Comments

મોંઘવારી એટલે અવળે મંડાણે આધુનિકીકરણ

ઔદ્યોગિક વિકાસ સાથે ભૌતિક સુખ સગવડોમાં વધારો થાય છે. લોકોમાં ખુશાલી આવે છે. નાણાં કમાઈને સારી કારકિર્દી નિર્માણ કરવાની મહેચ્છા વધે છે. પરંતુ શહેરીકરણ તરફ ધકેલતી પ્રક્રિયાવશાત્ પરિવારોમાં વિઘટનની પ્રક્રિયામાં પણ તેજી આવી શકે છે. પશ્ચિમના અનુકરણ જેવી પૈસા અને ભૌતિક સંપત્તિ પાછળની આંધળી દોટે આજે લોકોને નશાની સ્થિતિમાં ધકેલી દીધાં છે. જાપાન, મલેશિયા, સિંગાપુર, તાઈવાન, દક્ષિણ કોરિયા પછી ભારત પણ વિકસિત રાષ્ટ્ર રૂપે હવે ઊભરી રહ્યું છે ત્યારે પૂર્વ એશિયામાં જે બન્યું છે તે ભારતની પરંપરાગત સમાજરચનામાં પણ આકાર લેશે. આ બાબતને નકારી શકાય તેમ નથી.

પૂર્વ એશિયામાં જાપાન અને દક્ષિણ કોરિયામાં પશ્ચિમી હવાની રૂખ વધારે તેજ થઇ છે. નવી પેઢી કારકિર્દીના વિકાસ માટે વધુ કેન્દ્રિત બની હોઈ હવે યુવાનોમાં એકલા રહેવું, મોડાં લગ્ન કરવાં, સંયુક્ત કુટુંબના બદલે વિભકત કુટુંબમાં રહેવું અને સહજીવન પણ બાંધછોડ વિના જેટલું ચાલે તેટલું ચલાવી પડતું મૂકવાનું વલણ વિકસતું જાય છે. જાપાનમાં તો ઘર-સંસાર ચલાવવા તેમજ સંતાનોના લાલનપાલનનો ખર્ચ એટલી હદે વધ્યો છે કે મોટા ભાગનાં યુવાનો લગ્ન કરતાં ખંચકાય છે.

વ્યક્તિગત કારકિર્દીના અહંના ટકરાવના કારણે લગ્નવિચ્છેદન સાથે બાળઉછેરની પ્રક્રિયાને પણ ધક્કો લાગ્યો છે અને યુનિસેફના તાજેતરના અહેવાલ અનુસાર વિકસતાં રાષ્ટ્રોમાં લગ્ન કરી સહજીવન જીવતાં યુગલોનું પ્રમાણ સારી રીતે ઘટયું છે. આ બાબતે સમાજશાસ્ત્રીઓએ બદલાતાં મૂલ્યો તરફ પ્રશાસકોનું ધ્યાન પણ ખેંચ્યું છે. એટલું જ નહીં વિકસતાં રાષ્ટ્રોમાં સ્ત્રી-પુરુષોમાં મોટી ઉંમરે લગ્ન કરવાના નિર્ણયો લેવાતા તબીબી રીતે પણ બાળક અને માતાના જીવન સામે ખતરા વધ્યા છે.

કોરિયન સરકારના આધારભૂત આંકડાઓ અનુસાર ૨૦૨૦ માં ૪૦૬૩ લાખ યુવક યુવતીઓએ લગ્ન કરેલાં. તેની સંખ્યા ઘટીને ૨૦૨૧-૨૦૨૨ માં ૩૫૦ લાખ થવા પામી છે. ૨૦૨૦ માં છૂટાછેડા લેનાર યુગલોની સંખ્યા ૩૨૦૦ હતી, જે ૨૦૨૧-૨૦૨૨ માં ૪૨૩૮ થઇ છે. આમ પૂર્વ એશિયાના નાના કદના દેશમાં દર ૧૦૦૦ લગ્નોએ ૩૩૨ લગ્ન વિચ્છેદ થઈ રહ્યાનું જોવા મળે છે. વિકસતા દેશોના યુવકોમાં લગ્ન વિચ્છેદનાં કારણો અંગેના અભ્યાસ આધારે જણાયું છે કે ૮૮% કુટુંબો આર્થિક સંકડામણના કારણે વિભાજિત થયાં છે, જ્યારે ૧૨% કિસ્સામાં સામાજિક કારણોસર કરાર વિચ્છેદન નોંધાયાં છે. કોરિયાનો સમાજ પરંપરામાં શ્રદ્ધા ધરાવનાર છે. પરંતુ આજની ઝડપી જીવનશૈલીમાં યુવતી રાત્રે પતિ સાથે બારમાં આનંદિત હોય ને સવારે અદાલતમાં જઈ છૂટાછેડા લઈ લે છે તેવું પણ અનેક કિસ્સામાં જોવા મળે છે.

બદલાતા જતા આર્થિક- સામાજિક પરિવેશમાં હવે અંગ્રેજી ભાષા સમાન રૂપે વ્યાપક બની છે. સાથોસાથ વિવિધ સંસ્કૃતિઓનાં વિધવિધ ૨સ વ્યંજનો વચ્ચે મેગી, બર્ગર, પીઝા પ્રકારે કેટલાક ફાસ્ટ ફુડ સમાન રીતે ઉપલબ્ધ બનતાં આજે કોરિયન યુવકોમાં ચીન અને જાપાનની યુવતીઓ સાથે વિવાહ કરીને ચીન- જાપાનમાં સ્થાયી થવાનો ઉત્સાહ વધ્યો છે, તો કોરિયન યુવતીઓ અમેરિકી અને બ્રિટિશ યુવકો સાથે એક વાર લગ્નથી જોડાઈને બીજા દેશમાં પ્રયાણ કરવાના રવાડે ચડી છે.

પરિવર્તનથી સામાજિક સમાયોજનના કારણે લોકશાહી પ્રક્રિયાથી જોડાયેલ રાજ્યવ્યવસ્થામાં પણ નવા નવા પ્રશ્નો ઊભા થતા જાય છે. આજે એશિયાનાં પૂર્વોત્તર રાષ્ટ્રોમાં વસ્તીના ઘટાડાનો પ્રશ્ન છે. રાજ્ય બેકાર યુવકોને નિર્વાહ ભથ્થું આપે છે : ભથ્થાની રકમમાંથી જીવન ગુજારતા બેકાર યુવકોનું પ્રમાણ ૧૧% થી પણ વધતું જાય છે અને પરિણામે રાજ્યની ઉત્પાદનશક્તિમાં ઘટાડો થતો જાય છે. આધુનિકીકરણની અવળી અસરના પ્રારંભે ભારતમાં વર્ષ ૨૦૧૦ ની વસ્તી ગણતરીના સંદર્ભે પુરુષ અને સ્ત્રી બાળકોના જન્મદરમાં ૩% ટકાનો તફાવત જોવા મળ્યો છે.

માનવ સંસ્કૃતિ ૮૦૦૦ કરતાં વધુ વર્ષથી ટકી છે અને વિકસી છે. કારણ સમાજ હરહંમેશ જવાબદારી સ્વીકારી આગળ વધવાની ખેવના રાખે છે અને જવાબદારીનો નિભાવ આવનાર પેઢી દ્વારા ઉપાડી લેવામાં આવે છે. પરંતુ ૨૧ મી સદીમાં વૈયક્તિક જીવનની બોલબાલા થતાં હવે પરસ્પરનું માનવીય અવલંબન તૂટી રહ્યું છે અને સમાજ એક સાંસ્કૃતિક એકમ તરીકે વિખેરાઇ રહ્યો છે જે અંગે ગંભીરતાથી વિચારવું રહ્યું. ભારતીય સંસ્કૃતિમાં તો વરસો પહેલાં ગવાયું છે : ‘સબસે ઊંચી પ્રેમ સગાઈ.’અહીં સ્નેહ પણ છે અને પરસ્પરનું બંધન પણ સ્વીકારાયું છે.

સમાજ સ્નેહનાં બંધનોથી બદ્ધ રહ્યો છે. પરંતુ નવાં સમીકરણોવશાત્ એશિયાના દેશો નવી પેઢીના પ્રશ્નોમાં ગૂંચવાઇ રહ્યા છે. ભારતમાં આધુનિકતાનો સૂરજ તપી રહ્યો છે તો એશિયાઈ દેશોમાં આધુનિકીકરણનું મંડાણ થઈ ચૂકયું છે. જ્યારે યુરોપ અને અમેરિકામાં આધુનિક યુગનો મધ્યાહ્ન, માઠી અસરથી પીડાઈ રહ્યો છે. અહીં માનવજીવનના નિભાવ માટે સાધનોની ભરમાર છે. વિજ્ઞાન અને તકનીકના જોરે હવે પ્રજોત્પત્તિની ઇશ્વરીય ભેટ પણ ઉત્પાદનના સાધન સાથે મૂલવવામાં આવે છે. આ વિકૃતિ આગળ ચાલતાં ક્યાં અને ક્યારે અટકશે તે કહી શકાય તેમ નથી.

અત્યારે પરિસ્થિતિ એવી છે કે માત્ર બ્રિટનમાં જ ૩૦ લાખથી વધુ યુવકોને ખબર નથી કે તેમના પિતા કોણ છે. યુરોપ અને અમેરિકામાં બાળકોને ભણાવનાર અને માંદગીના બિછાને પડેલાને મદદ કરનાર ૮ લાખથી વધુ શિક્ષકો અને નર્સોની ખોટ છે. પશ્ચિમના દેશોમાં નવી પેઢી જવાબદારી વહન કરી રાજ્યના વિકાસમાં સહયોગ આપવાના બદલે જીવનને “ફન”આનંદપ્રમોદનું સાધન ગણે છે. આજના વ્યવસ્થાપન માટે આ પાયાનો પડકારરૂપ પ્રશ્ન બની ગયો છે.

આધુનિકીકરણ દ્વારા વધતી સાધનસંપત્તિથી માણસની ભૌતિક સુખાકારીમાં વધારો થાય છે. સંપત્તિ વધતાં ભૂખ, શરીરના રોગ અને શિક્ષણના અભાવના પ્રશ્નો હલ થાય છે તે હિતાવહ છે. પરંતુ સંપત્તિ મેળવવાની દોડમાં વ્યક્તિ પોતાના સ્વાર્થવશ કુટુંબ અને રાષ્ટ્રના હિતનો પણ ત્યાગ કરતો થાય છે જે વિવેકહીન બને છે. આ પ્રકારના મનસ્વી વિકાસની ચરમ સીમા પરથી અમેરિકા અને યુરોપની નવી પેઢી પસાર થઇ રહી છે. જાપાન અને કોરિયાનાં લોકો વિકાસના અવળા વલયમાં પલોટાતાં જાય છે. ભારતનાં યુવકો પરંપરા છોડી નર્યા ઉપભોકતાવાદ તરફ ઘસડાઈ રહ્યા છે ત્યારે આંધળા અનુકરણને વિકાસ કહેવાનું પડતું મૂકીએ અને થોડી વાર થોભીને વિચાર કરીએ તો ખ્યાલ આવે છે કે કઈ દિશામાં જવાનું છે અને સમૂહ કયાં ચાલી રહ્યો છે.
ડો.નાનક ભટ્ટ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top