Gujarat

મેહોણાને મારા રામ-રામ… PM મોદીએ કહ્યું વીજળીનું બિલ ઝીરો તો આવશે જ, વધારાના પૈસા પણ મળશે

અમદાવાદ: ગુજરાતમાં ચૂંટણીના પડઘમ હવે તેજ થઈ ગયા છે ત્યારે પ્રધાનમંત્રી મોદીના (PM Modi) ગુજરાત પ્રવાસ પણ વધી ગયા છે. ગુજરાતનાં (Gujarat) ચૂંટણી (Election) જાહેર થાય અને આચાર સંહિતા લાગે તે પહેલા સરકારી કામોની ભેટ આપવા માટે ફરીવાર પીએમ મોદી ગુજરાત આવી રહ્યા છે જેમાં સતત ત્રણ દિવસ સુધી પ્રધાનમંત્રી ગુજરાતનાં જુદા જુદા જિલ્લાઓમાં વિવિધ લોકાર્પણ (Launch) કરશે અને જંગી સભાઓને પણ સંબોધન કરશે. આ પહેલા પીએમ મોદી આવ્યા ત્યારે ભાવનર, અમદાવાદ અને સુરત જેવા ત્રણ મોટા શહેરોને કવર કરી લીધા હતા. આ વખતે રાજકોટ, જામનગર, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદમાં કાર્યક્રમો છે.

અમદાવાદ એરપોર્ટથી મહેસાણા માટે જવા રવાના થયા પીએમ મોદી
ત્યારે ત્રણ દિવસના ગુજરાત પ્રવાસને લઈ પીએમ મોદીનું ગુજરાતમાં આગમન થઈ ગયું છે. અમદાવાદ એરપોર્ટ ખાતે, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, સીએમ ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે તેમનું ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું.આજે અમદાવાદ એરપોર્ટ પર આગમન બાદ પ્રધાનમંત્રી મોદી સીધા જ મોઢેરા જવા માટે રવાના થયા છે . મહેસાણા ખાતે એક જંગી સભાને સંબોધી રૂ.2890 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જે બાદ પીએમ મોદી મોઢેરાને પ્રથમ BESS સોલર પાવર્ડ વિલેજ તરીકે જાહેર કરશે અને મોઢેશ્વરી માતાજીના આશીર્વાદ લઈને સૂર્યમંદિરમાં લાઇટ એન્ડ સાઉન્ડ શૉ ખુલ્લો મૂકશે અને રાત્રિ રોકાણ ગાંધીનગરમાં કરશે.

રૂ.1145.64 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ
આ વિકાસકાર્યોમાં રૂ.511 કરોડના ખર્ચે સાબરમતી-જગુદણ ગેજ કન્વર્ઝન (53.43 કિમી)નું લોકાર્પણ કરવામાં આવશે, જે અમદાવાદ-મહેસાણા ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટ (68.78 કિમી)નો એક ભાગ છે. સાથે જ, રૂ.336 કરોડના ખર્ચે ONGC-નંદાસણ સરફેસ ફેસિલિટીનું લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત, જે વિકાસકાર્યોનું લોકાર્પણ થશે, તેમાં એમ.એસ. પાઇપલાઇન પ્રોજેક્ટ, મોઢેરા સોલાર વિલેજ, ધરોઇ ડેમ આધારિત વડનગર, ખેરાલુ અને ધરોઇ ગ્રુપ રિફોર્મ સ્કીમ, બેચરાજી-મોઢેરા-ચાણસ્મા રોડ, ઉંઝા-દસાજ-ઉપેરા-લાડોલ રોડ એક્સપાન્શનની કામગીરી, મહેસાણા ખાતે રિજિયોનલ ટ્રેનિંગ સેન્ટર (SPIPA) અને મોઢેરા સૂર્યમંદિર ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શૉનો સમાવેશ થાય છે. કુલ મળીને રૂ.1145.64 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું.

રૂ.1747.38 કરોડના કામોનું ખાતમુહૂર્ત
સાથે જ, રૂ.1181.34 કરોડના ખર્ચે NH-68 ના પાટણથી ગોઝારિયા સુધીના રસ્તાનું 4 લેન અપગ્રેડેશન અને પીએસ હાઇવેની કામગીરીનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે. આ ઉપરાંત, રૂ.340 કરોડના ખર્ચે મિલ્ક પાવડર પ્લાન્ટ, રૂ.110 કરોડના ખર્ચે ટેટ્રા પેક પ્લાન્ટ અને રૂ.106 કરોડના ખર્ચે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના કાર્યોનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે. વિસનગર-ઉમટા-સુંઢિયા-ખેરાલુ રોડ પર બ્રિજીસના બાંધકામનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે. બધું મળીને કુલ રૂ.1747.38 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આમ, મહેસાણાને રૂ.2893.02 કરોડના વિકાસકાર્યોની ભેટ મળી છે.

સોમવારે પ્રધાનમંત્રી મોદી આમોદ તથા અડાલજમાં બે સભાઓને ગજવશે
સોમવારે પ્રધાનમંત્રી મોદી આમોદ તથા અડાલજમાં બે સભાઓને ગજવશે અને સાંજે જામનગરમાં પણ સંબોધન કરી ત્યાં જ રાત્રિરોકાણ કરશે. મંગળવારે જયેશ રાદડિયાના ગઢ જામકંડોરણામાં જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દોઢ લાખથી પણ વધુ લોકો આવશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. તે બાદ અમદાવાદ સિવિલનો એક કાર્યક્રમ પતાવી પ્રધાનમંત્રી મોદી મધ્ય પ્રદેશ જવા રવાના થશે.

Most Popular

To Top