Columns

માનવી બનવા માટે

ગુરુજીએ શિષ્યોને કહ્યું, ‘ચાલો, હું આજે તમણે માનવી બનવા માટે શું કરવું જોઈએ તે સમજાવું.’આ સાંભળી શિષ્યોએ વિચાર્યું; ‘આપણે બધા મનવી જ તો છીએ.ઈશ્વરે આપણને આપણા સારા કર્મ બાદ જ મનુષ્યદેહ આપ્યો છે.તો પછી ગુરુજી આ શું સમજાવવાની વાત કરે છે?’ ગુરુજી જાણે શિષ્યોના મનની વાત જાણી ગયા હોય તેમ બોલ્યા, ‘તમને બધાને થશે કે આપણે બધા માનવી જ તો છીએ..પણ શિષ્યો માત્ર માનવ જન્મ અને મનુષ્ય દેહ મળવાથી માનવી નથી થવાતું.માનવી બનવા માટે જીવનમાં સાત મહત્વના ગુણો અપનાવવા અને તે અનુસાર જીવવું જરૂરી છે.’

આટલું બોલી ગુરુજીએ એક સુભાષિત લખ્યું, ‘યેષાં ન વિદ્યા ન તપો ન દાનં ન જ્ઞાનં ન શીલ ન ગુણો ન ધર્મ; તે મૃત્યુલોકે ભુવિભાર ભૂતા મનુષ્યરૂપેણ મૃગાશ્વ્રારન્તિ.’ અને પછી ગુરુજીએ કહ્યું, ‘શિષ્યો, આ સુભાષિત જીવનભર યાદ રાખજો તેમાં માનવના સાત ગુણ સમજાવ્યા છે.’ ગુરુજીએ સુભાષિત સમજાવતા કહ્યું, ‘માનવ બનવા પહેલી ચીજ જરૂરી છે ‘વિદ્યા’-માત્ર થોથાઓનું વાંચન કે ભણતર નહિ પણ દરેક સમયે સાચી દિશામાં સાચું વિચારવાની ક્ષમતા; જે ભણતર અને ગણતર આપે તે ખરી વિદ્યા છે.બીજું છે ‘તપ’ અહીં તપના બે અર્થ છે એક પ્રભુભક્તિ માટે કરવામાં આવતું તપ;ઈશ્વરમાં શ્રધ્ધા અને બીજું જીવનમાં આગળ વધવા, સફળતા મેળવવા કે મુશ્કેલીના સમયે કષ્ટ સહન કરવાની, સતત મહેનત કરી,આગળ વધવાની નિષ્ઠા.યાદ રાખજો જીવનમાં પરિશ્રમ વિના કશું જ મળતું નથી.ત્રીજું અંગ છે દાન ઈશ્વરે આપણને માનવ જન્મ આપ્યો છે અને એટલે આપણે પણ આપની પાસે જે હોય તેમાંથી અન્યને આપતાં શીખવું અને આપતાં રહેવું.આપણા શાસ્ત્રોમાં દાનનો મહિમા મોટો છે.’

આ ત્રણ લક્ષણ વિષે સમજાવ્યા બાદ ગુરુજીએ કહ્યું, ‘માનવનું ચોથું લક્ષણ છે સાચું ‘જ્ઞાન’ એટલે કે પોતે કોણ છે ? જાત વિષે અને જીવનના ઉદેશ્યની સાચી સમજ જ્ઞાનમાર્ગે ચાલીને જ મેળવી શકાય છે.સત્સંગ,શાસ્ત્રો,મનન,ચિંતન આપણને પોતાની જાત સાથે ઓળખાણ કરાવે છે.પાંચમું સૌથી જરૂરી લક્ષણ છે ‘શીલ’ શુદ્ધ ચરિત્ર જે માનવ મન,વચન,કર્મથી શુદ્ધ હોય છે અન્ય માટે ક્યારેય ખોટું કે ખરાબ વિચારતો નથી.ઈર્ષ્યા-નિંદા કરતો નથી તે જ સાચો માનવ છે.છઠું લક્ષણ છે ‘સદગુણ’ જે માનવમાં નમ્રતા ,વિનય,મધુર વચન, નિયમિતતા,સમયપાલન,જેવા સારા ગુણો છે તે જ સાચો માનવ છે.અને સાતમું લક્ષણ છે ‘ધર્મ’ જે માંસ પોતાના ધર્મનું યોગ્ય રીતે ધર્માંધ બન્યા વિના પાલન કરે છે તે જ સાચો મનુષ્ય છે.જો આ સાત લક્ષણ આપણી અંદર હોય તો જ આપને મનુષ્ય છીએ નહી તો આ પૃથ્વી પર ભાર્સ્માન પશુ જ છીએ.’ ગુરુજીએ શિષ્યોને સાચા માનવ બનવાનો માર્ગ દેખાડી અને સમજાવી દીધો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top