Comments

ઇલેક્શન ગુજરાતઃ કમળની દાંડી સાથે પાંદડીઓ ચોંટાડી રાખવા અમિત શાહનો ધમધમાટ શરૂ

ભાજપ માટે આબરૂનો સવાલ બની ગયેલી ગુજરાતની ચૂંટણીના પડઘમ વાગું વાગું થઇ રહ્યાં છે. મોટે ભાગે મોદી સાહેબનો 19 મી ઓક્ટોબરનો સંભવિત પ્રવાસ પૂરો થતાં થતાં ચૂંટણીના નગારે ઘા પડી જશે એવું લાગી રહ્યું છે. લોકાર્પણો અને ખાતમુહૂર્તોની મોસમ જામી છે. આચારસંહિતાની બેડીઓ પહેરાવી દેવાય તે પહેલાં થાય એટલું કરી લેવાની કે થાય એટલું કરવાનું દેખાડી દેવાની ઉતાવળ ચાલી રહી છે.

જો કે સરકાર અને પાર્ટીની રીતે જોઇએ તો એકંદરે હમણાં ગોઠવેલી યોજનાપૂર્વક બધું ચાલી રહેલું લાગે છે. ભાજપનું સંગઠન એકદમ સતર્ક બનીને મોદી-શાહનો પડ્યો બોલ ઝીલવા તલપાપડ થઇ ઊઠ્યું છે. તેમાંય અમિતભાઇએ એવું કહ્યું છે કે દિલ્હીમાં કંઇ ટિકિટોનું નક્કી થવાનું નથી. અહીં ગુજરાતમાં જ નક્કી થશે ને કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ તેના પર મહોર મારશે, ત્યારથી ઘણા બધા અળવીતરાઓ ડાહ્યાડમરા જેવા થવા લાગ્યા છે. ચૂંટણીની બાગડોર એકંદરે અમિતભાઇના હાથમાં સોંપાઇ ચૂકી છે. જેમને અમિતભાઇ ગમતા નથી કે અમિતભાઇને જેઓ ગમતાં નથી એવા ભાજપી નેતાઓ અને એમનાં જૂથોનાં પેટમાં ફાળ જરૂર પડેલી છે.

ગયા અઠવાડિયે વડા પ્રધાને પોતાનાં વિવિધ રોકાણો દરમિયાન જેની પીઠ થાબડી છે, એવા લોકો ખુશખુશાલ થઇ પોતાની છાતી છપ્પનની કરીને ફરી રહ્યા છે. જેમને મોદી સાહેબે દેખીતી રીતે ઓછું મહત્ત્વ આપ્યું છે કે આડકતરી રીતે પણ થોડા સાઇડલાઇન કર્યા છે, એવા બહુ બોલકા નેતાઓ આજકાલ થોડા ઢીલા પડીને શાંત થઇ ગયા છે ને પોતાનાં તેજાબી ભાષણોમાં વિષય બદલી બદલીને ડિમોલિશન, કેજરીવાલ, કોંગ્રેસ વગેરે પર વાણીવિહાર કરી રહ્યા છે. ફલાણાને ટિકિટ નહીં મળે ને ઢીંકણાને કાપી નંખાશે એવી ખોટી શેખીઓ મારવાનું આવા નેતાઓએ આજકાલ ઓછું કરી દીધું હોવાનું ચોખ્ખું જણાઇ રહ્યું છે. અમિતભાઇએ કમલમમાં બેઠકોના દોર શરૂ કરી દીધા છે ને નાના-મોટાના બધા ભેદભાવ ભૂલી જઇને કામે લાગી જવાનો દંડો પછાડ્યો હોઇ અમિતભાઇની સામેના કહેવાતા ભાજપી નેતાઓના સળવળાટ વધી ગયા છે. સૌને અમિતભાઇના ટેમ્પરામેન્ટ અને સ્ટાઇલ ઓફ ફંક્શનિંગની સારી પેઠે ખબર છે.

એટલું ચોક્કસ છે કે અત્યાર સુધી ભાજપમાં જે બધું સ્કેટર્ડ દેખાતું હતું તે હવે ધીરે ધીરે ચેનલાઇઝ થવા લાગેલું જણાય છે. એટલે જ અત્યાર સુધી બહુ ગાજતી રહેલી આમઆદમી પાર્ટીની સામે પણ બરાબરના મોરચા મંડાઇ રહ્યાનું નજરે પડી રહ્યું છે. હવે ભાજપ પોતાના અસલ મિજાજ અને મૂડમાં આવી રહેલો જણાય છે. પાછા કેટલાક મતદાતા સર્વે પણ આવવાના શરૂ થઇ ગયા છે. બધું ભલે કદાચ ગોઠવેલું લાગે, પણ ભાજપ જે રીતે અત્યાર સુધી કોંગ્રેસની સામે જે પ્રકારે હથકંડા અપનાવતો આવ્યો હતો એવા જ હથકંડા કેજરીવાલની પાર્ટી દ્વારા ભાજપની સામે આજકાલ શરૂ થયેલા છે.

આમ આદમી પાર્ટીએ ભલે ગામડાંમાં ધ્યાન કેન્દ્રિત કર્યું છે, પણ ગામડાંના મતદારો ઘણા સુજ્ઞ હોય છે એની વધુ એક વાર ચૂંટણી પરિણામોમાં ખબર પડશે. બીજી તરફ મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસ ભલે નવા એપ્રોપ્રિયેટ રાષ્ટ્રીય પ્રમુખની શોધમાં હોય, પણ ગુજરાતમાં તેના અહીંના નેતાઓએ પોતાના હિતમાં ચૂંટણી માટેની સજ્જતા શરૂ કરી દીધી છે. દિવાળી પહેલાં કોંગ્રેસના 50 ઉમેદવારોની પહેલી યાદી જાહેર થઇ જવાની સંભાવના છે. બે-ત્રણ (ખાસ તો ઉમરેઠ અને કુતિયાણા) બેઠકો માટે એનસીપી સાથે સમજુતી થાય એવી સંભાવના છે. જૂના નવા અસરકારક મુરતિયા શોધવામાં આવી રહ્યા છે. ભાજપમાં જોડાવામાં રહી ગયા છે એવા મોટા ભાગના વર્તમાન ધારાસભ્યોને રીપિટ કરાશે. કોંગ્રેસને ભાજપ જેવી નો-રીપિટ થિયરી પોસાય એવી નથી.

જો કે હવે તો ભાજપનેય પોસાય એવી રહી નથી. કેજરીવાલે જે રીતે જોર કાઢવા માંડ્યું છે, તે જોતાં બધા જ જુના ધારાસભ્યોને પડતા મૂકવાનું જોખમ અમિતભાઇ કરે એમ લાગતું નથી. એટલે જ ભાજપમાં અત્યાર સુધી જે કોઇ આંતરિક ખટપટ કે નારાજી રહી છે, તેની પાછળનું મોટું કારણ પહેલેથી જ નેતાઓ દ્વારા ટિકિટો માટે આપવામાં આવતી લુખ્ખી સખ્તાઇ હોવાનું પણ સંભવિત છે. મોદી સાહેબ અને અમિતભાઇએ જે રીતે છેલ્લાં થોડાં અઠવાડિયાંમાં ગુજરાતને ખૂંદવા માંડ્યું છે, તેમાં લોકાર્પણોના કાર્યક્રમો તો એક બહાનું કે નિમિત્તમાત્ર છે. અસલ એજન્ડા બધું દુરસ્ત કરીને કેજરીવાલની પાર્ટી અને એન્ટિ-ઇન્ક્મ્બન્સી જેવાં પરિબળોથી ભાજપને ઓછું નુકસાન થાય એ માટેનો જ છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top