Comments

પદયાત્રા કે રથયાત્રા અસરકારક રાજકારણ!

દેશમાં પ્રાદેશિક અથવા રાષ્ટ્રીય સ્તરે જુદા જુદા કાર્યક્રમોને આગળ ધપાવવા માટે રાજકીય નેતાઓ અને પક્ષો વિવિધ સમયે પદયાત્રાઓ અથવા વાહનોને રથ બનાવી દિનરાત મુસાફરી કરતા જોયા છે. એક રીતે રથનો ઉપયોગ કરવાનો આ નવતર પ્રયોગ અનેક રાજ્યોમાં રાજકારણમાં ચલણ બન્યો છે. હવે ચૂંટણીપ્રચાર દરમિયાન વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ આવી યાત્રાઓ કે રોડ શો નો સહારો લે છે. પ્રશાંત કિશોરે તેમના જન સુરાજ કાર્યક્રમની જાહેરાત કર્યા પછી લોકોનું ધ્યાન ખેંચ્યું છે. આ વર્ષે બીજી ઓક્ટોબરથી શરૂ થનારી ૩૦૦૦ કિલોમીટરની પદયાત્રાની જાહેરાત કરી ‘જન સુરાજ’ મંચ બનાવવાની જાહેરાત કરી પ્રશ્ન ખુલ્લો રાખે છે કે શું તે હશે? તેને વિશ્વાસ છે,હજારો લોકો તેમાં ભાગ લેશે,બિહારથી આ પદયાત્રા આરંભ થાય તે પાછળ પણ કોઈ ઠોસ યોજના તો હશે જ! તે બીજ ગણિત પહેલાં એક દૃષ્ટિ પદયાત્રા કે રથયાત્રાની તવારીખ પર.

૧૯૮૨ માં તેલુગુ ફિલ્મ સ્ટાર એન. ટી. રામા રાવ, તેમની શેવરોલે વાહનને રથ આકારે ફેરવીને તે સમયે આંધ્ર પ્રદેશની લંબાઈ અને પહોળાઈને આવરી લેવાના વિચારને અમલમાં મૂક્યો. ‘ચૈતન્ય રથમ’ની ટોચ પર સવાર થઈને તેલુગુ દેશમ પાર્ટીના સ્થાપકે લગભગ આખા રાજ્યની યાત્રા કરી.તેલુગુ ફિલ્મ સ્ટાર એન. ટી. રામા રાવ આંધ્ર પ્રદેશનાં લોકો સુધી ચૈતન્ય રથમ’ની યાત્રાથી સત્તા પરિવર્તનના વિચાર વહેતાં કર્યા! તેલુગુ દેશમ પાર્ટીના સ્થાપકે લગભગ ૩૫૦૦૦ કિ.મી. રોડ માર્ગ પર ફર્યા. આ દરમ્યાન તેમણે નાની સભાઓ અને મોટા ટોળાને સંબોધિત કર્યા, કેટલીક વાર સભાઓ કલાકો સુધી લંબાતી.લોકો સુધી પહોંચવાનો આ કાર્યક્રમ સફળ સંપર્ક માટે સાધનરૂપ બન્યો.આંધ્ર પ્રદેશમાં પ્રાદેશિક રાજકારણને પ્રવેશ મળ્યો હતો.નવો પવન ફૂંકાયો હતો.

અલગ વિચારસરણી ધરાવતાં સમાજવાદી નેતા ચંદ્રશેખરની પદયાત્રા અલગ પ્રકારની હતી, જેણે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. ચંદ્રશેખરની પદયાત્રા કન્યાકુમારીથી રાજઘાટ સુધી ૬ જાન્યુઆરી ૧૯૮૩ ના શરૂ થઈ અને ૨૫ જૂને સમાપ્ત થઈ. આ દિવસે જ ૧૯૭૫ માં ઈન્દિરા ગાંધીએ આંતરિક કટોકટી લાદી હતી. પાંચ મહિના અને ૨૫ દિવસમાં તેમણે પીવાનાં પાણી, પ્રાથમિક શિક્ષણ, પૌષ્ટિક આહાર અને અનુસૂચિત જાતિ/જનજાતિના કલ્યાણ વિશે વાત કરતાં ૪૨૦૦ કિલોમીટરથી વધુનો પ્રવાસ કર્યો.ચંદ્રશેખરે સ્પષ્ટ કર્યું હતું કે પદયાત્રાનો ઉદ્દેશ કોઈ રાજકીય કાર્યક્રમ કે પક્ષ આધારિત ઝુંબેશ નથી અને કોઈ પણ નેતા કે કાર્યકરને કોઈ દાન એકત્ર કરવા માટે અધિકૃત નથી,” હરિવંશ અને રવિ દત્ત બાજપાઈએ પુસ્તક “ચંદ્ર શેખર-ધ” માં નોંધ્યું છે. વૈચારિક રાજનીતિનું આ એક અલગ પૃષ્ઠ ગણાય.

૧૯૮૭ માં, સુનીલ દત્તની અદ્ભુત ૭૮ દિવસીય યાત્રાનો અંત આવ્યો જ્યારે તેણે અમૃતસરમાં હરમિંદર સાહિબમાં માથું ટેકવી પ્રાર્થના કરી. તે સમય હતો જ્યારે પંજાબમાં હિંસાત્મક આતંકવાદ ચરમસીમાએ હતો.અભિનેતા અને રાજકારણી સુનીલ દત્તે ૨૦૦૦ કિ.મી. લાંબી યાત્રા શાંતિ અને સંવાદ માટે ભાવનાત્મક અપીલ સાથે શરૂ કરી હતી.મંદિરમાં તેમના પ્રવેશને તોફાનીઓને પણ તે ક્ષણ માટે શાંતિની ઇચ્છામાં એકસાથે જોડાવા આવકારવામાં આવ્યાં હતાં.સુનીલ દત્તના આ પ્રયત્નો પ્રામાણિક હોવા છતાં તેમને પંજાબમાં હિંસાની સરહદ ઓળંગીને લાગણીના પ્રવાહને આવકારવા માટે લોકો તૈયાર ન હતા.

આખી મુસાફરી દરમિયાન તેમણે પીડા ભોગવી, રસ્તો ઉબડખાબડ હતો, તેમની સુવર્ણ મંદિરમાં જઈ પંજાબના લોકોને શાંતિ મળે તેવી પ્રાર્થના કરવાની ઇચ્છા હતી જેણે તેમને આગળ વધવા માટે પ્રેરિત કર્યા હતા. અલબત્ત સુનીલ દત્તની પદયાત્રામાં રાજકીય લાભની ધારણા ન્હોતી,તેની ત્યારે સંભાવના પણ ન હતી. જે રથયાત્રા જોરશોર સાથે પ્રસિધ્ધિ પામી તે સપ્ટેમ્બર-ઓક્ટોબર ૧૯૯૦ દરમિયાન ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીની રથયાત્રા હતી. આ યાત્રા રાષ્ટ્રીય રાજકારણમાં મંડલ-કમંડલની તકરાર વચ્ચે આવી હતી, જેની સાથે શ્રીરામ જન્મ ભૂમિ સ્થળે રામ મંદિરના સમર્થનમાં ભાજપને ટેકો મળ્યો.આગળ વધતાં તે ટકાઉ મુદ્દો બની ગયો. યાત્રાને જનસમર્થન મળ્યું,વિઘ્નો પણ નડ્યાં!

૧૯૯૧ – ૧૯૯૨ માં તત્કાલીન ભાજપ પ્રમુખ મુરલી મનોહર જોશીએ કન્યાકુમારીથી શ્રીનગર રાષ્ટ્રીય એકતા યાત્રા કરી પ્રજાસત્તાક દિવસે તિરંગો લહેરાવ્યો હતો. ૨૦૦૩ દરમિયાન અવિભાજિત આંધ્ર પ્રદેશમાં ચૂંટણી પહેલાં લોકોના મૂડને માપવા માટે પદયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. તત્કાલીન વિપક્ષના નેતા વાય.એસ. રાજશેખર રેડ્ડીએ બે મહિના સુધી ૧૫૦૦ કિ.મી. સુધી ચાલીને ગ્રામીણ લોકો ખાસ કરીને એન. ચંદ્રબાબુ નાયડુની ટી.ડી.પી. સરકાર જેઓ ઉપેક્ષિત હતા તે ખેડૂતો સાથે જોડાયા હતા.

વાય.એસ. રાજશેખર રેડ્ડીએ આંધ્ર પ્રદેશના અનેક જિલ્લાઓમાં લોકોને મળ્યા, ૧૪૭૫ કિ.મી. આવરી ત્રણ મહિનાની પદયાત્રા કરી. જેનાં પરિણામે ૨૦૦૪ માં યોજાયેલી ચૂંટણીઓમાં આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન બનવા માટે તેમના પક્ષને વિજય અપાવ્યો. વાયએસઆરસીપીના વડા વાયએસ જગનમોહન રેડ્ડીએ તેમના પિતાની સમાધિ પર અંજલિ આપ્યા બાદ તેમના વતન કડપા જિલ્લામાં આરકે વેલી ખાતે ‘પ્રજા સંકલ્પ યાત્રા’નામની પદયાત્રા શરૂ કરી. વાય એસ આર કોંગ્રેસ પાર્ટીએ ૪૩૦ દિવસમાં રાજ્યના તેર જિલ્લાઓમાં સવાસો વિધાનસભા વિસ્તારોમાં પગપાળા કૂચ માટે “રાવલી જગન, કાવલી જગન”(જગન આવવું જોઈએ. અમને જગન જોઈએ છે) સૂત્ર આપ્યું હતું. આ યાત્રા છ નવેમ્બર ૨૦૧૭ ના શરૂ થઈ હતી અને નવ જાન્યુઆરી ૨૦૧૯ ના રોજ સમાપ્ત થઈ હતી.

ઘણાં વર્ષો પછી, વાયએસઆરની પુત્રી શર્મિલાએ વાયએસઆર તેલંગાણા પાર્ટીની શરૂઆત કરવા માટે પ્રવાસ શરૂ કર્યો.

હાલમાં તેલંગાણાના ભાજપ એકમના વડા બંદી સંજય કુમાર કે ચંદ્રશેખર રાવની તેલંગાણા રાષ્ટ્ર સમિતિ સરકાર સામે ગતિ ઊભી કરવાના પ્રયાસમાં ‘પ્રજા સંગ્રામ યાત્રા’ પર છે. ભાજપ પ્રમુખ જગત પ્રકાશ નડ્ડાએ એક રેલીને સંબોધિત કરી હતી જ્યારે કુમાર ચાલી રહ્યા હતા તે દર્શાવે છે કે કેવી રીતે સરકાર વચનો પૂરાં કરવામાં નિષ્ફળ રહી છે. તેલંગાણામાં ૨૦૨૩ ના અંતમાં ચૂંટણી થવાની છે.આ રાજ્યમાં સત્તા પક્ષ તેલંગાણા રાષ્ટ્ર સમિતિ માટે વ્યૂહરચના વ્યાવસાયિક ધોરણે પ્રશાંત કિશોર જ કરી રહ્યાં છે.

રાજકીય વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર તૃણમૂલ કોંગ્રેસ સાથે કરારબદ્ધ છે.તેમનાં દરેક વ્યૂહમાં ભાવિ ચૂંટણી હોય તે સ્વાભવિક છે. તેમણે ભાજપ વિરોધી પક્ષોને એક વર્તુળમાં લાવવાના પ્રયત્નો કર્યા.૨૦૨૪ ની ચૂંટણી પહેલાં પ્રાદેશિક પક્ષો વચ્ચે બેઠકો અંગે તાલમેળ બહુ મુશ્કેલ કોયડો બની શકે તે સમજતાં એક નવો જ દૃષ્ટિકોણ અપનાવ્યો.પક્ષ માટે પહેલાં એક વિચારને વહેતો મૂકી તેને સશકત મુદ્દો બનાવી પહેલાં બિહારમાં અને પછી રાષ્ટ્રીય સ્તરે અજમાવી એક મોરચો માંડી સંઘર્ષ કરવાનો વ્યૂહ હોઈ શકે છે.સરળ રાજકારણ મુજબ પશ્ચિમ બંગાળમાં જે રીતે વ્યૂહરચના સફળ થઈ તે ત્રિપુરા, અસમ કે ઉત્તરપૂર્વ ભારતમાં કામ કરે, પણ અન્ય પ્રદેશો જેમકે ઉત્તર પ્રદેશ અને બિહારમાં સ્થાનિક મુદ્દાઓ સાથે જ વ્યૂહરચના ઘડવી ફરજિયાત બને છે.જન સુરાજ સંદેશવાહક બનશે.વિવિધ રાજકીય પક્ષો માટે ચૂંટણી પ્રચારને સફળતાપૂર્વક આગળ ધપાવનાર વ્યક્તિ તરીકેની છબી પ્રાપ્ત કર્યા પછી પ્રશાંત કિશોરનાં દરેક પગલાંને ખૂબ જ રસથી જોવામાં આવે છે.

બિહારનું રાજકારણ બહુ અટપટું છે.બિહારની બહુપક્ષીય વ્યવસ્થામાં ૨૧૨ પક્ષો ૨૦૨૦ ની રાજ્યની ચૂંટણી લડ્યા હતા અને જાતિ આધારિત રાજકારણમાં વિશિષ્ટ સ્થાન બનાવવું સરળ કદી રહેતું નથી. રાજ્યને ખરેખર એક નવી દૃષ્ટિ અને દિશાની જરૂર છે, કારણ કે સારાં કામ થયાં છતાં સામાજિક-આર્થિક પરિમાણોમાં પાછળ છે.રાજ્યના રાજકારણમાં અથવા રાષ્ટ્રીય રાજકારણ પર આ પદયાત્રાની શું અસર થશે તે અંગે કોઈ પણ નિષ્કર્ષ પર પહોંચવું ખૂબ જ વહેલું છે. તેમણે ફેબ્રુઆરી ૨૦૨૦ માં “બિહાર કી બાત” નામની પહેલ શરૂ કરી હતી જે આગળ વધી નહીં. પ્રશાંત કિશોરના જમા પાસામાં તેની સાથે રાજકારણના પાઠ શીખેલી ટીમ છે.પશ્ચિમ બંગાળ સહિત કેટલીક રાજ્ય સરકારો છે.જાહેરમાં દૂર રહેતાં પણ વ્યક્તિગત રીતે સમર્થન આપતાં નેતાઓ છે. દેશમાં રાજકીય વ્યૂહરચના તૈયાર કરતી હવે ઘણી એજેંસીઓ છે પણ પ્રચાર કે વિવાદથી દૂર રહી વ્યવસાયને વળગેલી છે.

એવું શું છે જે રાજકીય નેતાઓ મહત્ત્વાકાંક્ષી અથવા સ્થાપિત, કઠોરતામાંથી પસાર થઇ સહનશક્તિની કસોટી પાર કરી કઠોર હવામાનનો સામનો કરી, આરામ ભૂલી પદયાત્રાનો કઠિન પંથ સ્વીકારે છે. એવું માની શકાય છે કે આવા જનસંપર્કથી નેતાઓને લોકો સાથે સીધો સંપર્ક કરવા અને જોડવામાં મદદ મળે છે. સોશ્યલ મીડિયા અને ડિજિટલ કનેક્ટના આ દિવસોમાં પણ માનવીય રૂબરૂ મિલન નેતા અને પ્રજા બંને પર કાયમી અસર કરે છે. આશ્ચર્યની વાત નથી કે આ પદયાત્રાઓ ચાલુ રહેશે અને સત્તાના યાત્રીઓ તેમના ગંતવ્ય તરફ પ્રયાણ કરતાં રહેશે!
       – મુકેશ ઠક્કર
       – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top