National

સાપુતારા ડાંગ કોંગ્રેસને ઝટકો : 200 થી વધુ કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં જોડાતા રાજકીય ભૂકંપ

સાપુતારા :
સ્થાનિક સ્વરાજયની ચૂંટણી (Local self-government elections) પહેલા ડાંગ જિલ્લા કોંગ્રેસ પાર્ટીને વધુ એક ઝટકો મળ્યો છે, ખમતીધર નેતા ગણાતા જિલ્લા પંચાયતનાં પૂર્વ શિક્ષણ સમિતિનાં અધ્યક્ષ મનીષાબેન ગાંગુર્ડે, હરેશભાઇ ગાંગુર્ડે, રાજુભાઇ કાળુભાઇ પવાર, આરોગ્ય સમિતિના અધ્યક્ષ ભાગવત દેશમુખ તેમજ મોટી સંખ્યામાં 4 ગ્રામ પંચાયતના 200 થી વધુ કોંગ્રેસી કાર્યકરો (CONGRESS WORKERS) ભાજપમાં જોડાતા રાજકીય ભૂકંપ સર્જાયો છે.

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પહેલા ડાંગ જિલ્લામાં મોટું પરિવર્તન જોવા મળ્યું છે.પૂર્વ ધારાસભ્ય ,જિલ્લા (DISTRICT) અને તાલુકા પંચાયતના સભ્યો સહિત હજારો કાર્યકરોને ચૂંટણી ઇન્ચાર્જ મંત્રી ગણપતસિંહ વસાવા અને અશોકભાઈ ધોરાજીયાની નેતૃત્વમાં ભાજપની વિકાસ યાત્રામાં જોડવા સફળ રહ્યા છે. વઘઇ,સુબિર તાલુકા બાદ આજરોજ જિલ્લા પંચાયતના પૂર્વ શિક્ષણ સમિતિનાં અધ્યક્ષ મનીષાબેન ગાંગુર્ડે, પૂર્વ આરોગ્ય સમિતિના અધ્યક્ષ ભાગવત દેશમુખ સહિત ગોટયામાળ, બારીપાડા,માલેગાંવ અને ગાઢવી મળી 4 ગ્રામ પંચાયતના 200 થી વધુ કાર્યકરો કોંગ્રેસ પાર્ટીને રામ રામ કરી મંત્રી ગણપત વસાવાનાં હસ્તે કેસરીયો ખેસ પહેરીને વિધિવત ભાજપમાં જોડાયા હતા.

વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના વિજય પટેલની ઐતિહાસિક જીત બાદ મોટું પરિવર્તન આવ્યુ છે.અને લોકો કોઈ પણ જાતની શરત વગર ભાજપમાં જોડાઈ રહ્યા છે.આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા માજી ધારાસભ્ય મંગળ ગાવીતે જણાવ્યુ હતુ કે જેવી રીતે સરકાર આદિવાસી બાળકોને પ્રવેશોત્સવ ઉજવે છે,તે રીતે ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા કોંગ્રેસી નેતાઓ,કાર્યકરોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. ગત વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસનાં ધુરંધરો ભાજપમાં પ્રવેશ કર્યા બાદ ધારાસભ્ય વિજયભાઈ પટેલની ભવ્ય જીત મેળવી હતી.ત્યારે હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રહ્યા સહ્યા ખમતીધર કોંગ્રેસી નેતાઓએ ભાજપની કંઠી ધારણ કરી લેતા કોંગ્રેસનું અસ્તિત્વ મટી જવા સાથે કોંગ્રેસ મુક્ત ડાંગની શરૂઆત થઈ ગઈ છે.

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવીત, જિલ્લા પંચાયતના બાંધકામ અધ્યક્ષ ચંદર ગાવીત બાદ જિલ્લા પંચાયતના અન્ય સભ્યો પણ ભાજપમાં જોડાતા કોંગ્રેસનું અસ્તિત્વ ભયમાં મુકાયુ છે.ડાંગ જિલ્લામાં ભાજપના ધારાસભ્યનાં ભવ્ય જીત બાદ રાજ્ય સરકારે વિકાસકીય કામોની હારમાળા સર્જી છે.તેવામાં સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસ નો હાથ છોડી ખમતીધર ધુરંધર નેતાઓના અભાવે કોંગ્રેસ પક્ષના અસ્તિત્વ સામે સવાલ ઉભો થવા પામ્યો છે.આ કાર્યક્રમમાં પાર્ટી પ્રમુખ દશરથભાઈ પવાર,ધારાસભ્ય વિજયભાઈ પટેલ,મહામંત્રીઓ હરિરામ સાવંત,કિશોરભાઇ ગાંવીત,રાજેશભાઈ ગામીત,માજી પ્રમુખ દિલીપભાઈ ચૌધરી, ઘનશ્યામભાઈ પટેલ,બાબુરાવભાઈ ચૌર્યા,રમેશભાઈ ડોન,માજી ધારાસભ્ય મંગળ ગાંવીત,ચંદરભાઈ ગાવીત,હીરાભાઈ રાઉત,બાબુભાઇ બાગુલ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા..

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top