Comments

તાત્ત્વિક વિચારણાઓ કરતાં સક્રિય ભૂમિકા માટે સંકલ્પ કરીએ

બાઈબલમાં ભારપૂર્વક કહેવાયું છે, ‘પરમ પિતાનાં ગુણગાન ગાનાર જીભ કરતાં તેનું કામ કરનાર હાથ પવિત્ર છે.’ આ વાત સ્વરાજની લડત સમયે ગાંધીજીએ આચરણમાં મૂકી અને સૌને સક્રિય કર્યા. પરંતુ તે પછી મહાજન પરંપરામાં બૌદ્ધિક ચર્ચાઓ પ્રચલિત બનતાં વૈચારિકતા વધી, સૈધ્ધાંતિક ભૂમિકાઓ તૈયાર થવા લાગી. કાર્યની સફળતા – નિષ્ફળતાનાં માપદંડો નક્કી થયા. પણ દરિયામાં ઝંપલાવી સામે વહેણે કિનારે પહોંચવાની વાત કયાંયે આવી નહીં.

પરિણામે આઝાદી પછીનાં ૫૬ વર્ષ દરમ્યાન વ્યવસન મુકિત, નિરક્ષરતા- નિવારણ, પર્યાવરણ જાળવણી, બાળમજૂરી નાબૂદી, મહિલા શોષણ, ખાદી વસ્ત્ર, વિકેન્દ્રિત રોજગાર, વસ્તીવૃદ્ધિ, બિનસાંપ્રદાયિકતા જેવા વિષયો ઉપર ગહન ચર્ચાઓ થઈ, પણ જમીન ઉપરનું પરિણામ પાંખું રહ્યું અને પ્રશ્નો વધુ વિકરાળ બનતા ગયા. જ્યારે બીજી તરફ રાજકરણનાં સહારે પક્ષીય પ્રવૃત્તિઓ, લાભો, લાંચરુશ્વતથી થતી કામગીરી જેવી બાબતોમાં વિચારણાઓ કરતાં ઠોસ પ્રગતિ વધુ જોવા મળે છે, કારણ વિચારણાં કરતાં પ્રયત્નનાં ક્ષેત્રમાં પડેલા લોકોની રોજીરોટી પ્રજાના ઉકેલમાંથી મળે છે અને તેમની જીત બીજી લડતની ભૂમિકા છે.

આઝાદી પછીના ૫૬ વર્ષમાં કેટલાય નવા પ્રશ્નો ઊભા થયા છે, જેની લાંબી યાદી લગભગ બધાને કંઠસ્થ હોય છે. જો કે તેમાનાં કેટલાક પ્રશ્નોનાં સ્વરૂપ, ઘડતર અને નિરાકરણ સંબંધે વિચારભેદ હોઈ શકે. પરંતુ ગુજરાત રાજ્યને લાગે વળગે છે ત્યાં સુધી કેટલાક પ્રશ્નો એવા છે જે સંબંધે કયાંય બીજો મત નથી. જેમ કે બાળમજૂરી નાબૂદી,પર્યાવરણની રક્ષા, સ્ત્રીશોષણ નાબૂદી, વ્યસનમુકિત, ગ્રામોદ્યોગને પ્રોત્સાહન, જળસંરક્ષણ વગેરે. ૧૯૬૦ના દસકામાં ગુજરાતની શાળાઓની વકતૃત્વ સ્પર્ધામાં અને ધોરણ- ૧૧ની એસ.એસ.સી. બોર્ડની પરીક્ષાઓમાં ભારતે અણુબૉંબ બનાવવો જોઈએ કે નહીં તેની તાત્વિક ચર્ચા થયા કરતી. પરંતુ તત્કાલીન વડા પ્રધાન શ્રીમતી ઈન્દિરા ગાંધીએ દેશના સાર્વત્રિક હિતને લક્ષમાં રાખી અણુબૉંબ ધડાકો કરી નાખ્યો. તે પછી ચર્ચાનો વિષય પણ વિસરતો રહ્યો. તે પ્રમાણે સામાજિક વિકાસને અડચણરૂપ બનતા જે પ્રશ્નોમાં કોઈ બીજો મત નથી તેવા પ્રશ્નો અંગે એકની એક રેકર્ડ વગાડે રાખવા

કરતાં હવે નાગરિકોએ ઉકેલ તરફ એક ડગલું આગળ વધવા અને સંકલ્પ કરી પોતાની જાતને કાર્યાન્વિત કરવાની જરૂર ર છે. ઉદાહરણરૂપે વૃક્ષો કપાતાં બંધ થાય તે અંગે વિચારણા કરતા રહેવાને બદલે હવે સામાજિક ચેતના જગાડી પ્રથમ યુવકોને અને તે પછી મૃત્યુથી નજીકનાં વર્ષો તરફ ગતિ કરી ચૂકેલા હિંદુ પરંપર સાથે જોડાયેલા નાગરિકોને સંકલ્પ બદ્ધ કરીએ અને પ્રતિજ્ઞા કરીએ કે હું પોતે જ્યારે મૃત્યુ પામું ત્યારે પાછળ ૧૬૦ થી ૨૦૦ કિલો લાકડું બાળવામાં આવે નહીં. પરંતુ મને જમીનમાં દાટી તેના પર એક વૃક્ષ વાવવામાં આવે. આ પ્રકારે એક સંકલ્પથી માત્ર ગુજરાતમાં રોજ ૧૫૦ ટન લાકડું બળતું અટકશે. ગુજરાત રાજ્યના ઊર્જા વિભાગની આધારભૂત માહિતી અનુસાર ગુજરાતમાં માણસને બાળવા માટે વાપરાતાં ૪ થી ૮ ની જાડાઈનાં ૧૫૦ ટન લાકડા એટલે ૧૩ વર્ષ જુનું, ૧૮ હેકટરનું જંગલ. પર્યાવરણ સંરક્ષણની વાતો કરવા કરતાં હવે નાગરિકો સંકલ્પબદ્ધ થાય તેની આવશ્યકતા છે.

કાર્યાન્વિત થવા સંબંધે આપણી સંકલ્પબદ્ધતાની રાહ જોતો બીજો પ્રશ્ન છે. સ્ત્રીઓની શોષણ મુકિતનો. આ વિષયે પારાવાર વિચારણા થાય છે. પણ જે સ્ત્રીઓ શિક્ષિત છે, આર્થિક રીતે પગભર છે, તે બહેનો એવો સંકલ્પ કરે કે, હું પરણીને પુરુષનાં ઘરે જઈશ નહીં, પરંતુ પુરુષમિત્રને પતિ સ્વરૂપે મારા ઘરે લાવીશ. આમ થતાં પુરુષપ્રધાન સમાજ વ્યવસ્થા તૂટશે. પારંપારિક મૂલ્યવ્યવસ્થા બદલાશે અને સ્ત્રીઓ પોતાનું સન્માન અને સ્વાતંત્ર્ય જાળવીને વિકાસની નવી કેડી કંડારી શકશે. આ માટે સ્ત્રીઓની તરફદારી કરતી સંસ્થાઓએ પહેલ કરી યુવતીઓને અને તેમના વાલીઓને પરિવર્તન માટે સંકલ્પબદ્ધ કરવાનો સમય આવી પહોંચ્યો છે. આમ થતાં સમયાંતરે દ્રવિડ સમુદાયમાં પ્રચલિત હતી તેવી સ્ત્રીપ્રધાન કુટુંબવ્યવસ્થાનું પુનઃસ્થાપન થશે અને કુટુંબજીવનનો એક વધુ પર્યાય વિકાસ પામશે.

બાળમજૂરી સદંતર રીતે નાબૂદ થાય તો સહુ કોઈ રાજી થશે. કિશોર અવસ્થા સુધી બાળક શિક્ષણની પ્રક્રિયા સાથે જોડાએલ રહે તો સરવાળે દેશને એક સારો નાગરિક મળે છે એ વાતે કોઈ શંકા નથી. પરંતુ, એ પણ સત્ય છે કે ગરીબીવશાત્ બાળક ભણતરનો ખર્ચ વેઠી શકતું નથી અથવા ગરીબ વિધવા કે ત્યજી દેવાયેલ માતાને બેપૈસા રળી દેવા બાળક મજૂરીના હવાલે થાય છે અને સામાજિક રીતે તરછોડાય છે. આ પરિસ્થિતિની વિષમ ચર્ચાઓ કરી અંતે ચૂંટાયેલ સરકારની જવાબદારી છે તેમ કહી ભાગેડુ બની જવા કરતાં આમ નાગરિકો સંકલ્પ કરી પોતાની આસપાસ રહેતાં કોઈ પણ એક બાળકને દત્તક લઈ ગરીબ વિદ્યાર્થીનો ભણવાનો અને વરસે ૪ જોડી કપડાં ખરીદી આપવાનો ખર્ચ ઉપાડી લે તો પ્રશ્નોનું સ્વરૂપ હળવું બની જશે. આ પ્રકારની સંકલ્પબદ્ધતાથી માત્ર ગુજરાતમાં જ ૩ લાખથી વધુ બાળશ્રમિકો પૈકી ૧૦ ટકાનો પ્રશ્ન હલ થાય. તો પણ ઘણો મોટો બોજ ઉતરશે.

વ્યસનમુકિતની ચર્ચાઓમાં રસ ધરાવનારાઓ કદાચ જાણતા જ હશે કે માત્ર ગુજરાતમાં જ તમાકુ અને તેની ખાવા-પીવા અને સૂંઘવાની વિવિધ પદ્ધતિઓનાં ૭ લાખથી વધુ પેકેટો રોજેરોજ બજારમાં વેચી વેપારીઓ રોકડી કરી લે છે. હવે આ વિષયે તો તંબાકુથી દૂર રહેવાના સંકલ્પ સિવાય બીજો શો ઉપાય છે. આ પ્રકારે જળ સંરક્ષણની વાતે પણ સંકલ્પબદ્ધતા અનિવાર્ય છે. ગામે ગામ, દરેક ઘર સંકલ્પ કરે કે અમો કોઈ પણ પ્રકારની સરકારી કે ખાનગી દાતાઓની આર્થિક મદદની અપેક્ષા વિના ઘરનાં ફળિયામાં ખાડો ખોદાવી તેમાં ઈંટ – રોડાં કે પથ્થર ધરબીને છાપરાં – ધાબાં કે છતનું પાણી જમીનમાં ઉતારીશું. પાણી એ જીવનનો જ ભાગ છે.

આથી તેને જીવન જરૂરિયાત કહી ઊતરતો દરજ્જો આપી શકાય તેમ નથી, ત્યારે હવે પાણી સંચયનાં સૂત્રો, યાત્રાઓ અને પરિસંવાદ યોજવાનાં બદલે સંકલ્પની અમલવારી માટે કામ કરવાનું ઘટે છે. ટી.વી. કે રેડિયોનાં સ્ટુડિયોમાં બેસી યુદ્ધની તાત્ત્વિક ચર્ચા કરનારાઓને યુદ્ધ લડી જીત હાંસલ કરવામાં ભાગ્યે જ રસ હોય છે. તે વાત જેમણે લાભાન્વિત થવાનું છે તે સમુદાયે આંખ – કાન ખુલ્લાં રાખી સ્વીકારવી પડશે. આપ મૂઆ વિના સ્વર્ગે કે પછી નર્કમાં પણ જવાનું નથી તે જાણવા છતાં આજકાલ માત્ર બૌદ્ધિક ચર્ચાઓ અને ચર્ચાઓનાં અહેવાલોને આધારે સામૂહિક પ્રભાવ કે પછી ખોટી આશાઓ પ્રસારવામાં માનનારાઓની જમાત વધી રહી છે.

ત્યારે જે કર્મશીલો ઘસાઈને ઊજળા થવામાં માને છે, તેમણે મૂઠી ઊંચેરા થઈ બહાર આવવાની જરૂર છે. ‘કામ અધિક, બાતેં કમ.’ તેવું સૂત્ર આપણા દેશ માટે નવું નથી. મહાત્મા ગાંધીએ પણ, ‘‘મારું જીવન એ જ મારો સંદેશ.’’ આવી વાત કહીને સૌને કામઢા બનવાની વાત કરી છે. ચર્ચાઓ ને વિચારણાઓ સુધી પોતાની જાતને સીમિત કે કંઈક અંશે સલામત રાખવા માગતાં નાગરિકોએ સમજવું જોઈએ કે સવાલોનો ઉકેલ બૌદ્ધિક વિચારણાઓ કરતાં ભાવાત્મક સંકલ્પબદ્ધતાથી આવશે અને આપણા પ્રશ્નોનાં ઉકેલ માટે આપણે જ પ્રતિજ્ઞા લેવી પડશે. આપણે પોતે એક ઈંટ બનીશું તો એક દિવસ ઈમારત આકાર લેશે, જે નિર્વિવાદ છે.
ડો.નાનક ભટ્ટ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top