National

દિલ્હી: ઉપરાજ્યપાલે કેજરીવાલ સામે NIA તપાસની માંગ કરી, આતંકી સંગઠન પાસેથી ફંડ લેવાનો આરોપ

નવી દિલ્હીઃ (New Delhi) દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ NIA તપાસની (Investigation) ભલામણ કરી છે. પ્રતિબંધિત આતંકવાદી સંગઠન “શિખ ફોર જસ્ટિસ” પાસેથી રાજકીય ભંડોળ મેળવવાના કેસની તપાસ કરવાની ભલામણ કરવામાં આવી છે.

દિલ્હી એલજીને ફરિયાદ મળી હતી કે અરવિંદ કેજરીવાલની આગેવાનીવાળી આમ આદમી પાર્ટીને દેવેન્દ્ર પાલ ભુલ્લર અને ખાલિસ્તાન સમર્થકોની મુક્તિને પ્રોત્સાહન આપવા માટે US $16 મિલિયન આપવામાં આવ્યા છે. આ ફરિયાદ મુખ્ય પ્રધાન વિરુદ્ધ કરવામાં આવી હોવાથી અને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન પાસેથી મળેલા દાનનો મામલો હોવાથી તેની સંપૂર્ણ તપાસ (ઇલેક્ટ્રોનિક પુરાવાની ફોરેન્સિક તપાસ)ની જરૂર છે.

એલજીને આ પત્ર વર્લ્ડ હિન્દુ ફેડરેશન-ઈન્ડિયા નામની સંસ્થાએ લખ્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે આમ આદમી પાર્ટીએ 2014 અને 2022 વચ્ચે આ દાન લીધું હતું. આગળ લખ્યું છે કે 2014માં શીખ ફોર જસ્ટિસના વડા ગુરપતવંત સિંહ પન્નુ અને કેજરીવાલ અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં એક ગુરુદ્વારામાં મળ્યા હતા. આ બેઠકમાં કેજરીવાલે પન્નુને ખાતરી આપી હતી કે તેઓ 1993ના દિલ્હી બોમ્બ વિસ્ફોટ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા ભુલ્લરને જેલમાંથી છોડાવવામાં મદદ કરશે.

એલજીને વિશ્વ હિન્દુ મહાસંઘ તરફથી ફરિયાદ મળી હતી જેમાં અરવિંદ કેજરીવાલ પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે આમ આદમી પાર્ટીએ દેવેન્દ્ર પાલ ભુલ્લરની મુક્તિ અને ખાલિસ્તાન તરફી ભાવનાઓને ભડકાવવા માટે ખાલિસ્તાની આતંકવાદી જૂથો પાસેથી US $ 16 મિલિયન મેળવ્યા હતા. આ ફરિયાદના આધારે LGએ NIA તપાસની ભલામણ કરી છે.

આમ આદમી પાર્ટીએ લગાવ્યો ષડયંત્રનો આરોપ
કેજરીવાલ સામે એનઆઈએ તપાસ માટે એલજીની ભલામણ પર આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજે કહ્યું કે એલજી સાહેબ ભાજપના એજન્ટ છે. તેમણે કહ્યું કે સીએમ કેજરીવાલ વિરુદ્ધ વધુ એક મોટું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. આ ષડયંત્ર ભાજપના ઈશારે કરવામાં આવી રહ્યું છે. સૌરભ ભારદ્વાજે કહ્યું કે ભાજપ દિલ્હીની તમામ સાત બેઠકો ગુમાવી રહી છે. હારના ડરથી ભાજપ પાગલ થઈ ગયું છે અને આવું ષડયંત્ર રચી રહ્યું છે. પંજાબ વિધાનસભાની ચૂંટણી પહેલા પણ ભાજપે આવું જ ષડયંત્ર રચ્યું હતું.

Most Popular

To Top