uncategorized

સુરત મનપાએ આ વિસ્તારના બ્રિજ પર લગાવ્યા બોર્ડ, “આ અકસ્માત ઝોન છે”

સુરત: (Surat) સુરત મનપાએ (Municipal Corporation) શહેરમાં ટ્રાફિકનું (Traffic) ભારણ હળવું કરવા અને નદી કિનારાના એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં ઝડપથી પહોંચી શકાય એ માટે બ્રિજ બનાવ્યા છે. પરંતુ ઘણા બ્રિજ પર રોંગ સાઇડમાં વાહન ચલાવવાનું ન્યૂસન્સ વધી રહ્યું છે. તેથી મનપાએ નવો પ્રયોગ કરી ડભોલી-જહાંગીરપુરા બ્રિજ (Bridge) પર ‘આ અકસ્માત ઝોન છે’ તેવાં બોર્ડ મારી લોકોને ચેતવણી આપવા પ્રયાસ કર્યો છે.

  • ‘આ અકસ્માત ઝોન છે’: ડભોલી-જહાંગીરપુરા બ્રિજ પર મનપાએ બોર્ડ લગાવ્યાં
  • ડભોલી-જહાંગીરપુરા બ્રિજ પર ચાલકો રોંગ સાઇડ વાહન ચલાવી અકસ્માતને આમંત્રણ આપી રહ્યા હોવાથી મનપા દ્વારા ચેતવણી આપવા નવો પ્રયોગ કરાયો

શહેરમાં રાંદેર અને કતારગામ ઝોનને જોડતો જહાંગીરપુરા-ડભોલી બ્રિજ જ્યારથી બન્યો ત્યારથી રોંગ સાઇડ વાહનો ચાલતાં હોવાની ફરિયાદ છે. જહાંગીરપુરા તરફથી ડભોલી આવવા માંગતા કે જવા માંગતા વાહનચાલકો રોંગસાઇડ વાહન દોડાવતા હોવાનું ન્યૂસન્સ સતત વધ્યું હોવા છતાં પોલીસ મૂકપ્રેક્ષક બનીને જોઇ રહી હોય, હવે મનપાના તંત્ર દ્વારા કોઈપણ જાતના વળાંક વિનાના બ્રિજને સંભવિત અકસ્માત ઝોન જાહેર કરી બ્રિજ પર આ પ્રકારનાં બોર્ડ લગાવી વાહનચાલકોને સાચવીને વાહન ચલાવવાની અપીલ કરી છે.

મનપાની બસ સેવામાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનથી 1 મહિનો મુસાફરી ફ્રી
સુરત: સુરત મનપા દ્વારા શહેરમાં ટ્રાફિકની સમસ્યા ઘટે, સાથે સાથે પર્યાવરણની પણ સુરક્ષા થાય એ માટે બસ સેવા શરૂ કરવામાં આવી છે. વધુમાં વધુ લોકો આ સેવાનો લાભ લે એ માટે શહેરમાં સિટી બસ, બીઆરટીએસ અને ઈલેક્ટ્રિક બસ દોડાવવામાં આવી રહી છે. જેમાં પણ મનપા દ્વારા ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન મળે એ માટે ઘણા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સુરત મની કાર્ડ થકી કે પછી સિટી લિંક મોબાઈલ એપ દ્વારા ટ્રાન્ઝેક્શન કરી મુસાફરી કરનારને હવે 1 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી ફ્રી મુસાફરીનો લાભ આપવામાં આવશે.

સુરત મહાનગરપાલિકા દ્વારા યોજાયેલી સુરત સિટી લિંક લિ.ની 35મી બોર્ડ મીટિંગમાં મંજૂર થયા મુજબ જાહેર પરિવહન સેવામાં ડિજિટલ કેસલેસ ટ્રાન્ઝેક્શનને પ્રાધાન્ય મળે તથા નાગરિકો દ્વારા તેનો બહોળા પ્રમાણમાં લાભ લઇ શકે એ હેતુથી તા.1થી 30 સપ્ટેમ્બર સુધી સુરત મનીકાર્ડમાં ટેપ-ઈન/ ટેપ-આઉટ તથા સિટી લિંક મોબાઇલ એપ્લિકેશન મારફત ટિકિટ બુકિંગ કરી મુસાફરીમાં 100 ટકા રાહત આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં દરરોજ આશરે 11થી 12 હજાર લોકો સુરત મની કાર્ડ વાપરી રહ્યા છે.

Most Popular

To Top