National

મોદીએ ઉજ્જવલા 2.0 શરૂ કરી, એડ્રેસ પ્રૂફની જરૂર નહીં

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એક વીડિયો કોન્ફરન્સ મારફતે મહોબા ઉત્તર પ્રદેશ ખાતે એલપીજી જોડાણ વિતરણ કરીને ઉજ્જવલા 2.0 યોજના (વડા પ્રધાન ઉજ્જવલા યોજના – PMUY) લોન્ચ કરી હતી. આ પ્રસંગે વડા પ્રધાને ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત પણ કરી હતી.

વડા પ્રધાને જણાવ્યું હતું કે ઉજ્જવલા યોજનાને કારણે સંખ્યાબંધ લોકો અને ખાસ કરીને મહિલાઓના જીવનમાં પ્રકાશ આવ્યો છે તે અભૂતપૂર્વ બાબત છે. આ યોજના 2016માં સ્વતંત્રતા સંગ્રામના લડવૈયા મંગલ પાંડેની જમીન ઉત્તર પ્રદેશના બલિયાથી લોન્ચ કરાઈ હતી. તેમણે જણાવ્યું હતું કે આજે ઉજ્જવલા યોજનાના બીજા ચરણનો પ્રારંભ પણ ઉત્તર પ્રદેશની વીરભૂમિ મહોબાથી થઈ રહ્યો છે.

તેમણે બુંદેલખંડના અન્ય એક ધરતીપુત્ર મેજર ધ્યાનચંદ અથવા તો દાદા ધ્યાનચંદને યાદ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે દેશના સર્વોચ્ચ રમતગમત પુરસ્કારનું નામ હવે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ તરીકે રાખવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે આ બાબતથી એવા લાખો લોકોને પ્રેરણા મળશે જેઓ રમતગમતને અપનાવવા માગે છે.

વડા પ્રધાને એ બાબતે દુઃખ વ્યક્ત કર્યું હતું કે દેશવાસીઓને દાયકો સુધી હાઉસિંગ, વિજળી, પાણી, શૌચાલય, ગેસ, માર્ગ, હોસ્પિટલ અને શાળાઓ જેવી મૂળભૂત સુવિધાઓ માટે રાહ જોવી પડી હતી. આ પ્રકારની ઘણી બાબતો પર દાયકાઓ અગાઉ ધ્યાન આપી શકાયું હોત. તેમણે જણાવ્યું હતું કે આપણી દીકરીઓ રાષ્ટ્રના નિર્માણમાં ત્યારે જ ઘર કે રસોડાની બહાર આવવા સક્ષમ બને જ્યારે તેમની ઘર અને રસોડાની સમસ્યાઓનો પ્રારંભથી જ નિકાલ આવી ગયો હોય.

તેમણે ઉમેર્યું કે આથી જ છેલ્લા છથી સાત વર્ષમાં સરકારે કેટલાક મુદ્દાઓને ઉકેલવા માટે મિશન મોડમાં કાર્ય કર્યું છે. ગરીબ પરિવારના બે કરોડથી વધુ ઘરોમાં મોટા ભાગે મહિલાઓના નામે શૌચાલય બાંધવામાં આવ્યા; ગ્રામ્ય માર્ગો; ત્રણ કરોડ પરિવારોને વિજળી જોડાણ પહોંચાડવામાં આવ્યા; કોરોના કાળ દરમિયાન જન ધન યોજના હેઠળ સરકાર દ્વારા મહિલાઓના ખાતામાં 30 હજાર કરોડ રૂપિયા જમા કરાવાયા હતા. આપણી બહેનો જન જીવન મિશન હેઠળ પાણીની પાઇપો પ્રાપ્ત કરી રહી છે. તેમણે જણાવ્યું હતું કે આ તમામ યોજનાઓએ મહિલાઓના જીવનમાં જોરદાર પરિવર્તન લાવી દીધું છે.

વડા પ્રધાને જણાવ્યું હતું કે 2014ની સરખામણીએ વધુને વઘુ ગેસ કનેક્શન આપીને અમે છેલ્લા સાત વર્ષમાં 100 ટકા ગેસ કવરેજની નજીક પહોંચી ગયા છીએ.તેમણે ઉમેર્યું હતું કે બુંદેલખંડ સહિત ઉત્તર પ્રદેશમાંથી ઘણા લોકો ગામડામાંથી શહેરમાં સ્થળાંતરિત થયા છે અથવા તો અન્ય રાજ્યોમાં સ્થળાંતરિત થયા છે. ત્યાં તેઓને સરનામાના પુરાવા (એડ્રેસ પ્રુફ)ની સમસ્યાનો સામનો કરવો પડે છે.

તેમણે કહ્યું કે ઉજ્જવલા 2.0 યોજના આ પ્રકારના લાખો પરિવારને મહત્તમ લાભ કરાવી આપશે. તેમણે ઉમેર્યું હતું કે હવે આ પ્રકારના કામદારોએ પુરાવા માટે અહીંથી તહીં ભટકવું પડશે નહીં. તેમણે જણાવ્યું હતું કે આ પ્રકારના પ્રવાસી મજૂરોની પ્રામાણિકતા પર સરકારને પૂરો ભરોસો છે. આ તમામે માત્ર એટલુ જ કરવાનું છે કે તેમણે ગેસ કનેક્શન માટે એક જાતે જ પ્રમાણિત કરેલા સરનામાનું પ્રુફ આપવાનું છે.

Most Popular

To Top