National

રાજસ્થાનઃ પૂર્વ ડેપ્યુટી CM સચિન પાયલટે પત્ની સારાથી છૂટાછેડા લીધા, ચૂંટણી એફિડેવિટમાં થયો મોટો ખુલાસો

જયપુરઃ (Jaipur) રાજસ્થાનના (Rajasthan) પૂર્વ ડેપ્યુટી સીએમ અને કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્ય સચિન પાયલટ (Sachin Pilot) અને તેમની પત્ની સારા પાયલટ અલગ થઈ ગયા છે. સચિન પાયલટ અને સારા પાયલટ વચ્ચે છૂટાછેડા થઈ ગયા છે. પાયલોટના ચૂંટણી એફિડેવિટમાંથી આ વાત સામે આવી છે. ટોંક વિધાનસભા સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે નોમિનેશન ભર્યા બાદ સચિને આપેલા સોગંદનામામાં તેમની પત્નીના નામની આગળ ‘ડિવોર્સ્ડ’ લખેલું છે.

કોંગ્રેસના નેતા અને રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટે મંગળવારે ટોંક વિધાનસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી. પાયલટ હાલમાં ટોંક સીટથી ધારાસભ્ય છે. સચિન પાયલટે આ એફિડેવિટમાં પત્ની સારા પાયલટથી છૂટાછેડા લીધાનો ખુલાસો કર્યો છે. અગાઉ બંને અલગ-અલગ રહેતા હોવાના અહેવાલો સામે આવ્યા હતા પરંતુ બંને તરફથી ક્યારેય સત્તાવાર રીતે છૂટાછેડાની જાહેરાત કરવામાં આવી ન હતી. એફિડેવિટમાં સચિને ચોક્કસપણે બંને બાળકોનો ઉલ્લેખ કર્યો છે. જ્યારે 2018ની ચૂંટણીમાં આપેલી એફિડેવિટમાં તેમણે પોતાની પત્ની અને બે બાળકોનો ઉલ્લેખ કર્યો હતો.

ફારૂક અબ્દુલ્લાની પુત્રી છે સારા
સારા પાયલટ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાની પુત્રી છે. સારાના ભાઈ ઓમર અબ્દુલ્લા પણ જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી રહી ચુક્યા છે. સચિન અને સારા પાયલટ વિદેશમાં અભ્યાસ દરમિયાન નજીક આવ્યા હતા. આ પછી બંનેએ જાન્યુઆરી 2004માં લગ્ન કરી લીધા હતા. 2018માં કોંગ્રેસ સરકારના શપથ ગ્રહણ વખતે સારા તેના બે પુત્રો સાથે હાજર રહી હતી.

આ પહેલા 2014ની લોકસભા ચૂંટણી દરમિયાન સચિન અને સારાના અલગ થવાના સમાચાર આવ્યા હતા પરંતુ તે સમયે તેની પુષ્ટિ થઈ ન હતી અને આ અહેવાલોને નકારી કાઢવામાં આવ્યા હતા. સચિન પાયલટે આ એફિડેવિટમાં પત્ની સારા પાયલટથી છૂટાછેડા લીધાનો ખુલાસો કર્યો છે સાથેજ બે બાળકોનો પણ ઉલ્લેખ કર્યો છે. સચિન અને સારાને 2 પુત્રો છે. સચિને તેના બે પુત્રોના નામ આશ્રિત કોલમમાં લખ્યા છે.

પાયલટે તેની 2018ની એફિડેવિટમાં ભીવાડીમાં ઘર હોવાની વાત કરી હતી. એફિડેવિટમાં પાયલોટે જણાવ્યું હતું કે તેમનું ભિવડીના અરવલી વિહારમાં એક ઘર છે. જેને તેમણે 2010માં 14.72 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. તે સમયે તેની કિંમત 19 લાખ રૂપિયા કહેવાતી હતી. આ વખતે એફિડેવિટમાં આ ઘરનો કોઈ ઉલ્લેખ નથી. આ વખતે એફિડેવિટમાં પાયલોટે કહ્યું છે કે તેમની પાસે જયપુરમાં 435.72 સ્ક્વેર ફૂટનો ફ્લેટ છે. જયપુરના માનસરોવર વિસ્તારમાં સ્થિત આ ફ્લેટ 2021માં 30 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. હાલમાં તેની કિંમત 36 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે.

Most Popular

To Top