Comments

નાગાલેંડમાં નેફયુ રિયો ઇતિહાસ સર્જશે

નાગાલેંડમાં એનડીપીપી ફરી સત્તા પર આવ્યો છે. એનું ભાજપ સાથે ગઠબંધન છે અને એનડીપીપીના નેફયુ રિયો ફરી મુખ્યમંત્રી બની ગયા છે અને પાંચમી વાર આ પદ પર શપથ લઈ ઇતિહાસ સર્જવા જઇ રહ્યા છે. જો એમણે આ ટર્મ પૂરી કરી તો એ સૌથી વધુ સમય સત્તા પર મુખ્યમંત્રીનો રેકર્ડ સર્જશે. અત્યારે આ રેકર્ડ સિક્કિમના મુખ્યમંત્રી પવનકુમાર ચેમલિંગના નામે છે જેમણે ૨૩ વર્ષ ત્યાં રાજ કર્યું છે.

નાગાલેંડ વિશિષ્ટ રાજ્ય છે. ઇશાન ભારતમાં આ રાજ્યમાં વસ્તી તો બહુ ઓછી છે અને ફાડી વિસ્તાર વધુ છે અને અહીં નાગા પ્રજા સદીઓથી પોતાના અધિકાર માટે લડત કરી રહ્યા છે. અંગ્રેજ શાસનના સમયથી આ આંદોલન ચાલે છે. ભારત આઝાદ થયાથી અત્યાર સુધી આ આંદોલન ચાલતું આવ્યું છે. અત્યારે શાંતિ છે એ સારી નિશાની છે. છેલ્લે ૨૦૧૫માં મોદી સરકારે નાગા સંગઠનો સાથે એક સમજૂતી કરી હતી એ પછી અહીં વિદ્રોહી ઘટના ઓછી થઈ છે. ૧૯૧૮માં નાગા ક્લબની સ્થાપના થઈ એ પછી અનેક સંગઠનો સ્થપાયાં છે. તેઓ પોતાના અલગ સમજે છે અને અલગ રાષ્ટ્રધ્વજ અને અલગ સંવિધાનની એમની માગણી છે. પહેલી વાર ૧૯૪૭માં સમજૂતી થઈ હતી. એ પછી અનેક પરિવર્તનો થયાં છે પણ આંદોલનનો અંત આવ્યો નથી.

આવા રાજ્યમાં મૂળે કોંગ્રેસી નેફયુ રિયો ફરી મુખ્યમંત્રી બન્યા છે. તેઓ નરેન્દ્ર મોદીની જેમ ૧૯૫૦માં એટલે કે આઝાદી બાદ જન્મ્યા છે. અંગામી નાગા જાતિમાંથી આવતા રિયો આર્ટસ સ્નાતક છે. ૧૯૮૯માં પહેલી વાર એ કોંગ્રેસમાંથી ધારાસભામાં ચૂંટાયા. એ પછી બીજી વાર ચૂંટાયા અને બાદમાં એમણે કોંગ્રેસ છોડી ૨૦૨૨ માં. નાગા પીપલ્સ ફ્રન્ટની સ્થાપના કરી. એ પહેલાં એ કોંગ્રેસના રાજમાં મંત્રી રહી ચૂક્યા હતા. એમને કોંગ્રેસ સાથે વાંધો પડ્યો અને આખરે એમણે કોંગ્રેસને સત્તાથી દૂર કરી અને ૨૦૦૩માં પહેલી વાર મુખ્યમંત્રી બન્યા.

જો કે, કોંગ્રેસે ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાદ્યું પણ ૨૦૦૮માં રિયો ફરી ચૂંટાયા. ૨૦૧૭માં એમણે એનડીપીપીમાં સામેલ થઈ ભાજપ સાથે જોડાણ કર્યું અને સત્તા પર આવ્યા અને ફરી એમનો મોરચો સત્તા પર આવ્યો છે. પાંચમી વાર રિયો ટર્મ પૂરી કરશે તો તેઓ સિક્કિમના પૂર્વ મુખ્યમંત્રી પવનકુમાર ચેમલિંગનો રેકર્ડ તોડશે. ચેમલિંગ ૨૩ વર્ષ મુખ્યમંત્રી રહ્યા હતા. જ્યોતિ બાસુ અને બાદમાં નવીન પટનાયક પણ એ જ શ્રેણીમાં આવે છે. મમતા બેનરજી પણ એ જ રેસમાં છે.પણ રિયો પાસે રેકર્ડની તક છે.

લાલુ યાદવનો પરિવાર ફરી ભીંસમાં બિહારમાં સત્તા ગયા બાદ ભાજપ લાલુ યાદવ અને નીતીશકુમારની મુશ્કેલીઓ વધે કેમ એ દિશામાં કામ કરી રહી છે. લાલુ યાદવ સામે ફરી એક જૂનો કેસ ખોલવામાં આવ્યો છે. રેલવેમાં ભરતીના જૂના કેસમાં ફરી તપાસ સીબીઆઈએ શરૂ કરી છે. લાલુ ૨૦૦૪થી ૨૦૦૯માં કેન્દ્રમાં રેલવે મંત્રી હતા ત્યારે એમણે જમીનના બદલામાં નોકરીનું કૌભાંડ કરેલું એની તપાસ ૧૩ વર્ષે ૨૦૧૮માં શરૂ કરી અને ત્યારે કાંઇ ના મળ્યું એટલે તપાસનો વીંટલો વાળી દેવાયો. પણ હવે એ કેસ ફરી ખોલવામાં આવ્યો છે. લાલુ સામે ઘાસચારા કૌભાંડ તો છે જ. એમાં પાંચ કેસ છે અને એમાં સજા લાલુ ભોગવી ચૂક્યા છે અને કિડનીની બીમારીમાં એમને જામીન મળ્યા.  સિંગાપોરમાં જઇ કિડનીનું સફળ ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું અને એમને નવજીવન મળ્યું.

પણ મોદી સરકાર એને નિરાંત લેવા દે એમ છે નહીં. સીબીઆઈ પૂછપરછ કરી રહી છે. બિહારમાં નીતીશ તો નબળા પડ્યા જ છે પણ લાલુનો પક્ષ નબળો ના પડે ત્યાં સુધી ભાજપ એકલા હાથે સત્તા મેળવી શકે એમ નથી અને લાલુ પુત્ર તેજસ્વીએ નીતીશને કેન્દ્રની રાજનીતિમાં મોકલવા દબાણ કરે છે એટલે કદાચ રાજદ નિશાને છે. લાલુ દૂધે ધોયેલાં નથી એ ઉઘાડું સત્ય છે. પણ કેન્દ્રીય એજન્સીઓનો રાજકીય હિતો માટે ઉપયોગ થાય છે એવી ફરિયાદો બડી સરકારો સામે થતી આવી છે અને એમાં દમ તો છે. લાલુ ૨૦૧૩થી ચૂંટણી લડી શકતા નથી. કારણ કે એ દોષી પુરવાર થયા છે એટલે તેજસ્વીને લગામ અપાઇ છે. પણ લાલુ સાજા નરવા થઈ ફરી મેદાનમાં આવે તો ભાજપ માટે મુશ્કેલી વધે એવું માનવામાં આવે છે અને એટલે એમના પરની ભીંસ વધે તો એ મુદે્ આક્ષેપો થાય એ સમજી શકાય એમ છે. દિલ્હીમાં આપ સરકારના મંત્રીઓ સામે જે રીતે કાર્યવાહી ચાલે છે એ પણ એવા જ આક્ષેપોને આમંત્રણ આપે છે.

તામિલનાડુમાં ભાજપને ઝાટકો
દક્ષિણમાં કર્ણાટક સિવાય કોઈ રાજ્યમાં ભાજપમાં સત્તા પર તો ઠીક પણ સંખ્યાબળ પણ ધરાવતું નથી. તામિલનાડુ દક્ષિણનું મોટું રાજ્ય છે. ૨૩૪ બેઠકમાં ભાજપ પાસે ૪ ધારાસભ્ય જ છે. અન્નાડીએમકે સાથે જો  દાન તો કર્યું છે પણ ભાજપ સાથી પક્ષોને નબળા પાડી પોતે આગળ વધે એવી નીતિના કારણે અન્નાડીએમકે નારાજ છે અને હમણાં જ ભાજપ આઇટી સેલના પ્રમુખ સી. આર. ટી. નિર્મળ ભાજપ છોડી અન્નાડીએમકેમાં જોડાયા છે. એમની સાથે ભાજપના અન્ય ૧૩ નેતા પણ જોડાયા છે. નિર્મળનું કહેવું છે કે, તામિલનાડુ ભાજપના પ્રમુખ અન્નામલાઈ ડીએમકે સાથે સાંઠગાંઠ ધરાવે છે. અન્નાડીએમકે સ્પષ્ટ કહે છે , ભાજપ ગઠબંધનનો ધર્મ નિભાવવામાં નિષ્ફળ ગયો છે અને નિર્મળ તો એક કોર્પોરેટ પક્ષના મેનેજર છે. લાગે છે કે, તામિલનાડુ હજુ ભાજપથી જોજનો દૂર છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top