SURAT

સુરતના નવા વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન માટે દિલ્હીગેટથી લંબેહનુમાન રોડ આટલો પહોળો કરાશે

સુરત (Surat): સુરતના નવા વર્લ્ડ ક્લાસ (World Class) રેલવે સ્ટેશન (Railway Station) (મલ્ટિ મોડલ ટ્રાન્સપોર્ટેશન હબ પ્રોજેકટ)ના વિકાસ માટે લંબેહનુમાન તરફ જતા રસ્તા પરની હયાત 50 ફુટની મંજૂર લાઇનદોરીમાં ફેરફાર કરી 30 મીટર કરવા અને દિલ્હીગેટ જંકશન પાસે લંબેહનુમાનથી સહારાદરવાજા તરફ જતા રસ્તાના વળાંકમાં ફેરફાર કરવા માટે શાસકો સમક્ષ દરખાસ્ત મુકવામાં આવી હતી. જેને મંજૂર કરી દેવામાં આવી છે. આ લાઇનદોરીમાં સુરત રેલવે સ્ટેશન આસપાસ મનપાનું શોપિંગ સેન્ટર તેમજ રેસ્ટોરન્ટ, હોટલ, ગેસ્ટહાઉસ, દુકાન, ઓફિસ સહિત 103 મિલકતને (Property) અસર થશે. આ મિલકતદારોને શું વળતર આપવું તે મલ્ટિ મોડેલ ટ્રાન્સપોર્ટ હબની (Multi Model Transport Hub) કંપનીની જવાબદારી રહેશે તેવું સ્થાયી સમિતિ ચેરમેન પરેશ પટેલે જણાવ્યું હતું.

  • સહારા દરવાજા મલ્ટિલેયર બ્રિજની જેમ સ્ટેશનની બન્ને બાજુ ગરનાળાઓ પર રેલવે ફલાયઓવર બ્રિજ બનાવવા વિચારણા
  • મનપાનું શોપિંગ સેન્ટર, હોટેલ, રેસ્ટોરન્ટ સહિત 103થી વધુ મિલકતો કપાતમાં જશે, જેને વળતર અપાશે

આ પ્રોજેકટના (Project) વિકાસ માટે ટી.પી સ્કીમ નં 4 (અશ્વિનીકુમાર-નવાગામ), ટી.પી સ્કીમ નં 8 (ઉમરવાડા) તથા વોર્ડ નં 7 ની ખાનગી માલિકીની જરૂરી જમીનો-મિલકતો ધી રાઇટ ટુ ફેર કોમ્પન્સેશન એન્ડ ટ્રાન્સપરન્સી ઇન લેન્ડ એક્વિઝિશન રીહેબિલિટેશન એન્ડ રિસેટલમેન્ટ એક્ટ 2013 જોગવાઇ મુજબ ચુકવવાપાત્ર થતી રકમની મર્યાદામાં રહીને વાટાઘાટથી જમીનો મેળવવા અને અસરગ્રસ્તોને વૈકલ્પિક વ્યવસ્થા આપી ફરજિયાત જમીન સંપાદન કરવા માટે 2017માં ઠરાવ કરવામાં આવ્યો હતો. મનપા દ્વારા આ પ્રોજેક્ટના અસરમાં આવતા મિલકતદારો પાસેથી વાંધા સૂચનો મંગાવ્યા હતા. જેમાં મનપા સમક્ષ 7 લેખિત વાંધા-સુચન વિભાગને મળ્યા હતા.

આ લાઇનદોરીથી સિટી સર્વે વોર્ડ નં.7 ની નોંધ નં. 4926, 4927, 502 2, 5051, મ્યુ. શોપિંગ કોમ્પ્લેક્ષ, નોંધ નં. 4940, 4941, 4940 પૈકી પ્લોટ નં.1 થી 15 વાળી મિલકતને અસર થાય છે. જેમાં દિલ્હીગેટ સુરત કોર્પોરેશન શોપ ઓનર એસોસિએશન દ્વારા રિંગરોડ તરફ શોપિંગ કોમ્પલેક્સ બનવાનું છે. જેમાં તેઓને વૈકલ્પિક ફાળવણી થાય પછી જ જગ્યાનો કબજો લેવા રજૂઆત કરી છે તેમજ સબરસ લેન પ્રોપર્ટી ઓનર્સ એસોસિએશન દ્વારા ધંધો બંધ થઈ જવાથી ધંધા પર નભતી વ્યક્તિઓને અસર થશે તેવા વાંધાઓ રજુ કર્યા છે.

Most Popular

To Top