હાર્પરકોલિન્સ ઇન્ડિયાએ શુક્રવારે જણાવ્યું હતું કે, તે ૧૦ નવેમ્બરે ભારતમાં કોંગ્રેસના નેતા સોનિયા ગાંધીનાં સંસ્મરણો ‘બિલોંગિંગ: અ જર્ની ઓફ લવ’ પ્રકાશિત કરશે. આ સાથે જ લેખકના પ્રતિનિધિઓ અને પેંગ્વિન રેન્ડમ હાઉસ ઇન્ડિયા વચ્ચેની મડાગાંઠ બાદ આ પુસ્તકના સ્થાનિક પ્રકાશન અંગેની અનિશ્ચિતતાનો અંત આવ્યો છે.હાર્પરકોલિન્સ ઇન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “આપણા સમયના સૌથી બહુપ્રતીક્ષિત રાજકીય સંસ્મરણોમાંથી એક, ‘બિલોંગિંગ’ એ પ્રેમ, ઓળખ, ફરજ અને લાગણીની એક નાટ્યાત્મક અને અત્યંત વ્યક્તિગત વાર્તા છે, જે ભારતની સફરનો એક દુર્લભ આંતરિક દૃષ્ટિકોણ રજૂ કરે છે.”હાર્પરકોલિન્સ ઇન્ડિયાની આ જાહેરાત પેંગ્વિન રેન્ડમ હાઉસ ઇન્ડિયા (પીઆરએચઆઈ) સાથે સંકળાયેલા વિવાદ પછી આવી છે, જે શરૂઆતમાં આ સંસ્મરણો પ્રકાશિત કરવા માટે ખૂબ ઉત્સુક હતું પરંતુ પાછળથી તેણે કહ્યું કે તે ભારતીય પ્રકાશક બનશે નહીં.