Comments

રાજકીય સમજ પણ સમાજશિક્ષણનો એક ભાગ છે અને એ જાતે જ વિકસાવવી પડે છે

લોકસભાની ચૂંટણી માથા પર છે.લોકશાહીમાં પ્રજાનું લોકશિક્ષણ જેટલું થાય તેટલી લોકશાહી મજબૂત થાય. મતદાન તો જ પવિત્ર અને કિંમતી છે જો તે વિચારપૂર્વક થાય. પાર્ટીના સમર્થકો અને કાર્યકર્તાઓ પોતપોતાના પક્ષની વિચારધારા અને પગલાને સમર્થન કરે તે તેમનું કામ છે.પણ પ્રજાએ વૈચારિક પરિપક્વતા કેળવવી જરૂરી છે અને તે માટે વ્યક્તિ બદલાય, પક્ષ બદલાય એ કરતાં વ્યવસ્થા બદલાય તેના પર નજર રાખવી જોઈએ. હાલમાં દેશમાં ભાજપ વિરુદ્ધ અન્યનો માહોલ છે.ભાજપના નેતાઓ જાણે છે કે લોકસભામાં કોંગ્રેસ ભલે ૫૦ થી ઓછી બેઠકોમાં સમેટાઈ, પણ તેના મૂળિયાં રાષ્ટ્રીય કક્ષાએ ફેલાયેલાં છે. એટલે પ્રચારમાં હમેશાં તેઓ કોંગ્રેસ પર પ્રહાર કરે છે. સંસદમાં હમેશાં કોંગ્રેસ વિરુદ્ધ વાત થાય છે ત્યારે તપાસવું એ રહ્યું કે શું ખરેખર કોંગ્રેસની વિચારધારા, પગલાં અને નીતિઓનો વિરોધ થાય છે કે માત્ર પ્રવચન થાય છે?

કોંગ્રેસનો એક અર્થ છે સારા ઉદે્શને પાર પાડવા ભેગા થયેલા લોકોનો સમૂહ.કોંગ્રેસની સ્થાપના ભારતમાંથી અંગ્રેજોની જોહુકમી દૂર કરવા અન્યાય સામે લડવા થઇ હતી જેમાં ગાંધી અને નહેરુ જોડાયા પછી તે સંપૂર્ણ સ્વરાજ્યની લડત કરનાર બની ગઈ.આઝાદી પછી આ જ કોંગ્રેસ રાજકીય પાર્ટી બની ગઈ અને ઇન્દીરા ગાંધીએ પોતાની નવી ઇન્દિરા કોંગ્રેસ ઊભી કરી, જે કોંગ્રેસ આઈ કહેવાય છે. હાલમાં જે રાજકીય પાર્ટી છે તે તો આ ઇન્દિરા કોંગ્રેસ છે અને આ કોંગ્રેસ આઝાદીની લડતવાળી કોંગ્રસ નથી.વળી અમેરિકામાં પણ કોંગ્રેસ છે, જેને ભારતની કોંગ્રેસ સાથે લેવા દેવા નથી. દુનિયાના ઘણા દેશોમાં કોંગ્રેસ છે, જે ભારતની રાજકીય પાર્ટી કોંગ્રેસથી જુદી છે.

આપણે ભારતીય રાજકારણની પ્રવર્તમાન સ્થિતિની વાત કરીએ અને કોંગ્રસની ટીકા કરીએ ત્યારે એ યાદ રાખવું જરૂરી છે કે આપણે ઇન્દિરા કોંગ્રેસની વાત કરીએ છીએ. ભારતમાં લોકસભાની ચૂંટણી વખતે આપણા પ્રધાન મંત્રી શ્રી કહેતા હતા કે અમારો ઉદ્દેશ દેશને કોંગ્રેસમુક્ત કરવાનો છે. દેશમાં કોંગ્રેસી કલ્ચર ઘુસી ગયું છે તેમાંથી દેશને બહાર લાવવો છે અને પ્રજાએ આ સ્વીકાર્યું પણ ખરું. કોંગ્રેસની વિરુધ્ધમાં મત પડ્યા પણ યાદ રહે પ્રજાને ઇન્દિરા કોંગ્રેસ અને હાલની પ્રજાને તો ૧૯૯૧ પછીની જોડતોડની રાજનીતિથી ચાલતી કોંગ્રેસ સામે વાંધો હતો. પરિવારવાદવાળી કોંગ્રેસ સામે વાંધો હતો. ઈજારાશાહી અને કેન્દ્રિત રાજ્ય વ્યવસ્થાથી વાંધો હતો.વડા પ્રધાન આવતા હોય, કોઈ નેતા આવતા હોય અને ટ્રાફિક કલાકો સુધી બંધ થઈ જાય,ઉપરથી કોઈ કાર્યક્રમ આવે છે અને અધિકારીઓ કશું જ વિચાર્યા વગર તેને અમલમાં લાવવા લાગી જાય અને પ્રજાનો મરો થાય.

લોક્સભાની ચૂંટણી આવે કે વિધાનસભાની ચૂંટણી આવે, માત્ર જ્ઞાતિ જાતિનાં સમીકરણોથી ઉમેદવાર નક્કી થાય,ગુનેગારોને છોડી દેવામાં આવે જો તેની પાસે મોટો મતદાતા વર્ગ છે.સરકારી નિયમોથી અર્થ તંત્ર અને સમાજવ્યવસ્થા બંધાયેલી જાણે દેશનું સરકારીકરણ થઇ ગયું.આ હાલત સામે સૌને વાંધો હતો. યુવાનોને ખાસ વાંધો હતો અને સત્તાનું પરિવર્તન થયું.આપણે અહીં લખ્યું હતું કે વ્યવસ્થા બદલાવાથી વિકાસ થશે.વ્યક્તિ બદલાવાથી વિકાસ નહિ થાય અને આજે જયારે દેશની સ્થિતિનો વિચાર કરીએ છીએ ત્યારે થાય છે કે ના આર્થિક, ના સામાજિક, કોઈ ક્ષેત્રે બદલાવ તો આવ્યો જ નહિ. ઉલટાનું જે ઇન્દિરા કોંગ્રેસમાં હતું એ જ ભાજપમાં આવ્યું.કેન્દ્રનું વર્ચસ્વ વધવા લાગ્યું.આર્થિક અને સામાજિક કે રાજકીય બાબતોમાં દિલ્લી જે નક્કી કરે તે થાય છે.

રાષ્ટ્ર પતિ હોય કે રાજ્યપાલ કે મુખ્ય મંત્રી બધું જ દિલ્લીથી નક્કી થાય છે.યોગ દિવસની ઉજવણી હોય કે સ્વચ્છતા અભિયાન, અધિકારીઓ કશું જોયા વગર આદેશો કરી દે છે.યોગ દિવસ ઉજવવો જોઈએ એટલું જ નહિ, રોજ માફકસર યોગ કરવાથી ફાયદો જ થાય એ વાત સાચી, પણ સરકારના રૂપિયાથી લાખો લોકો ભેગાં કરી કોઈ રેકોર્ડ માટે આખા તંત્રને કામે લગાડવું તે ઇન્દિરા કોંગ્રેસના કુટુંબ નિયોજન કાર્યક્રમ જેવું લાગે છે.ભલે કોંગ્રેસ કટોકટી માટે બદનામ છે પણ આલીખિત કટોકટી યાને મિડિયા સેન્સરશીપ ઘણાને અનુભવવામાં આવી છે.

માનનીય વડા પ્રધાન શ્રી દેશને કોંગ્રેસમુક્ત કરવા માંગતા હતા, પણ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા સભ્યો કરતાં પણ કોંગ્રેસની જ નીતિઓનો ભાજપ દ્વરા અમલ થતો જોઉં ત્યારે કોંગ્રેસ વધારે જીવતી લાગે છે.દેશમાં અધિકારી રાજ પાછું આવી ગયું છે.જી. એસ. ટી. ના અમલ પછી તો તે બધાને દેખાશે. ફરી વાર રાજ્યો કેન્દ્રના આર્થિક તાબામાં આવી જાશે.આપણને એ નથી સમજાતું કે વારે વારે બંધારણની દુહાઈ દેનારા આ જી. એસ. ટી. ના અમલમાં બંધારણની સમવાય વ્યવસ્થાનો છેદ ઊડી જાય છે તેની સામે કેમ નથી બોલતા ? આપણે આ જ કોલમમાં લખ્યું હતું કે જી. એસ. ટી. ના અમલ પછી રાજ્યના નાના મંત્રીઓની આર્થિક સ્વતન્ત્રતા જ ખલાસ થઇ જાય છે. હવે તેમને જે કહેવું હોય તે જી. એસ. ટી. કાઉન્સિલને કહેવું પડે. આમાં નાનાં રાજ્યો અને કેન્દ્રમાં સત્તામાં ના હોય તેવાં રાજ્યોને નુકસાન થશે.

માનનીય મોદી સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારે જી. એસ. ટી. નો વિરોધ કરતા હતા તે વાત સાચી જ હતી.તે મુખ્ય મંત્રી તરીકે જે કરી શક્યા, ઉદ્યોગોને લાભ આપી શકાય. તે જી. એસ. ટી. લાગુ હોત તો આપી શકત ? રાજ્યો વચ્ચે વેરા બાબતે જે સ્પર્ધા ચાલતી હતી,રાજ્યોને વેરા માફીની જે સત્તા હતી તેનો ઉપયોગ કરીને જ મોદી સાહેબ ઉદ્યોગપતિઓમાં પ્રિય બનેલા.હવે આસ્થા કેન્દ્ર પાસે ગઈ ..એટલે હવે પણ મોદી સાહેબ તો સાચા જ છે. વિચારવાનું તો બિનભાજપી રાજ્યોના મુખ્ય મંત્રીઓ છે.થોડા જ વખતમાં આ અનુભવ બધાને થશે.

ટૂંકમાં ભારતમાં પરિસ્થિતિનું પરિવર્તન નથી થતું પુનરાવર્તન થાય છે. નામ બદલાય છે, પણ નિયત બદલાતી નથી. કોંગ્રેસમુક્ત ભારતનાં સપનાં જોનાર ભાજપ ક્યારે કોંગ્રેસમુક્ત થાય તેની રાહ જુવે છે. એટલે આપણે પ્રજાએ થોડા લોક્શિક્ષણ અને જવાબદારી ઊભી કરવાની જરૂર છે. સત્તામાં હોઈએ ત્યારે એક અને વિરોધમાં હોઈએ ત્યારે બીજી વાત એ રાજનીતિમાં ચાલે. આપણે મતદાનમાં તો સ્પષ્ટ વિચારધારાને વળગી રહેવું, જે કોંગ્રેસમાં ખોટું હોય તે ભાજપમાં સાચું ના થાય. જે ભાજપમાં ખોટું હોય તે કોંગ્રેસમાં સાચું ના થાય.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top