Sports

યંગસ્ટર્સનો કમાલ: ગિલ-જુરેલે મુશ્કેલ મેચ જીતાડી, ભારત 3-1થી ટેસ્ટ સિરિઝ જીત્યું

રાંચી(Ranchi): પાંચ મેચની ટેસ્ટ સિરીઝની રાંચીમાં રમાયેલી ચોથી ટેસ્ટ મેચ ભારતે જીતી (IndiaWin) લીધી છે. આ સાથે જ ભારતે ટેસ્ટ સિરિઝને 3-1થી જીતી લીધી છે. ચોથી મેચમાં ઈંગ્લેન્ડે આપેલા 192ના ટાર્ગેટને ભારતે 5 વિકેટે હાંસલ કરી લીધો હતો. શુભમન ગિલ અને ધ્રુવ જુરેલે ધૈર્યપુર્ણ રમત દાખવી ટીમને જીત સુધી પહોંચાડી હતી.

ગિલે મહત્ત્વપૂર્ણ ફિફ્ટી ફટકારી હતી. તેને ધ્રુવ જુરેલનો સાથ મળ્યો હતો. બંનેએ 72 રનની મહત્ત્વપુર્ણ અણનમ ભાગીદારી નોંધાવી ભારતને મેચ જીતાડી હતી. પહેલી ઈનિંગમાં 90 અને બીજી ઈનિંગમાં 39 રન બનાવનાર વિકેટ કિપર બેટ્સમેન ધ્રુવ જુરેલ પ્લેયર ઓફ ધી મેચ બન્યો હતો. હવે સિરિઝની પાંચમી અને છેલ્લી મેચ 7 માર્ચથી ધર્મશાલામાં રમાશે.

આ અગાઉ આજે સવારે રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલે ગઈકાલના 40 રનથી રમત આગળ વધારી હતી. રોહિત શર્માએ કેપ્ટન ઈનિંગ રમતા અર્ધસદી ફટકારી હતી. જોકે, લંચ ટાઈમ સુધીમાં ભારતીય ટીમે 3 વિકેટ ગુમાવી દીધી હતી. લંચ સુધીમાં ભારતે 118 રન બનાવ્યા હતા.

લંચ બાદ નાટ્યાત્મક રીતે ભારતે બીજી બે વિકેટ ગુમાવી દેતાં મુશ્કેલી વધી હતી. ભારતે લંચ બાદ રવિન્દ્ર જાડેજા અને સરફરાઝ ખાનની વિકેટ ગુમાવી હતી. જાડેજા માત્ર 4 અને સરફરાઝ 0 રન પર આઉટ થયો હતો. ભારતે 120 પર 5 વિકેટ ગુમાવી દીધી હતી. જોકે, ત્યાર બાદ પહેલી ઈનિંગમાં 90 રન બનાવનાર વિકેટ કિપર બેટ્સમેન ધ્રુવ જુરેલ અને શુભમન ગિલે સ્થિતિ સંભાળી હતી. બંને વચ્ચે 50થી વધુ રનની ભાગીદારી થઈ હતી. ગિલની મહત્ત્વપૂર્ણ અર્ધસદીની મદદથી ભારતે જીત મેળવી હતી.

ટાર્ગેટનો પીછો કરતી વખતે કેપ્ટન રોહિત શર્મા (RohitSharma) અને યશસ્વી જયસ્વાલે (YashswiJaiswal) 84 રનની ભાગીદારી કરીને ભારતને શાનદાર શરૂઆત અપાવી હતી. આ અગાઉ ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં તા. 25 ફેબ્રુઆરીએ બંનેએ મળીને 40 રન જોડ્યા હતા. ત્યાર બાદ આજે રોહિત શર્માએ જેમ્સ એન્ડરસનના બોલને સિક્સર ફટકારીને ભારતના સ્કોરને 50ની પાર પહોંચાડી દીધો હતો. ત્યારબાદ યશસ્વીએ પણ કેટલાક સારા શોટ ફટકાર્યા હતા.

ભારતને પહેલો ઝટકો યશસ્વી જયસ્વાલના રૂપમાં લાગ્યો હતો, જે પાર્ટ ટાઈમ સ્પિનર ​​જો રૂટના બોલ પર જેમ્સ એન્ડરસનના હાથે કેચ આઉટ થયો હતો. યશસ્વીના આઉટ થયાના થોડા સમય બાદ રોહિતે પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. રોહિત 55 રન બનાવીને ટોમ હાર્ટલીના બોલ પર વિકેટ પાછળ કેચ આઉટ થયો હતો. ત્યારબાદ ભારતે રજત પાટીદારની વિકેટ પણ ગુમાવી હતી, જે પોતાનું ખાતું પણ ખોલી શક્યો ન હતો.

તમને જણાવી દઈએ કે ઈંગ્લેન્ડે તેની પ્રથમ ઈનિંગમાં 353 રન બનાવ્યા હતા. ત્યાર બાદ ભારતીય ટીમનો પ્રથમ દાવ 307 રનમાં સમેટાઈ ગયો હતો. એટલે કે પ્રથમ દાવના આધારે ઈંગ્લેન્ડ પાસે 46 રનની લીડ હતી. આ પછી ઈંગ્લેન્ડનો બીજો દાવ 145 રનમાં સમેટાઈ ગયો અને ભારતને જીતવા માટે પ્રમાણમાં આસાન ટાર્ગેટ મળ્યો હતો.

ભારત સતત 17મી હોમ સિરીઝ જીત્યું
ભારતીય ટીમની તેના હોમ ગ્રાઉન્ડ પર આ સતત 17મી શ્રેણી જીત છે. 2012માં એલિસ્ટર કૂકની આગેવાની હેઠળની ઈંગ્લેન્ડની ટીમ સામે હાર્યા બાદ ભારતીય ટીમ ઘરની ધરતી પર સતત સારું પ્રદર્શન કરી રહી છે. ત્યાર બાદ રમાયેલી 48 ટેસ્ટમાંથી ભારતીય ટીમે 39માં જીત મેળવી છે. આ દરમિયાન તેને ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની ટેસ્ટ મેચોમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

Most Popular

To Top