Comments

કોંગ્રેસમાં સેકન્ડ કેડર ઊભી થશે તો જ પક્ષ સત્તા સુધી પહોંચશે

જેની સ્થાપનાને એક સદી કરતાં પણ વધુ સમય થઈ ગયો છે તેવી કોંગ્રેસ પાર્ટી હવે ધીરેધીરે ક્ષીણ થઈ રહી છે. ભારત આઝાદ થયા બાદ જો કોઈ પાર્ટીએ સૌથી વધુ વર્ષ દેશ પર રાજ કર્યું હોય તો તે કોંગ્રેસ પાર્ટી છે. રાજીવ ગાંધીના સમયમાં કોંગ્રેસની 400થી વધુ બેઠકો આવી હતી અને રાહુલ ગાંધીના સમયમાં કોંગ્રેસની બેઠકો 40ની આસપાસ થઈ ગઈ છે. કોંગ્રેસની આવી અવદશા માટે જો કોઈ જવાબદાર હોય તો તે કોંગ્રેસના જ નેતા છે. ભલે કોંગ્રેસના નેતા કહેતા હોય કે ભાજપ જીતે છે પરંતુ સત્ય હકીકત એ છે કે કોંગ્રેસના જ નેતા કોંગ્રેસને હરાવે છે અને કોંગ્રેસ ધીરેધીરે પોતાનું વર્ચસ્વ ગુમાવી રહી છે.

એવું નથી કે કોંગ્રેસ પાસે આજે પણ કાર્યકરો નથી પરંતુ કોંગ્રેસની એ સમસ્યા છે કે કાર્યકરો પોતાને નેતા સમજી બેઠા છે. આ એવા કાર્યકરો છે કે જેઓ રાજકારણના પગથિયા ચડ્યા નથી પરંતુ સીધા જ અગાસી પર પહોંચી ગયા છે. લોકોની સમક્ષ કેવી રીતે જવું? કયા પ્રકારના મુદ્દાઓ લોકો સમક્ષ રજૂ કરવા અને લોકોની કઈ વાતોને સત્તાધિશો સમક્ષ રજૂ કરવી તેની સમજ આવા કોંગ્રેસના કાર્યકરોને નથી. અને તેને કારણે કોંગ્રેસની હાલત ખસ્તા થઈ રહી છે. કોંગ્રેસના એક કાર્યકરની હાલત ખરાબ થઈ રહી હોય તો કોંગ્રેસનો બીજો કાર્યકર ખુશ થાય છે. દાયકાઓથી જે રૂઢિ ચાલતી આવી છે તે જ રૂઢિ પ્રમાણે કોંગ્રેસ કામ કરી રહી છે અને તેને કારણે એક પછી એક ચૂંટણીઓ અને એક પછી એક નેતા કોંગ્રેસ ગુમાવી રહી છે.

એક સમય હતો કે જ્યારે કોંગ્રેસમાં જવાહરલાલ નહેરૂથી શરૂ કરીને મોરારજી દેસાઈ જેવા દિગ્ગજ નેતા હતા. આ નેતાઓ લોકોની નાડ પારખતાં હતા. સમય કઈ દિશામાં ચાલી રહ્યો છે તે સમજતાં હતા. કઈ ટેકનોલોજી કોંગ્રેસને કામ લાગી શકે છે તે સમજતાં હતા અને આજના કોંગ્રેસના નેતા એ સમજવા જ રાજી નથી કે ખાલી રેલીઓ કાઢવાથી કે વિપક્ષી નેતાઓને ભાંડવાથી ક્યારેય લોકો મત આપવાના નથી.

આજનું રાજકારણ એ દાયકાઓ પહેલાના રાજકારણ જેવું નથી. પહેલાના સમયમાં ચૂંટણીઓ આવે અને નેતાઓ ભાષણ કરે, લોકો મત આપે અને સરકારો બની જતી હતી. હવે સમય બદલાઈ ગયો છે. ખરેખર તો ભાજપે સમય બદલી નાખ્યો છે. ભાજપે રાજકારણને કોર્પોરેટ લૂક આપી દીધો છે. આમ, તો ભાજપ પહેલેથી જ કેડર બેઈઝ્ડ પાર્ટી હતી પરંતુ નરેન્દ્ર મોદી આવ્યા બાદ તેમાં વધારો થઈ ગયો છે. ભાજપે ચૂંટણીને જાણે યુદ્ધનું સ્વરૂપ આપી દીધું છે.

મતદારોને બુથ સુધી ખેંચી લાવી ભાજપને મત મળે તે માટે ભાજપે એવું બુથ મેનેજમેન્ટ ગોઠવ્યું છે કે એક પણ મતદાર છટકી શકે નહીં. ભાજપે માઈક્રોલેવલે પહોંચીને પેજ પ્રમુખ બનાવ્યા. દરેક કાર્યકરને કામ આપ્યું. ભાજપે ટેકનોલોજીનો સૌથી વધુ ઉપયોગ કર્યો. સોશિયલ મીડિયાનો એવો ઉપયોગ કર્યો કે આદિવાસી વિસ્તારોના અંતરિયાળ ગામડાઓ કે જ્યાં કાયમ કોંગ્રેસ જીતતી હતી ત્યાં ભાજપ સોશિયલ મીડિયાના માધ્યમથી પહોંચી ગયું. ભાજપે હિન્દુત્વનો મુદ્દો મુખ્ય રાખ્યો પરંતુ સાથે સાથે અન્ય સમાજ કે ધર્મના લોકોને જોડવા માટે કાર્યક્રમો શરૂ જ રાખ્યા. છતાં ભાજપે હિન્દુઓનો ભરોસો તોડ્યો નહીં.

ભાજપે સતત એ ધ્યાન રાખ્યું કે હિન્દુત્વના મુદ્દે કોંગ્રેસના નેતાઓ હંમેશા ફસાતા જ રહે અને કોંગ્રેસના નેતાઓ ડફોળ સાબિત થયા. જ્યાં નહોતું બોલવાનું ત્યાં બોલીને બગાડ્યું અને જ્યાં બોલવાનું હતું ત્યાં ચૂપ બેસી રહ્યા. સરવાળે પક્ષને મોટું નુકસાન થયું. કોંગ્રેસ હાઈકમાન્ડ પોતાના જ નેતાઓને અંકુશમાં રાખી શક્યું નહીં. આવા નેતાઓએ પોતાનું મહત્વ દેખાય તે માટે વિવાદી નિવેદનો કર્યા અને તેનો સીધો લાભ ભાજપ લેતું રહ્યું.

કોંગ્રેસ માટે બીજી સૌથી મોટી સમસ્યા એ છે કે વર્ષોથી સત્તાથી દૂર રહેવાને કારણે કોંગ્રેસના નેતાઓ ધંધામાં લાગી ગયા અને હવે આ ધંધાઓ જ કોંગ્રેસને માત આપી રહ્યા છે. કોંગ્રેસના નેતાઓએ પોતાના ધંધાઓને સાચવવા માટે સત્તાપક્ષ ભાજપને સાચવવો જ પડે અને તેને કારણે સત્તાપક્ષની જે અસરકારક ટીકા વિપક્ષે કરવી જોઈએ તેવી ટીકા કોંગ્રેસના નેતાઓ કરી જ શક્યા નહીં. ઉલ્ટું સત્તાધારી ભાજપે નાક દબાવતા કોંગ્રેસના નેતાઓ દબાતા રહ્યા અને છેલ્લે અંતિમ ઉપાય તરીકે ભાજપમાં જોડાતા રહ્યા.

એવી હાલત છે કે કોંગ્રેસના નેતાઓ ભલે કોઈ પદ મળે કે ના મળે, પણ પોતાના ધંધાની સલામતી માટે પણ ભાજપમાં જોડાઈ રહ્યા છે. અને ભાજપ હાઈકમાન્ડ તેનો ફાયદો ઉઠાવી રહ્યું છે. બીજી સૌથી મોટી સમસ્યા એ છે કે કોંગ્રેસમાં બીજી હરોળના નેતાઓને આગળ આવવા દેવામાં જ આવ્યા નથી. ભૂતકાળમાં રાહુલ ગાંધીએ પોતાની યુવાટીમ બનાવી હતી પરંતુ કોંગ્રેસના પલાંઠી મારીને બેસી ગયેલા નેતાઓએ આ યુવા નેતાઓને ફાવવા દીધા નહીં. યુવા નેતાઓ પણ હારી-થાકીને બાદમાં ભાજપમાં જોડાઈ ગયા. હવે કોંગ્રેસ પાસે એવા યુવા નેતાઓ રહ્યા જ નથી.

જો કોંગ્રેસે ખરેખર સત્તા પર આવવું હોય તો સૌપ્રથમ સેકન્ડ કેડરના નેતાઓને પ્રાધાન્ય આપવાની જરૂરીયાત છે. આ નેતાઓ આજે નહીં તો કાલે કોંગ્રેસને સત્તા અપાવશે. કોંગ્રેસના કેટલાક નેતાઓ તો એવા છે કે જે પોતાના એપાર્ટમેન્ટની ચૂંટણી જીતી શકે તેમ નથી અને જે તે શહેર કે નગરના કોંગ્રેસના પ્રમુખ બનીને બેસી ગયા છે. રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા કાઢવાને બદલે કોંગ્રેસ જોડો યાત્રા કાઢવાની જરૂરીયાત છે.

કોંગ્રેસમાં કેડરો ઊભી કરવાની જરૂરીયાત છે. મતદારો સુધી પહોંચી શકે તેવા કાર્યકરો ઊભા કરવાની જરૂરીયાત છે. ચૂંટણી લડવા માટે પ્લાનિંગ કરવાની જરૂરીયાત છે. બુથ નહીં પણ ભાજપની જેમ મતદાર યાદીના પેજ પર રહેલા મતદારોને પક્ષના ઉમેદવારો સુધી ખેંચી લાવવાની જરૂરીયાત છે. આજે પણ દેશમાં કોંગ્રેસના કમિટેડ મતદારો છે જ અને જો રાહુલ ગાંધી કેડર ઊભી કરવામાં સફળ રહેશે તો કોંગ્રેસ માટે સત્તા દૂર નથી તે પણ એટલું જ સત્ય છે.

Most Popular

To Top