National

બિહારનાં ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવની આ કૌભાંડમાં થઈ શકે છે ધરપકડ?

બિહાર: બિહારમાં રાજકીય ઉથલ-પાથલ વચ્ચે ગતરોજ મહાગઠબંધનની સરકારનો ફ્લોર થયો હતો. જેમાં નીતિશ કુમાર અને તેજસ્વી યાદવ વિશ્વાસ મત જીતી ગયા હતા. ફ્લોર ટેસ્ટ પહેલા બિહારમાં CBIએ અલગ-અલગ સ્થળોએ દરોડા પાડ્યા હતા. જો કે હવે, બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવની મુશ્કેલી વધી શકે છે. રેલવેમાં નોકરીના બદલામાં જમીન કૌભાંડ(Land for Jobs Scam)માં બિહાર(Bihar)ના ઉપમુખ્યમંત્રી(Deputy Chief Minister) તેજસ્વી યાદવ(Tejashwi yadav)ની ધરપકડ(Arrest) થઈ શકે છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ મામલે સીબીઆઈને મહત્વના પુરાવા મળ્યા છે. આ હાર્ડ ડિસ્કનો મહત્વપૂર્ણ પુરાવો છે. આ હાર્ડ ડિસ્કમાં એવા લોકોની યાદી છે જેમણે નોકરીના બદલામાં જમીન આપી હતી. આ યાદીમાં 1458 લોકોના નામ છે જેમણે કથિત રીતે યાદવ પરિવારને રેલવેમાં નોકરીના બદલામાં જમીન આપી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ યાદી લાલુ પ્રસાદના પુત્ર અને નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે તૈયાર કરી હતી, જે ગયા મહિને સીબીઆઈ દ્વારા દરોડા દરમિયાન મળી આવી હતી.

શું છે રેલવેમાં નોકરીના બદલામાં જમીન કૌભાંડ?
આ મામલો યુપીએ-1 સરકારમાં લાલુ પ્રસાદ યાદવના રેલ્વે મંત્રીના કાર્યકાળનો છે. આરોપ છે કે લાલુ પ્રસાદના રેલ્વે મંત્રીના કાર્યકાળ દરમિયાન ઘણા લોકોને રેલ્વેમાં નોકરી આપવામાં આવી હતી અને તેના બદલામાં લાલુ પ્રસાદના પરિવારને જમીન મળી હતી. સૂત્રોએ જણાવ્યું કે, મિત્રો અને પરિવારના નામે જમીન લીધા બાદ જમીનનું એકત્રીકરણ પણ કરવામાં આવ્યું હતું. આ 1,458 કેસોમાંથી, લગભગ 16 કેસો પહેલેથી જ ચકાસવામાં આવ્યા છે અને સીબીઆઈ તપાસમાં પણ સાચા હોવાનું જણાયું છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે CBI આ મામલામાં રેલવે મંત્રાલયને પત્ર લખીને એવા ઉમેદવારો વિશે માહિતી માંગશે જેમને એક સાક્ષીએ જણાવ્યું હતું કે, ખોટા ડેટા અને પ્રમાણપત્રોના આધારે નોકરી આપવામાં આવી હતી.

તેજસ્વી યાદવની થઇ શકે છે ધરપકડ
સૂત્રોએ જણાવ્યું કે સીબીઆઈ આ કેસમાં તપાસના આગામી તબક્કામાં રેલવે કર્મચારીઓ દ્વારા આચરવામાં આવેલી ગેરરીતિઓની તપાસ કરશે અને ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવની પણ અમુક તબક્કે ધરપકડ થઈ શકે છે. કારણ કે તેની સામેના પુરાવા ખૂબ મજબૂત હોવાનું કહેવાય છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ના જણાવ્યા અનુસાર, લાલુ પ્રસાદ યાદવે 2004 થી 2009ના રેલ્વે મંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન રેલ્વેમાં નોકરીના બદલામાં તેમના પરિવારના સભ્યોના નામે જમીન મિલકતના ટ્રાન્સફરના સ્વરૂપમાં નાણાકીય લાભ મેળવ્યો હતો. તેમને રેલ્વેના વિવિધ ઝોનમાં ગ્રુપ ડીની પોસ્ટ પર નોકરી આપવામાં આવી હતી.

CBIનાં FIRમાં આક્ષેપો
સીબીઆઈએ એફઆઈઆરમાં આરોપ લગાવ્યો છે કે નોકરી શોધનારાઓએ પટનામાં તેમની જમીન લાલુ પ્રસાદના પરિવાર અને પરિવારના સભ્યોના નામે ભેટમાં આપી હતી. આ ભેટોમાં સ્થાવર મિલકતોના ટ્રાન્સફરનો પણ સમાવેશ થતો હતો. એફઆઈઆરમાં કહેવામાં આવ્યું છે કે પટનામાં 1,05,292 ચોરસ ફૂટ જમીન લાલુ પ્રસાદના પરિવાર દ્વારા અધિગ્રહિત કરવામાં આવી છે. રસપ્રદ વાત એ છે કે જમીન ટ્રાન્સફરના મોટાભાગના કેસોમાં વેચાણકર્તાઓને ચૂકવણી રોકડમાં દર્શાવવામાં આવી હતી. વર્તમાન સર્કલ રેટ મુજબ, ગિફ્ટ ડીડ દ્વારા સંપાદિત કરવામાં આવેલી જમીનની વર્તમાન કિંમત આશરે રૂ. 4.39 કરોડ છે.

Most Popular

To Top