Comments

ભાજપ શા માટે રાહુલ ગાંધીને હીરો બનાવવા માંગે છે?

દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારીઓની એક ટીમ 19 માર્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવાસસ્થાને જાન્યુઆરીમાં તેમની ભારત જોડો યાત્રા દરમિયાન આપેલા ભાષણની વિગતો મેળવવા માટે ગઈ હતી. આનાથી વિપક્ષી પક્ષ તરફથી તીખી પ્રતિક્રિયા અપાઈ છે, જેણે આ મુલાકાતને ડરાવવાનો પ્રયાસ ગણાવ્યો છે. તેથી, તે સંસદમાં સરકાર વિરુદ્ધ તેના અભિયાનને આગળ વધારશે. દિલ્હી પોલીસના અધિકારીઓએ જણાવ્યું હતું કે, તેમના નિવાસસ્થાનની મુલાકાત ગાંધીના તેમના ભાષણના આરોપોના સંદર્ભમાં હતી કે, ‘મહિલાઓ પર હજી પણ યૌન શોષણ થાય છે.’

રાહુલ ગાંધીએ પોલીસની મુલાકાતના સમય પર વળતો પ્રહાર કર્યો છે (જે તેમણે ભાષણ કર્યાના 45 દિવસ પછી હતું) અને આક્ષેપ કર્યો હતો કે વાસ્તવિક હેતુ અદાણી વિવાદ પર સરકાર પરના તેમના હુમલાઓ સાથે જોડાયેલો છે. જો કે, ભાજપે કહ્યું કે, દિલ્હી પોલીસ માત્ર કાયદેસરની પ્રક્રિયાને અનુસરી રહી છે અને ગાંધીએ પોલીસ દ્વારા માંગવામાં આવેલી માહિતી પૂરી પાડવી જોઈએ, જેથી પીડિતોને ન્યાય મળી શકે. અચાનક, એવું લાગે છે કે, રાહુલ ગાંધી ભાજપ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ બની ગયા છે. અન્ય વિપક્ષી નેતાઓનું માનવું છે કે, ભાજપ યુકેમાં તેમની તાજેતરની ટિપ્પણી પર સંસદની કાર્યવાહી અટકાવીને સળગતા મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવા માટે રાહુલ ગાંધીને હીરો બનાવવાનો પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસ રાહુલ ગાંધીને સમર્થન આપ્યા વિના રહી શકતી નથી, પછી ભલે તે ગમે તે બોલે કે કરે. ભાજપ માટે રાહુલ કોંગ્રેસનો ચહેરો જ રહેવો જોઈએ.

તે 2024માં લોકસભાની ચૂંટણી પહેલાં તેની વ્યૂહરચના માટે અનુકૂળ છે – વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ તેમના વ્યક્તિત્વની તુલના એ બતાવવા માટે છે કે ભાજપ આ દેશમાં શાસન કરવા માટે કેવી રીતે સૌથી શ્રેષ્ઠ છે. તેમની ટિપ્પણી પર વિવાદને કારણે સંસદમાં હોબાળો મચ્યો છે, જેમાં સલાહ આપવામાં આવી છે કે, બ્રિટન અને અમેરિકા જેવા વિદેશોએ ભારતમાં લોકશાહીને બચાવવા માટે દરમિયાનગીરી કરવી જોઈએ. ભાજપ ઇચ્છે છે કે, લોકસભા સ્પીકર એક વિશેષ સમિતિની રચના કરે, જે એ બાબતની શોધ કરે કે શું રાહુલને  યુકેની મુલાકાત દરમિયાન તેમનાં નિવેદનો માટે સંસદમાંથી સસ્પેન્ડ કરવા જોઈએ કે કેમ. રાહુલે શું કહ્યું અને ભાજપ કેમ નારાજ છે? શું તેની ટિપ્પણીઓ વિશેષાધિકારના ભંગ સમાન છે? કમિટી શું તપાસ કરશે?

28 ફેબ્રુઆરીના રોજ રાહુલે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં કહ્યું હતું કે, ‘’દરેક વ્યક્તિ જાણે છે… કે ભારતીય લોકશાહી… હુમલા હેઠળ છે અને સંસ્થાકીય માળખું જે લોકશાહી માટે જરૂરી છે – સંસદ, એક મુક્ત પ્રેસ, ન્યાયતંત્ર, માત્ર એકત્રીકરણનો વિચાર…, આ બધા અવરોધિત થઈ રહ્યા છે…”. 6 માર્ચે, ચૅથમ હાઉસમાં ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું: “તે એક ભારતીય સમસ્યા છે અને તેનો ઉકેલ અંદરથી આવવાનો છે…. જો કે, ભારતીય લોકશાહીના માપદંડનો અર્થ એ છે કે [તે] વૈશ્વિક જનહિત છે.… જો ભારતીય લોકશાહી પડી ભાંગે છે…પૃથ્વી પર લોકશાહીને ખૂબ જ ગંભીર, સંભવતઃ જીવલેણ ફટકો લાગ્યો છે. તેથી તે તમારા (યુએસ અને યુકે) માટે પણ મહત્ત્વપૂર્ણ છે.” બીજેપીના જણાવ્યા મુજબ, રાહુલે બદનામ કરતી, અયોગ્ય ટિપ્પણીઓ કરી અને તેમને બદનામ કરવાના ગણતરીપૂર્વકના પ્રયાસના ભાગ રૂપે વિદેશી ધરતી પર ભારતીય સંસ્થાઓ વિશે અસહ્ય વાર્તા ફેલાવી.

શું રાહુલે જે કહ્યું તે સંસદના વિશેષાધિકારનું ઉલ્લંઘન છે?
બંધારણીય નિષ્ણાત સુભાષ સી કશ્યપ, જેઓ સાતમી, આઠમી અને નવમી લોકસભાના મહાસચિવ હતા, તેમણે જણાવ્યું હતું કે, ‘’તે ગૃહે નક્કી કરવાનું છે, તે નક્કી કરી શકે છે કે સભ્યે વિશેષાધિકારનો ભંગ કર્યો છે કે ગૃહની અવમાનના થઈ છે. ગૃહને સંપૂર્ણ સત્તા છે.” સામાન્ય રીતે રાહુલનો આરોપ છે કે, વિપક્ષી સાંસદો જ્યારે બોલે છે ત્યારે તેમના માઇક્સ બંધ કરી દેવામાં આવે છે. તે વિશેષાધિકાર સમિતિ માટે એક બાબત હોઈ શકે છે. કારણ કે, તેને અધ્યક્ષના અપમાન તરીકે જોઈ શકાય છે; જો કે, રાહુલ ગાંધીનું એવું કહેવું છે કે, ભારતમાં લોકશાહી પર હુમલો થઈ રહ્યો છે તે સંભવતઃ સંસદના વિશેષાધિકારના ભંગ સમાન નથી. જો કે, ફરીથી, તે ગૃહ જ છે, જે તે અંગે નિર્ણય લે છે કે કોને તિરસ્કાર તરીકે ગણાય.

રાહુલ કેસમાં હવે શું થશે?
જો ખરેખર સમિતિની રચના કરવામાં આવે તો લોકસભામાં સંખ્યાબળને જોતાં ભાજપની બહુમતી હશે. સમિતિ સામાન્ય રીતે એક મહિનામાં તેનો અહેવાલ સુપરત કરે છે; તે દરરોજ બેસી શકે છે અને તે રાહુલને ખુલાસા માટે બોલાવી શકે છે. જો કે, બીજેપી વાસ્તવમાં રાહુલને સસ્પેન્ડ કરવા માંગે છે કે કેમ તે ઓછું નિશ્ચિત છે. કેટલાક નિરીક્ષકો માને છે કે પક્ષ ફક્ત તેમના પર દબાણ બનાવી રાખવા માંગે છે; વાસ્તવમાં શાસક પક્ષના કેટલાક સાંસદોને ડર છે કે સસ્પેન્શનથી રાહુલ લોકોની સહાનુભૂતિ અને રાજકીય આકર્ષણ જીતી શકે છે. એકાએક એવું કેમ લાગે છે કે ભાજપને રાહુલની વધુ જરૂર છે તેના કરતાં રાહુલને ભાજપને દુશ્મન નંબર 1 તરીકેની જરૂર છે? દરમિયાન, કોંગ્રેસ તેમના નેતાને લાઇમલાઇટમાં રાખવા ધ્યાન આપી રહી છે. હાઈ વોલ્ટેજ ડ્રામા કરીને ભાજપ તેમને ઘણાં બધાં સાર્વજનિક સ્થાનો પ્રદાન કરી રહી છે, જે મેળવવા માટે તેઓ સંઘર્ષ કરી રહ્યા છે? 
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top