ભક્તિ માટે સ્થાયી થયેલા પરિવારને વિશ્વાસમાં લઈ શાતિરોએ ઉડાવ્યા જીવનભરની કમાણીના કરોડો રૂપિયા
ગુજરાતની મિલકતો વેચીને વૃંદાવનમાં વસવા આવેલા પરિવારને બનાવ્યો નિશાન; 4 આરોપીઓની ધરપકડ, ₹2.60 કરોડથી વધુની રોકડ, લક્ઝરી કાર, ઘરેણાં અને મોંઘા મોબાઇલ જપ્ત
ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લાના વૃંદાવનમાં ગુજરાતના એક પરિવાર સાથે થયેલી અંદાજે ₹2.90 કરોડની ચોરીના હાઈપ્રોફાઇલ કેસનો પોલીસે પર્દાફાશ કર્યો છે. મથુરા પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરીને ચોરીમાંથી અંદાજે ₹2.60 કરોડથી વધુની રકમ, ચોરીના પૈસાથી ખરીદાયેલી લક્ઝરી કાર, સોના-ચાંદીના દાગીના, મોંઘા મોબાઇલ ફોન અને અન્ય સામાન કબજે કર્યો છે. આ સમગ્ર ઘટનાએ ભક્તિ અને વિશ્વાસના નામે થયેલા ગુનાને લઈને ભારે ચર્ચા જગાવી છે.
પોલીસના જણાવ્યા મુજબ પીડિત રાકેશ પ્રજાપતિ મૂળ ગુજરાતના ગાંધીનગર જિલ્લાના રહેવાસી છે. પત્નીના અવસાન બાદ તેઓ એકલા રહેતા હતા. તેમનો પુત્ર માનવ પ્રજાપતિ થોડા મહિના પહેલાં વૃંદાવન આવી આધ્યાત્મિક જીવન તરફ વળ્યો હતો અને એક આશ્રમ સાથે જોડાયો હતો. પુત્રના નિર્ણયથી પ્રેરાઈ રાકેશ પ્રજાપતિએ પણ પોતાનું બાકીનું જીવન ધાર્મિક વાતાવરણમાં પસાર કરવાનો નિર્ણય લીધો હતો.પોલીસની તપાસ મુજબ, રાકેશ પ્રજાપતિએ ગુજરાતમાં પોતાની મિલકતો, જેમાં મકાન, દુકાન, વાહનો અને સંપત્તિનો સમાવેશ થતો હતો, વેચી દીધી હતી. ત્યાર બાદ તેઓ વૃંદાવનના સુનરખ વિસ્તારમાં ફ્લેટ ખરીદી ત્યાં રહેવા લાગ્યા.
પરિવાર પાસે મિલકત વેચાણથી મળેલી મોટી રકમ રોકડ સ્વરૂપે ઘરમાં જ રાખવામાં આવી હતી. આ જ વાતની જાણકારી બાદમાં આરોપીઓ સુધી પહોંચી હતી.તપાસ દરમિયાન સામે આવ્યું કે રાકેશ પ્રજાપતિની ઓળખ નજીકમાં ગેસ્ટ હાઉસ ચલાવતા રાજન અને આલોક સાથે થઈ હતી.બંનેએ ધીમે ધીમે તેમની સાથે મિત્રતા વધારી અને વિશ્વાસ જીત્યો. દરમિયાન તેમને ખબર પડી કે પ્રજાપતિ પરિવાર પાસે કરોડો રૂપિયાની રોકડ ઘરમાં જ રાખવામાં આવી છે. ત્યારબાદ બંનેએ અન્ય સાગરિતો પ્રેમ સાગર અને હિરેન સાથે મળીને મોટી ચોરીનું કાવતરું ઘડ્યું.
પોલીસના જણાવ્યા મુજબ, પૂર્વનિયોજિત યોજના હેઠળ એક દિવસ આલોક રાકેશ પ્રજાપતિને આશ્રમ માટે જમીન બતાવવાના બહાને માંટ વિસ્તારમાં લઈ ગયો. બીજી તરફ બાકીના ત્રણ આરોપીઓ ફ્લેટ પર પહોંચ્યા અને તાળું તોડીને ઘરમાં પ્રવેશ કર્યો. તેમણે અલમારી અને પલંગમાં રાખેલી અંદાજે ₹2.90 કરોડથી વધુની રોકડ ચોરી કરી ફરાર થઈ ગયા. આખી ઘટના ખૂબ આયોજનબદ્ધ રીતે કરવામાં આવી હતી.જ્યારે રાકેશ પ્રજાપતિને શંકા જવા લાગી ત્યારે આરોપીઓએ વધુ એક ચોંકાવનારી ચાલ ચાલી. પોલીસના જણાવ્યા મુજબ તેમણે આલોકને છુપાવી દીધો અને ઉલ્ટું રાકેશ પ્રજાપતિને જ આલોકના અપહરણમાં ફસાવવાની ધમકી આપી. એટલું જ નહીં, જો પોલીસ ફરિયાદ કરશે તો તેમના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી.
આ ધમકીઓના કારણે ગભરાઈ ગયેલા રાકેશ પ્રજાપતિ થોડા સમય માટે પાછા ગાંધીનગર આવી ગયા હતા અને માનસિક આઘાતને કારણે તેમની તબિયત પણ બગડી ગઈ હતી. બાદમાં હિંમત એકઠી કરીને તેઓ ફરી વૃંદાવન આવ્યા અને જેંત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. ફરિયાદ નોંધાયા બાદ મથુરા પોલીસે વિશેષ તપાસ ટીમ અને સર્વેલન્સ ટીમની મદદથી આરોપીઓ સુધી પહોંચવા માટે ટેકનિકલ અને માનવ ગુપ્તચર માહિતીના આધારે તપાસ શરૂ કરી. તપાસ દરમિયાન આરોપીઓની હિલચાલ પર નજર રાખવામાં આવી અને આખરે સુનરખ રોડ નજીકથી ચારેય આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા.
ધરપકડ બાદની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા. પોલીસે આરોપીઓ પાસેથી અંદાજે ₹2.60 કરોડથી વધુની રકમ પરત મેળવી છે. ઉપરાંત ચોરીના પૈસાથી ખરીદાયેલી ફોક્સવેગન લક્ઝરી કાર, ઘટનામાં ઉપયોગમાં લેવાયેલી બીજી કાર, સોના-ચાંદીના દાગીના, આઈફોન સહિતના મોંઘા મોબાઇલ, બ્રાન્ડેડ કપડાં અને અન્ય સામાન પણ જપ્ત કરવામાં આવ્યો છે.આ કેસમાં ઝડપાયેલા આરોપીઓમાં હરિયાણાના ફરીદાબાદનો રાજન, ઉત્તર પ્રદેશના કુશીનગરનો આલોક તેમજ ગુજરાતના સુરત સાથે સંબંધ ધરાવતા હિરેન અને પ્રેમ સાગરનો સમાવેશ થાય છે. ચારેય સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો અને કોર્ટમાં રજૂ કર્યા બાદ તેમને જેલ હવાલે કરવામાં આવ્યા છે.
મથુરાના વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ કેસ માત્ર મોટી ચોરીનો નહીં પરંતુ વિશ્વાસનો ગેરલાભ ઉઠાવીને કરાયેલા ગુનાનો પણ છે. પોલીસની ઝડપી તપાસ અને ટેકનિકલ સર્વેલન્સના કારણે કરોડો રૂપિયાની રકમ અને અન્ય મુદ્દામાલ ઝડપથી પરત મેળવવામાં સફળતા મળી છે. આ કામગીરીમાં જોડાયેલી જેંત પોલીસ અને સર્વેલન્સ ટીમને પ્રશંસાપત્ર અને ઇનામ આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે.
આ સમગ્ર ઘટના દરેક માટે ચેતવણીરૂપ છે. અજાણ્યા લોકો સાથે ઝડપથી નાણાકીય માહિતી શેર કરવી, મોટી રકમ ઘરમાં રોકડ સ્વરૂપે રાખવી અથવા માત્ર વિશ્વાસના આધારે મહત્વપૂર્ણ નિર્ણયો લેવું જોખમી બની શકે છે. પોલીસનું કહેવું છે કે મોટી રકમ બેંકિંગ વ્યવસ્થામાં રાખવી વધુ સુરક્ષિત છે અને કોઈ પણ પ્રકારની શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તરત પોલીસને જાણ કરવી જોઈએ.