Charchapatra

સિલસિલો આશ્ચર્યજનક

છેલ્લા એક દોઢ વર્ષથી સતત હાર્ટએટેકના અઢળક કિસ્સાઓ રોજબરોજ નોંધાતા જાય છે, ત્યારે તાજેતરમાં હાથવગા મોબાઈલના માધ્યમથી વૉટ્સએપ સંદેશાઓ દ્વારા વધતાં જતાં યુવા મૃતકોનાં સીધાં કારણો માટે બિનઆરોગ્યપ્રદ ખોરાક – ફાસ્ટ ફુડને જ સરવાળે જવાબદાર ઠેરવ્યા કરે છે, પરિણામે આજે દેશભરની જનતા માટે સાર્વજનિક રૂપે સાર્વત્રિક ચર્ચાનો વિષય કોરોનાની વૅકસિન બની જઈ રહી છે એના મૂળમાં લોકદલીલો એવી પણ જાણવા સાંભળવા મળે છે કે, ફાસ્ટ ફુડ તો એક ઉપજાવી કાઢવામાં આવેલ એક સરળ બહાનું છે.

બાકી દેશભરમાં, ગુજરાતભરમાં તેમજ સ્વાદપ્રિય સુરતીઓમાં તો વર્ષોથી એકના એક જ તેલમાં તળાયેલી વાનગીઓ બાપદાદાની પેઢીથી ખવાતી જ આવી છે,બદલાયું હોય તો તેલની ગુણવત્તા.જો કે, એમાં પણ આટલી હદે બિનઆરોગ્યપ્રદ ન હોઈ શકે, એમાં બેમત નથી.  હમણાં હમણાં જ કેટલાક યુટ્યુબરો કહો કે, વિપક્ષના સભ્યો કહો કે, સાંપ્રત સમયની સરકાર સામે વિરોધ નોંધાવનારાઓ એવી દલીલો અને આક્ષેપો કરતા રહે છે કે,સરકારે જે રીતે કોરોના સમયે રસીકરણની રજૂઆત અને કાયદાકીય કાર્યવાહી સાથે સરકાર પક્ષે, રસી લેનારાઓના સ્વાસ્થ્ય બાબતે ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની તકલીફો ઉદ્ભવે તો એમાં સરકારની કોઈ જવાબદારી રહેશે નહિ, વ્યક્તિ પોતાના ખર્ચ અને જોખમ ઉપર જ સબબ કોરોનાની વૅકસિન લેશે. 

હવે અહીં લાખો રૂપિયાનો યક્ષપ્રશ્ન એ ઉદ્ભવે છે કે,સરકારે આવા પ્રકારની જાહેરાતોની બાંગ પોકારવા પાછળના કેવાં અને ક્યાં ગણિત મંડાયાં છે એ કોઈ પણ સમજદાર અને શિક્ષિતોના મગજમાં સીધી રીતે ઉતરતાં નથી એ વાતોનો પણ આપણે,સહજ સ્વીકાર કરવો પડે તેવી વાત નથી લાગતી? ખેર,તાજેતરમાં તો ખૂબ જ ચર્ચામાં છે એ.. વૅકસિન V/s .. ફાસ્ટ ફુડ.. કોણ જવાબદાર છે,આવી ઉત્તરોતર વધારો કરતી જતી ખૂબ જ ચિંતાજનક પરિસ્થિતિ જેમાં, દેશભરનાં વિવિધ રાજ્યોમાં યુવાઓમાં હૃદયરોગના હુમલાઓની વધતી જતી ભયજનક, કાળજાં કંપાવનારી બેસુમાર કસમયના મૃત્યુની ભરમાર!  જો કે, કાળની ગર્તામાં આવા પ્રકારની જાહેર ચર્ચાઓ પણ સરળતાથી દફન થઈ જશે, બાદમાં રાજકીય પક્ષો દ્વારા પણ તડામાર તૈયારી બાદ દફનાવી દેવાશે એ તો આવનારો સમય નથી જ કહેવાનો, પરંતુ.. સામ – દામ – દંડ અને ભેદની નીતિનાં ચાહકોનો આત્મડંખ એમના મનશરીર ઉપર ઉઝરડા જરૂર પાડશે.
સુરત     – પંકજ શાંતિલાલ મહેતા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top