National

મુખ્તાર અંસારીના મૃત્યુની ન્યાયિક તપાસનો આદેશ, સમગ્ર UPમાં એલર્ટ

બાંદા જેલમાં બંધ પૂર્વીય માફિયા મુખ્તાર અન્સારીનું (Mukhtar Ansari) ગુરુવારે મોડી રાત્રે હાર્ટ એટેક (કાર્ડિયા અરેસ્ટ)થી મૃત્યુ થયું હતું. મુખ્તારના મોત બાદ સમગ્ર યુપીમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ઘણા જિલ્લાઓમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. માફિયા મુખ્તાર અંસારીના પરિવારનો આરોપ છે કે તેને બાંદા જેલમાં ભોજનમાં ઝેર આપવામાં આવ્યું હતું. સરકારી વહીવટીતંત્ર તેને મારી નાખવા માંગતું હતું. જે બાદ હવે મુખ્તાર અંસારીના મૃત્યુની ન્યાયિક તપાસના (Judicial Inquiry) આદેશ આપવામાં આવ્યા છે.

પોસ્ટમોર્ટમ બાદ મુખ્તાર અંસારીના મૃતદેહને ગાઝીપુર જિલ્લાના મોહમ્મદબાદ યુસુફપુર સ્થિત તેમના પૈતૃક આવાસ પર લઈ જવામાં આવશે. પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર તેમના મૃતદેહને ગાઝીપુરના પૈતૃક કાલી બાગ કબ્રસ્તાનમાં દફનાવવામાં આવશે. આ કબ્રસ્તાન તેમના ઘરથી લગભગ ચારસો મીટર દૂર છે. આ કબ્રસ્તાનમાં મુખ્તારના માતા-પિતાની કબરો છે. બીજી તરફ મુખ્તારના મોતના સમાચાર મળતા જ તેનો આખો પરિવાર અબ્બાસના પેરોલ માટે અલ્હાબાદ હાઈકોર્ટ પહોંચ્યો હતો. કાસગંજ જેલમાં બંધ બાહુબલી ધારાસભ્ય અબ્બાસની પત્ની નિખત તેના સસરા મુખ્તારના મૃત્યુના એક દિવસ પહેલા તેના પતિને મળી હતી. બંનેએ લગભગ ત્રીસ મિનિટ વાત કરી હતી.

મુખ્તાર અંસારીના મોત પર સપાના સાંસદ ડૉ.એસ.ટી હસને કહ્યું કે આ તપાસનો વિષય છે. તેની તપાસ સુપ્રીમ કોર્ટના સીટીંગ જજ હેઠળ થવી જોઈએ. તેની તપાસ કોઈ નિવૃત્ત જજ હેઠળ ન થવી જોઈએ. જેથી સત્ય શું છે તે સાબિત થઈ જશે કે તેમની મોત કુદરતી છે કે રાજકીય મૃત્યુ. અબ્બાસ અંસારીને પેરોલ ન મળવાના મુદ્દે સપા સાંસદે કહ્યું કે ન્યાયિક ઈતિહાસમાં આનાથી મોટો કોઈ ડાઘ હોઈ શકે નહીં.

યુપીમાં કાયદો અને વ્યવસ્થાનો ‘ઝીરો અવર્સ’: અખિલેશ યાદવ
સમાજવાદી પાર્ટીના વડા અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અખિલેશ યાદવે ટ્વીટ કર્યું કે દરેક પરિસ્થિતિમાં અને દરેક જગ્યાએ કોઈના જીવનની રક્ષા કરવી એ સરકારની પ્રથમ જવાબદારી અને ફરજ છે. કોઈપણ સંજોગોમાં, કોઈપણ બંધક અથવા કેદીનું મૃત્યુ ન્યાયિક પ્રક્રિયામાંથી લોકોનો વિશ્વાસ ઘટાડી દેશે.

શિવપાલ સિંહ યાદવે મુખ્તાર અંસારીના મૃત્યુ પર કહ્યું છે કે આ પરિવાર સાથે અમારા ઘણા સારા સંબંધો હતા. સ્વતંત્રતા સંગ્રામમાં પણ આ પરિવારનું યોગદાન હતું. આ મોત શંકાના દાયરામાં છે. કોર્ટે પોતે આમાં રસ લેવો જોઈએ. જેલમાં કોઈનું મૃત્યુ થાય તો તેની જવાબદારી જેલથી લઈને સરકાર સુધીના વહીવટી અધિકારીઓની રહે છે. જ્યારે અબ્બાસના પિતાનું અવસાન થયું છે ત્યારે ડીએમએ પોતે અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે પરવાનગી આપવી જોઈએ.

ગેંગસ્ટરમાંથી રાજકારણી બનેલા મુખ્તાર અંસારીના મૃત્યુ અંગે સીપીઆઈ(એમ)ના નેતા બ્રિન્દા કરાતે કહ્યું કે તેમનું કસ્ટડીમાં મૃત્યુ થયું હતું અને મૃત્યુ પહેલા તેમણે ઘણી વખત કહ્યું હતું કે તેમને ધીમે-ધીમે ઝેર આપવામાં આવી રહ્યું છે. ચોક્કસપણે આ ખૂબ જ શંકાસ્પદ સંજોગો છે જેમાં તેમનું મૃત્યુ થયું હતું. જો કોઈ ડોન છે અને તેની સામે ઘણા કેસ નોંધાયેલા છે તો તેને ન્યાયની પ્રક્રિયા મુજબ સજા થવી જોઈએ. તે વારંવાર બીમાર પડી રહ્યા હતા, વારંવાર કહી રહ્યા હતા કે તેઓને સ્લો પોઈઝન આપવામાં આવી રહ્યું છે પરંતુ તેની કોઈ તપાસ થઈ નથી.

Most Popular

To Top