National

પુલવામામાં જૈશ-એ-મોહમ્મદનો આતંકવાદી કૈસર કોકા સહિત 2 આતંકી ઠાર

જમ્મુ કાશ્મીર(Jammu-Kashmir): જમ્મુ-કાશ્મીરના પુલવામા(Pulwama) જિલ્લાના અવંતીપોરા(Avantipora)માં આતંકવાદીઓ(Terrorists) અને સુરક્ષા દળો(Security forces) વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં વડાકપોરા વિસ્તારમાં અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. આ આતંકવાદીઓમાં જૈશ-એ-મોહમ્મદ(Jaish-e-Mohammed)નો કુખ્યાત આતંકવાદી કૈસર કોકા(Kaiser Coca) પણ માર્યો ગયો છે. સુરક્ષા દળોને આ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. ત્યાર પછી વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સુરક્ષાદળોનો અવાજ સાંભળીને આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો. ત્યારબાદ બંને તરફથી ગોળીબાર શરૂ થયો હતો. જવાનોએ આતંકીઓને જડબાતોડ જવાબ આપ્યો અને 2 આતંકીઓને ઠાર કર્યા છે.

આતંકવાદી કૈસર કોકા 5 વર્ષથી ઘાટીમાં સક્રિય
જૈશ-એ-મોહમ્મદનો આતંકવાદી કૈસર કોકા વર્ષ 2018થી ઘાટીમાં સક્રિય હતો. તે ખીણના યુવાનોને ગેરમાર્ગે દોરીને અને લાલચ આપીને આતંકવાદમાં સંડોવાયેલો છે. આ સાથે તે કાશ્મીર ઘાટીમાં અનેક આતંકી હુમલાઓમાં પણ સામેલ રહ્યો છે. આતંકીઓ પાસેથી હથિયાર અને દારૂગોળો પણ મળી આવ્યો છે. જેમાં પોલીસે 1 યુએસએ બનાવટની રાઈફલ (M-4 કાર્બાઈન), 1 પિસ્તોલ અને અન્ય ગુનાહિત સામગ્રી સહિત હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો છે.

ખીણમાં આતંકવાદીઓ યુવાનોની ભરતી કરી રહ્યા છે
છેલ્લા 4 વર્ષમાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી સંગઠનોએ 700 યુવાનોની ભરતી કરી છે. અહીં 141 આતંકવાદીઓ સક્રિય છે, જેમાં મોટાભાગના વિદેશી છે. જમ્મુ-કાશ્મીરમાં મોટી સંખ્યામાં આતંકીઓ ઘૂસણખોરી માટે તૈયાર થઈ રહ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ડેટા અનુસાર, 5 જુલાઈ, 2022 સુધી જમ્મુ-કાશ્મીરમાં કુલ 82 વિદેશી આતંકવાદીઓ અને 59 સ્થાનિક આતંકવાદીઓ સક્રિય હતા. આમાંના મોટાભાગના આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબા, ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ, જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીન સાથે સંકળાયેલા છે.

આ વર્ષે કેટલા આતંકવાદીઓ માર્યા ગયા
આ વર્ષે 55 એન્કાઉન્ટરમાં 125 આતંકવાદીઓ માર્યા ગયા છે. આ દરમિયાન 2 સુરક્ષાકર્મીઓના જીવ ગયા છે અને 23 ઘાયલ થયા છે. આ વર્ષે જમ્મુ-કાશ્મીરમાં 20 નાગરિકોના મોત થયા છે. આતંકવાદીઓએ આ દરમિયાન 8 ગ્રેનેડ હુમલા કર્યા છે. વર્ષ 2021માં ઘાટીમાં 146 આતંકવાદીઓ અને 41 નાગરિકો માર્યા ગયા હતા. આ દરમિયાન ત્રણ સુરક્ષા જવાનોએ પણ જીવ ગુમાવ્યા હતા.

કયા વર્ષમાં કેટલી ભરતી
આતંકવાદી સંગઠનોએ 4 વર્ષમાં જમ્મુ-કાશ્મીરમાં 700 સ્થાનિક છોકરાઓની ભરતી કરી છે. જેમાં 2018માં 187, 2019માં 121, 2020માં 181 અને 2021માં 142 છોકરાઓની ભરતી કરવામાં આવી હતી. તે જ સમયે, જૂનના અંત સુધી, આ વર્ષે 69 યુવાનોની ભરતી કરવામાં આવી છે.

Most Popular

To Top