી તે હચમચી ગયો હતો અને તેણે તુનિશા સાથેના સંબંધોનો અંત આણવાની કોશિશ કરી હતી. પછી તેણે હિન્દુ-મુસ્લિમ તફાવતનું બહાનું કાઢ્યું હતું. તુનિશાના કાકા પવન શર્મા કહે છે કે જો તેમનું બ્રેક અપ થયું હતું તો મરણના દિવસે તેમણે નાસ્તો કેમ સાથે કર્યો હતો? તે દિવસે તેઓ સેટ પર પ્રેમથી ગપ્પાં મારતાં પણ નજરે પડ્યા હતા.

તુનિશા શર્મા ૧૩ વર્ષની ઉંમરથી ટી.વી. સિરિયલોમાં કામ કરતી હતી. તુનિશા શર્માએ ટી.વી. સિરિયલો ઉપરાંત ફિતૂર, બાર બાર દેખો, કહાની-૨ અને દબંગ-૩ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. ૨૦ વર્ષની ઉંમર સુધીમાં તો તે ૧૫ કરોડ રૂપિયાની માલિક બની ગઈ હતી. તેણે ભાયંદરમાં વિશાળ ફ્લેટ પણ ખરીદ્યો હતો, જેમાં તે પોતાની મમ્મી સાથે રહેતી હતી. હવે તેની મમ્મી ૧૫ કરોડની સંપત્તિની વારસદાર બની જશે. કેટલાંક માતાપિતાઓ પોતાનાં સંતાનોને સ્ટાર બનાવવાના મોહમાં નાની ઉંમરે તેમને ગ્લેમરની દુનિયામાં ધકેલે છે, પણ તેઓ તેમાં જોવા મળતી હરીફાઈ સહન કરી શકતાં નથી. ફિલ્મ અને ટી.વી. ઉદ્યોગમાં કેટલીય કુમળી કળીઓ અકાળે કરમાઈ જતી હોય છે.

આજકાલના સ્ટારોની જેમ તુનિશા શર્મા સોશ્યલ મીડિયા પર પણ સક્રિય હતી. તે પોતાની ખૂબસૂરત તસવીરો નિયમિત ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરતી હતી. ઇન્સ્ટાગ્રામ પર તેના ૧૨ લાખ ફોલોઅર્સ હતા. મરણના પાંચ કલાક પહેલાં તેણે ઇન્સ્ટાગ્રામ પર પોતાની તસવીર મૂકી હતી, જેની નીચે લખવામાં આવ્યું હતું કે ‘‘જેઓ લાગણીથી દોરવાતા હોય છે તેઓ ક્યાંય અટકતા નથી.’’આ પોસ્ટને ૫,૩૦,૫૦૨ લોકોએ વ્યૂ કરી હતી અને તેના પર ૪૮,૪૩૮ લોકોએ કોમેન્ટ કરી હતી. આ પોસ્ટના એક કલાક પહેલાં તેણે ઇન્સ્ટાગ્રામ પર પોતાની તસવીર મૂકી હતી, જેમાં તે ટી.વી. સિરિયલના સેટ પર મેક અપ કરાવી રહી હતી.

આ પોસ્ટ પરથી ખ્યાલ આવે છે કે તુનિશાનું મગજ સ્વસ્થ હતું અને તે આપઘાત કરે તેવી કમજોર નહોતી. વળી જો તેણે આપઘાત જ કરવો હતો તો તે પોતાના ફ્લેટમાં આપઘાત કરી શકતી હતી. તેણે સેટ ઉપર આવીને આપઘાત કરવાની કોઈ જરૂર નહોતી. સંભવ છે કે સેટ પર તેની હત્યા કરીને તેની લાશને લટકાવી દેવામાં આવી હોય. ફિલ્મો અને ટી.વી.ની દુનિયાના સિતારાઓ દ્વારા આપઘાત કરવાના કે તેમની હત્યા કરવાના સંખ્યાબંધ કિસ્સાઓ તાજેતરના ભૂતકાળમાં બન્યા છે, જેની વિગતો નીચે મુજબ છે : (૧) વૈશાલી ઠક્કર : આ વર્ષની ૧૬ ઓક્ટોબરે ‘યહ રિશ્તા ક્યા કહેલાતા હૈ’સિરિયલની ખૂબસૂરત અભિનેત્રી વૈશાલી ઠક્કર ઇંદોરના તેના ઘરમાં મૃત હાલતમાં મળી આવી હતી. પોલીસે તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ રાહુલ નાવલાની સામે આપઘાતની દુષ્પ્રેરણા કરવાનો કેસ કર્યો છે.
(૨) પ્રેક્ષા મહેતા : ક્રાઈમ પેટ્રોલ સિરિયલની હીરોઈન પ્રેક્ષા મહેતા તેના ઇંદોરના ઘરમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. તે મરતાં પહેલાં સ્યુસાઇડ નોટ લખતી ગઈ હતી.

(૩) પ્રત્યુષા બેનરજી : આ હીરોઈન બાલિકા વધૂ સિરિયલને કારણે ઘર ઘરમાં જાણીતી થઈ ગઈ હતી. તેણે ૨૪ વર્ષની ઉંમરે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. તેના બોય ફ્રેન્ડ રાહુલ રાજ સિંહની આપઘાતની દુષ્પ્રેરણા કરવાના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.
(૪) જિયા ખાન : ૧૬ વર્ષની ઉંમરે નિશબ્દ ફિલ્મમાં અમિતાભ બચ્ચનની હીરોઈન તરીકે કામ કરીને વિવાદાસ્પદ બનેલી અભિનેત્રી જિયા ખાને તેના મુંબઈ ખાતેના નિવાસસ્થાને ૨૫ વર્ષની ઉંમરે આપઘાત કરીને જિંદગીનો અંત આણ્યો હતો. તેના બોયફ્રેન્ડ સૂરજ પંચોલી પર હત્યાનો કેસ કરવામાં આવ્યો હતો, પણ પોલીસની તપાસમાં તે આપઘાતનો કેસ પુરવાર થયો હતો.

(૫) સિલ્ક સ્મિતા : દક્ષિણ ભારતની મશહૂર અભિનેત્રી સિલ્ક સ્મિતા સેક્સ બોમ્બ તરીકે જાણીતી હતી. તેણે ૨૦૦ થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. અનેક કલાકારો દ્વારા તેનું જાતીય શોષણ કરવામાં આવ્યું હતું. તેણે ૩૩ વર્ષની ઉંમરે ગળે ફાંસો ખાઈને સંદેહાત્મક આપઘાત કર્યો હતો.
(૬) કુલજીત રંધાવા : ૨૫ વર્ષની ઉંમરની કુલજીત મોડેલમાંથી ટી.વી. સ્ટાર બની હતી. તેણે હિપ હિપ હુરે, કોહિનૂર, સ્પેશિયલ સ્ક્વોડ વગેરે સિરિયલોમાં કામ કર્યું હતું. તેણે મુંબઈના ઉપનગર જુહુમાં આવેલા પોતાના સિંગલ રૂમ ફ્લેટમાં ગળે ફાંસો ખાઈને જિંદગીનો અંત આણ્યો હતો.

(૭) નફીસા જોસેફ : નસીફા જોસેફે ૧૯૯૭માં મિસ ઇન્ડિયાનો ખિતાબ જીત્યો હતો. તે મોડેલ ઉપરાંત રેડિયો જોકી તરીકે પણ જાણીતી હતી. તે પ્રાણીઓના અધિકારો માટે લડતી હતી. તેણે ૨૫ વર્ષની ઉંમરે પોતાના વરસોવાના ફ્લેટમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો.
(૮) સુશાંત સિંહ રાજપૂત : આ વિખ્યાત ફિલ્મસ્ટારના કમોતને કારણે દેશભરમાં ઉહાપોહ થયો હતો. સુશાંત સિંહ રાજપૂતની હત્યાનું રહસ્ય આજ દિન સુધી રહસ્ય જ રહ્યું છે.

Most Popular

To Top