Business

વિદ્યાર્થીઓને જર્નાલિઝમ, ટુરીઝમ, હોસ્પિટાલિટી મેનેજમેન્ટમાં કારકિર્દીની તકો વિશે માર્ગદર્શન અપાયું

સુરત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ (SURAT CHAMBER OF COMMERCE) એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા (AFTER BOARD EXAM) બાદ કયા – કયા ક્ષેત્રમાં કારકિર્દી(FUTURE)ની તકો રહેલી છે તે અંગે તેઓને સમયસર યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે કેરીયર ગાઇડન્સ મહોત્સવની શરૂઆત કરવામાં આવી છે.

વેબિનાર(WEBINAR)ના માધ્યમથી સોમવાર, તા. 26 એપ્રિલ 2021ના રોજ સાતમા દિવસે ઓરો યુનિવર્સિટી(UNIVERSITY)ની વિવિધ ફેકલ્ટી દ્વારા વિદ્યાર્થીઓને ધોરણ 12 બાદ ત્રણ વર્ષ, પાંચ વર્ષ અને પીએચડી (PHD) સુધીના અભ્યાસક્રમો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ડો. પ્રિતેશ શુકલએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ હોસ્પિટાલિટી મેનેજમેન્ટ(HOSPITALITY MANAGEMENT)નો કોર્સ કરીને કારકિર્દી બનાવી શકે છે. ચાર વર્ષના કોર્સમાં વિદ્યાર્થીઓને પ્રથમ, દ્વિતિય અને તૃતિય વર્ષ માટે વિદેશમાં મોકલવામાં આવે છે. ચોથા વર્ષે તેઓ યુનિવર્સિટીમાં રહીને કોર્સ પૂર્ણ કરે છે. જે વિદ્યાર્થીઓને ટુરીઝમ (TOURISM) અને હોસ્પિટાલિટી મેનેજમેન્ટમાં કારકિર્દી બનાવવાની હોય છે તેઓ આ કોર્સ કરી શકે છે. તેમણે બી.એસસી. – ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ઇન્ટીગ્રેટેડ બી.એસસી. – એમ.એસસી. – ઇન્ફોર્મેશન ટેકનોલોજી, એમ.એસસી. – ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને એમ.એસસી. – આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કોર્સ વિશે પણ માહિતી આપી હતી.

વધુમાં તેમણે ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ડિપ્લોમા ઇન ડિઝાઇન, બેચલર ઓફ ડિઝાઇન, ફેશન એન્ડ ટેકસટાઇલ ડિઝાઇન, ઇન્ટીરિયર સ્પેસ ડિઝાઇન, ગ્રાફિકસ એન્ડ કોમ્યુનિકેશન ડિઝાઇન, જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશનમાં બેચલર, માસ્ટર ડીગ્રી અને ઇન્ટીગ્રેટેડ કોર્સ તથા આર્ટ્‌સમાં ગ્રેજ્યુએશન અને માસ્ટર ડીગ્રી અને બેચલર ઓફ સાયન્સ વિશે પણ માહિતી આપી હતી.

ડો. મેઘના ડાંગીએ જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતમાં મોટા ભાગના વિદ્યાર્થીઓના વાલીઓ જુદા–જુદા બિઝનેસ સાથે સંકળાયેલા હોય છે. આથી વિદ્યાર્થીઓ પણ અભ્યાસ પૂર્ણ કરીને માતા–પિતાના બિઝનેસની સાથે જોડાવવા માંગતા હોય છે. આવા સંજોગોમાં આ વિદ્યાર્થીઓ માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનો અભ્યાસ કરી શકે છે. આ કોર્સમાં માર્કેટીંગ, હયુમન રિસોર્સ મેનેજમેન્ટ, ફાયનાન્સ અને ઇન્ટરનેશનલ બિઝનેસમાં સ્પેશ્યલાઇઝેશન કરી શકાય છે.

ડો. તનુ નારંગે પી જી ડિપ્લોમા ઇન ફેમિલી મેનેજ્‌ડ બિઝનેસ સંબંધિત વિવિધ કોર્સ વિશે માહિતી આપી હતી. તેમણે બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, બેચલર ઓફ કોમર્સ, બીબીએ પ્લસ પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા ઇન ફેમિલી મેનેજ્‌ડ બિઝનેસ, બીબીએ પ્લસ પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા ઇન ફાયનાન્સિયલ માર્કેટ્‌સ, પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા ઇન ફેમિલી મેનેજ્‌ડ બિઝનેસ, પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા ઇન ફાયનાન્સિયલ માર્કેટ્‌સ અને પીએચડી સુધીના અભ્યાસક્રમો વિશે વિસ્તૃત સમજણ આપી હતી. તેમણે ઓરો યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને કોર્સ દરમ્યાન ફેઝ 1 થી લઇને 3 સુધીમાં કરાવવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ વિશે પણ માહિતી આપી હતી.

વીના વૈશીએ જણાવ્યું હતું કે, વર્ષ 2019 માં દસ હજાર વિદ્યાર્થીઓ ઉપર કરવામાં આવેલા એક રિસર્ચ મુજબ 93 ટકા વિદ્યાર્થીઓએ 7 પ્રકારના ક્ષેત્રમાં જ કારકિર્દી બનાવવા માટે રસ દાખવ્યો હતો. જ્યારે કુલ 250 જેટલા ક્ષેત્રમાં કારકિર્દી બનાવી શકાય તેમ છે અને વિવિધ પ્રકારના 5000 જેટલા જોબ કરી શકાય છે. મોટા ભાગના વિદ્યાર્થીઓ નજીકના સંબંધીઓ તેમજ મિત્રોને જોઇને સારો પગાર તેમજ સુખ–સુવિધાવાળી નોકરી કરવાનું પસંદ કરતા હોય છે. પરંતુ વિદ્યાર્થીઓએ પોતાનું વ્યકિતત્વ, રસ અને એપ્ટીટયુટને ધ્યાનમાં રાખીને કારકિર્દી બનાવવાની દિશામાં વિચારવું જોઇએ તેમ તેમણે જણાવ્યું હતું.

વેબિનારમાં વિદ્યાર્થીઓ દ્વારા પુછવામાં આવેલા વિવિધ સવાલોના ઓરો યુનિવર્સિટીના ફેકલ્ટીઓ દ્વારા સંતોષકારક જવાબ આપવામાં આવ્યા હતા. ચેમ્બરની એજ્યુકેશન એન્ડ એકેડેમિક કોર્સિસ કમિટીના એડવાઇઝર તથા લાયબ્રેરી કમિટીના ચેરમેન અજિત શાહે સમગ્ર વેબિનારનું સંચાલન કર્યું હતું.

Most Popular

To Top