Entertainment

‘તારક મહેતા…’ની રોશન ભાભીએ વીડિયો શેર કરી કહ્યું, ‘મારા મૌનને મારી કમજોરી ન સમજો’

મુંબઈ: દોઢ દાયકા કરતા વધુ સમયથી લોકોનું મનોરંજન કરતી અતિ લોકપ્રિય ફેમિલી કોમેડી સિરીયલ ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ના (Tarak Mehta Ka Oolta Chashma) પ્રોડ્યુસર અસિત કુમાર મોદી (AsitkumarModi) પર યૌન શોષણના સનસનીખેજ આક્ષેપ કર્યા બાદ હવે સિરિયલની અભિનેત્રી રોશનભાભી એટલે કે જેનિફર મિસ્ત્રી બંસીવાલેએ (JenniferMistryBansiwale) એક વીડિયો (Video) શેર કર્યો છે. જેનિફરે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર આ વીડિયો પોસ્ટ કરતા જ તેની પર અનેક પ્રતિક્રિયા આવવા લાગી છે.

‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ એક બાદ એક વિવાદમાં સપડાઈ રહી છે. અગાઉ સિરિયલના સૂત્રધાર એટલે કે તારક મહેતાનું પાત્ર નિભાવતા શૈલેષ લોઢા અને પ્રોડ્યુસર અસિત મોદી વચ્ચે વિવાદ થયો. લોઢાએ સિરિયલ છોડી દીધી હવે પ્રોડ્યુસર અસિત મહેતા વિરુદ્ધ સિરિયલની અભિનેત્રી રોશનભાભી એટલે કે જેનિફર મિસ્ત્ર બંસીવાલે ખૂબ જ ગંભીર આરોપ મુક્યા છે.

અસિત મહેતા પર જાતીય સતામણીના આરોપ જેનિફર મિસ્ત્રીએ મુક્યા છે અને આ મામલે ફરિયાદ પણ દાખલ કરાવી છે. જેનિફર દ્વારા અસિત મોદી વિરુદ્ધ કરાયેલા આક્ષેપોએ ટીવી જગતની સાથો સાથ ચાહકોમાં પણ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ત્યારે હવે જેનિફરે વધુ એક વીડિયો શેર કરીને આ આગને વધુ હવા આપી છે.

જેનિફરે ગુસ્સામાં કહ્યું, મારા મૌનને કમજોરી ન સમજો
જેનિફરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં અભિનેત્રીના હાવભાવ ખૂબ જ ગુસ્સાવાળા જણાય છે. તે ખૂબ જ નારાજ હોવાનું લાગી રહ્યું છે. તે વીડિયોમાં કહે છે, ‘મારા મૌનને મારી કમજોરી ન સમજો, ભગવાન સાક્ષી છે. એક દિવસ સત્ય બહાર આવશે’

અભિનેત્રીનો વીડીયો પર અનેક કોમેન્ટ
અભિનેત્રીએ વીડિયો પોસ્ટ કર્યા બાદ તે ખૂબ જ ઝડપથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે. અભિનેત્રીના ફેન્સ તેના સપોર્ટમાં ઉતરી આવ્યા છે. ફેન્સ એવી કોમેન્ટ કરી રહ્યાં છે કે જેનિફરને ઝડપથી ન્યાય મળે તે માટે તેઓ પ્રાર્થના કરશે.

આ છે સમગ્ર મામલો
જેનિફર મિસ્ત્રી બંસીવાલે કોમેડી સિરિયલના પ્રોડ્યુસર અસિત મોદી પર જાતીય સતામણીનો આરોપ મુક્યો છે. જેનિફરે પોતાની ફરિયાદમાં કહ્યું છે કે છેલ્લાં 15 વર્ષથી તેનું શોષણ થઈ રહ્યું છે, પરંતુ અસિત, તેની પુત્ર અને પરિવારને લીધે તે ચૂપ હતી. 2019માં આ અંગે જેનિફરે કો-સ્ટાર્સને જાણ કરી હતી. ત્યારે તેઓએ સહકાર આપવાની વાત કરી હતી, પરંતુ હવે કોઈ તેના સપોર્ટમાં નથી.

અસિતે કહ્યું આક્ષેપો બકવાસ છે
સિરિયલના પ્રોડ્યુસર અસિત કુમાર મોદીએ પોતાના બચાવમાં કહ્યું કે, શિસ્તભંગના લીધે જેનિફરને શો માંથી કાઢી મુકવામાં આવી છે, તેથી તે પાયાવિહોણા આરોપ મુકી રહી છે. આ મામલે અમે ફરિયાદ કરી છે.

Most Popular

To Top