Comments

કર્ણાટકે કોંગ્રેસને ચાવી આપી?

આ સપ્તાહના અંતે નરેન્દ્ર મોદી વડા પ્રધાનપદના નવમા વર્ષમાં પ્રવેશ કરશે. લોકસભાની ચૂંટણી આવતા વર્ષે થશે.
હિમાચલ પ્રદેશ પછી કર્ણાટકમાં કોંગ્રેસનો અસરકારક વિજય થયા બાદ ફરી પાછો પ્રશ્ન એ થાય છે કે મોદી ભારતીય જનતા પક્ષ માટે સતત ત્રીજી વાર બહુમતી મેળવી શકશે? જવાહરલાલ નેહરુ સિવાય કોઈ વડા પ્રધાને ત્રીજી વારની મુદતમાં સત્તા મેળવી નથી. ડૉ. મનમોહનસિંહ દસ વર્ષ સુધી સત્તા પર હતા, પણ તેમના પ્રધાનમંડળના સાથીઓએ ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપોને કારણે યુપીએ સરકાર ત્રીજી વાર સત્તા પર આવી શકી નહીં અને નરેન્દ્ર મોદી 2014માં વડા પ્રધાન બની ગયા. સૌ પ્રથમ વાર ભારતીય જનતા પક્ષને સંસદમાં સંપૂર્ણ બહુમતી મળી.

ચડતીપડતી છતાં મોદીએ લોકપ્રિયતા ટકાવી રાખતા ભારતીય જનતા પક્ષને 2019 માં તેનાથી પ્રચંડ જનાદેશ મળ્યો અને આ વર્ષના અંત સુધીમાં છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને તેલંગણમાં વિધાનસભાની ચૂંટણી થશે ત્યારે પ્રશ્ન એ થાય છે કે હિમાચલ પ્રદેશ અને કર્ણાટકની જેમ આ રાજ્યોમાં પણ ભારતીય જનતા પક્ષને જરૂરી બહુમતી નહીં મળે તો તેની અસર 2024 ની ચૂંટણી પર થશે? 2013માં ભારતીય જનતા પક્ષ આ તમામ રાજ્યોમાં નિરાશ થયો હતો છતાં મોદીને એ જ ચાર રાજ્યોમાં લોકસભાની પછીની ચૂંટણીમાં પ્રચંડ વિજય મળ્યો હતો. લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણીઓ બે અલગ બાબત છે અને આપણી પાસે જુદાં જુદાં કામ માટે જુદા જુદા પક્ષોની પસંદગી કરવામાં કોઈ મુશ્કેલી નથી એવું આપણાં મતદારો સમજે છે એટલે?

કર્ણાટકની તાજેતરની ચૂંટણીમાં ભ્રષ્ટાચારના કલંકે ભારતીય જનતા પક્ષને નુકસાન પહોંચાડ્યું અને તેણે મોદી પર આધાર રાખવો પડ્યો પણ રાજ્ય સરકાર બદનામ થઈ હોવાથી પરિણામ તેની તરફેણમાં ન આવ્યા .”40% સરકાર’ નો બટ્ટો સાફ કરવાનું મુશ્કેલ હતું. કોંગ્રેસ એ આક્ષેપોની ફરતે સારામાં સારી ઝુંબેશ ચલાવી અને તે મુદ્દો ચગાવ્યે જ રાખ્યો.
2019 ની લોકસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધી સૂત્ર લાવ્યા હતા :ચોકીદાર ચોર હૈ. પણ કંઈ વળ્યું નહીં .મોદી ભ્રષ્ટ છે એવું કોઈ માનતા ન હતા. 2024 ની ચૂંટણી પહેલાં કોંગ્રેસ આવી જ પરિસ્થિતિ સર્જવા માંગે છે. મોદીને અપાર શ્રદ્ધા છે કે સત્ય તેમના પક્ષે છે અને લોકો અમને ત્રીજી વાર જનાદેશ આપશે કારણ કે તેમની પાસે યોગ્ય હેતુસરની કલ્યાણ અને વિકાસ યોજનાઓ છે.

આમ છતાં વિરોધ પક્ષોને એકતા માટેની હિલચાલે મહત્ત્વ ધારણ કર્યું છે. નીતીશકુમાર મોદી સામે વિરોધ પક્ષોને એક કરવા સખત મહેનત કરી રહ્યા છે. શરદ પવાર અને એમ સ્તાલિન અને ઉદ્ધવ ઠાકરે એ એકતા માટે પોતાની ખાતરી આપી છે પણ મમતા બેનર્જી મિશ્ર સંકેત આપે છે. નવીન પટનાઈક એકલા રહેવા માંગે છે. નીતીશ કહે છે કે લોકસભાની આગામી ચૂંટણીના તમામ 543 બેઠકો પર શાસક પક્ષના એક ઉમેદવાર સામે એક જ ઉમેદવાર વિપક્ષ ઉતારે. સોનિયા અને રાહુલને મળ્યા પછી નીતીશે અત્યંત ઉત્સાહપૂર્વક આ ઝુંબેશ ઉપાડી છે.

ભારતીય જનતા પક્ષને કર્ણાટકની જેમ નિ:શંકપણે નવા પડકારોનો સામનો કરવો પડશે પણ કર્ણાટક વિધાનસભા અને લોકસભાની ચૂંટણી વચ્ચેનો તફાવત સમજો. કર્ણાટકની ચૂંટણી સ્થાનિક સ્તરની હતી અને મૂડીવાદ, ભારત જોડો યાત્રા કે હિન્દુત્વ જેવા કોઈ મોટા મુદ્દા ભાગ્યે જ ઉપસ્થિત થયા. ભારતીય જનતા પક્ષના કેટલાક ટીકાકારોના મતથી વિપરીત કર્ણાટકમાં લોકો વૈચારિક મુદ્દાઓ પર ધ્યાન કે પ્રતિક્રિયા નહોતા આપતા, બલ્કે આ ‘આક્રોશ’મય ચૂંટણી હતી. લોકો ભારતીય જનતા પક્ષથી ધરાઈ ગયા હતા તેથી તેમણે એ પક્ષને મત આપ્યા જે સરકાર રચવા સક્ષમ હોય અને તેમને મતે એ પક્ષ કોંગ્રેસ હતો.

આ કિસ્સામાં કોંગ્રેસે ખૂબ અસરકારક ઝુંબેશ ચલાવી. મોદીની સઘન ચૂંટણી ઝુંબેશ બોમાઈ અને તેના સાથી પ્રધાનોને બચાવી શકી નહીં. મોદીએ દરમિયાનગીરી નહીં કરી હોત તો ભારતીય જનતા પક્ષે ખૂબ કંગાળ દેખાવ કર્યો હોત. અલબત્ત કર્ણાટકમાં કોંગ્રેસનો વિજય થયો પછી પ્રશ્ન એ થયો એ લોકસભાની અને વિધાનસભાઓની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષને પરાજીત કરવાની કોંગ્રેસને ચાવી મળી ગઈ છે? આ ચાવી છે: જ્ઞાતિ રાજકારણને પુનર્જીવિત કરો. રાહુલ ગાંધીએ સૂત્ર આપ્યું હતું જીતની આબાદી ઉતના હક. તેમણે 2011 -12 ની સામાજિક આર્થિક અને જ્ઞાતિ વસ્તીગણતરીના આંકડા બહાર પાડવાની માગણી કરી.

કોંગ્રેસ પ્રમુખ ખડગેએ પણ યુપીએ -૨ ના શાસનમાં થયેલી આ વસ્તી ગણતરીના આંકડા બહાર પાડવાની માંગણી કરી છે. નીતીશ, સ્તાલિન,અખિલેશ યાદવ ,તેજસ્વી યાદવ વગેરે વિપક્ષી નેતાઓ પણ આ આંકડા બહાર પાડવાની માંગ કરે છે. આ માગણી સાથે પટણા હાઇકોર્ટે મનાઈહુકમ આપ્યો હતો અને સુપ્રીમ કોર્ટે તેને બહાલી આપી હતી.ભારતીય જનતા પક્ષના હિન્દુત્વ સામે વિરોધ પક્ષો માંડલ- જ્ઞાતિવાદી રાજકારણને ચગાવવા માંગે છે. કોંગ્રેસ ઉત્તર ભારતમાં પછાત જ્ઞાતિને શરણે જાય છે. કોંગ્રેસના ટોચના નેતાઓએ વિપક્ષે નેતાઓને જે રીતે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીના આઠ બહાર પાડવા પ્રોત્સાહિત કરવા માંડ્યા છે તે જોતાં લાગે છે કે જ્ઞાતિવાદી રાજકારણ અને તે ચગાવે છે પણ વિપક્ષી છાવણીમાં વડા પ્રધાનપદના ઉમેદવારના પ્રશ્ને અજંપો થઈ શકે છે.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top