SURAT

સુરતમાં ગુરૂકુળના 750 વિદ્યાર્થીઓએ દેશનો નકશો અને ‘મેરી માટી, મેરા દેશ’ની વિશાળ માનવ પ્રતિકૃતિ બનાવી

સુરત : સુરતમાં (Surat) ભારતને (India) કાજે પોતાના પ્રાણ ન્યોચ્છાવર કરનારા વીર-વીરાંગનાઓને અંજલિ આપવાના હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા તા. 9 થી 30 ઓગસ્ટ દરમિયાન “મેરી માટી, મેરા દેશ” (Meri Mati Mera Desh) કાર્યક્રમ દેશભરમાં યોજાશે, જેને અનુલક્ષીને સુરતના વેડ રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ (Swaminarayan Gurukl) વિદ્યાલયના 750 બાળકોએ (Students) ગુરૂકુળના પરિસરમાં દેશનો નકશો અને ‘મેરી માટી, મેરા દેશ’ની વિશાળકાય માનવઆકૃતિ બનાવી હતી. સૌએ પોતાના હાથમાં માટીયુક્ત છોડ રાખી વૃક્ષારોપણ કરવાની પ્રતિજ્ઞા લઇને પર્યાવરણ જાગૃતિનો ઉમદા સંદેશ પણ આપ્યો હતો.

ધો.6 થી 9 ના 750 બાળકોએ 30*28 સ્કવેર મીટરમાં ભારતમાતાનો નકશો અને ‘મેરી માટી, મેરા દેશ’ સૂત્રની પ્રતિકૃતિ બનાવી હતી. ઉપરાંત, દેશના 30 પરમવીર ચક્રથી સન્માનિત વીર શહીદોની તસ્વીરોને હાથમાં લઈને વિદ્યાર્થીઓએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. પ.પૂ.ધર્મવલ્લભદાસજી સ્વામી, શાસ્ત્રી દેવપ્રકાશદાસજી સ્વામી, શાળાના આચાર્ય શ્રી અરવિંદભાઈ ઠેસિયા અને ધર્મેશભાઈ સલીયાની પ્રેરણા અને માર્ગદર્શનથી વિદ્યાર્થીઓએ દેશભક્તિ અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો.

વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા તથા જિલ્લાશિક્ષણાધિકારીની કચેરીના શિક્ષણ નિરીક્ષક શ્રીમતી ડૉ.સંગીતાબેન મિસ્ત્રી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ચિત્ર શિક્ષકશ્રી પ્રવિણભાઈ, સુપરવાઈઝર જગદિશભાઈ તથા સ્ટાફની જહેમતથી વિદ્યાર્થીઓએ સામૂહિક રીતે આકર્ષક સિમ્બોલ બનાવ્યો હતો.

આ વર્ષે 15 ઓગસ્ટે દેશ પોતાની આઝાદીના 76 વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યો છે. આ દિવસે વડાપ્રધાન લાલ કિલ્લાની પ્રાચી પરથી રાષ્ટ્રને સંબોધિત કરશે. ગયા વર્ષે, કેન્દ્ર સરકારે દેશભરમાં ‘હર ઘર તિરંગા અભિયાન’ની જાહેરાત કરી હતી, ત્યારબાદ સામાન્ય લોકોએ તેમના ઘરની છત પર ત્રિરંગો લહેરાવીને આ અભિયાનમાં ભાગ લીધો હતો. આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે બહાદુર શહીદોના સન્માનમાં ‘મેરી માટી મેરા દેશ’ અભિયાન શરૂ કરવામાં આવશે. આ અભિયાન 30 ઓગસ્ટ સુધી ચાલશે.

Most Popular

To Top