Gujarat

બજેટ સત્રના ત્રીજા દિવસે પણ વિપક્ષનો હોબાળો, કોંગ્રેસના ધારાસભ્યને 7 દિવસ માટે સસ્પેન્ડ કરાતા કોંગ્રેસનું વાકઆઉટ

ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં ભાજપ (BJP) ની નવી સરકાર નાણાંમંત્રી (Finance Minister) કનુભાઈ દેસાઈએ ગુરુવારે બજેટ રજૂ કર્યું હતું. ત્યારે આજે સત્રના ત્રીજા દિવસે મહત્તવના બે સુધારા વિધેયક રજૂ કરવામાં આવશે. ત્યારે આજે વિધાનસભામાં ફરી એકવાર વિપક્ષનો હોબાળો જોવા મળ્યો હતો. ગુજરાત વિધાનસભામાં આજે પ્રશ્નોત્તરી દરમિયાન કોંગ્રેસ (Congress) ના ધારાસભ્યોને યોગ્ય જવાબ ન મળતા હોબાળો મચાવ્યો હતો. તેમજ કોંગ્રેસના ધારાસભ્ય પુંજા વંશે ગૃહ રાજ્યમંત્રી માટે બિન સંસદીય શબ્દો વાપરતા હોબાળો થયો હતો. આ મામલે ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો આમને સામને આવી ગયા હતા. જે બાદ અધ્યક્ષ દ્વારા પુજાં વંશને ગૃહમાંથી 7 દિવસ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પુંજા વંશને સસ્પેન્ડ કરતા કોંગ્રેસે વોકઆઉટ કર્યુ હતું. 

તો બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકીને પ્રશ્નોનનો યોગ્ય જવાબ ન મળતા તેઓ બેઠક છોડી નીચે બેસી જતા વિરોધ નોંધાવ્યો હતો. તેમના આવા વલણથી ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે આવી દાદાગીરી ના ચલાવી લેવાય. ગૃહમંત્રીના ઉચ્ચારણો સામે કોંગ્રેસના અન્ય સભ્યો ઉભા થઈ હોબાોળો મચાવવા લાગ્યા હતા, જેની સામે ભાજપે પણ ગૃહમાં હંગામો મચાવી દીધો હતો. હંગામો થતા અધ્યક્ષ નામાબેન આચાર્યાએ મામલો શાંત પાડ્યો હતા. આજે ગૃહમાં 2 સુધારા વિધેયક રજૂ કરવામાં આવશે.

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં ત્રીજા દિવસની કામગીરી સવારે 10 વાગ્યે શરૂ થઈ હતી જેમાં પણ વિપક્ષના સભ્યોએ હંગામો મચાવ્યો હતા. સત્રમાં રાજેન્દ્ર ત્રિવેદી અને રાઘવજી પટેલ ગુજરાત જમીન પચાવી પડાવા પર પ્રતિબંધ સુધારા વિધેયક અને ગુજરાત ઓર્ગેનિક એગ્રીકલ્ચર યુનિવર્સીટી સુધારા વિધેયક એમ 2 સુધારા વિધેયક રજૂ કરશે. તો બીજી તરફ સરકાર ઓનલાઈન ગેમ્બલિંગ અને ડ્રોન પોલિસી અંગેના વિધેયક પણ પસાર કરી શકે છે. બીજી બાજુ રખડતાં ઢોર અંગેનો કાયદાનો ડ્રાફ્ટ તૈયાર હોવાથી તે પણ વિધાનસભા ગૃહમાં પારિત કરવામાં આવી શકે છે.

પ્રથમ દિવસે વિપક્ષનો હોબાળો
આ અગાઉ પણ વિધાનસભાના ગૃહના બજેટ સત્રના પ્રથમ દિવસે કોંગ્રેસે હોબાળો મચાવ્યો હતો. સત્રના પ્રથમ દિવસે જ રાજ્યપાલે સંબોધન કર્યું હતું, પણ કોંગ્રેસે રાજ્યપાલને સંબોધન કરવા દીધું નહીં. કોંગ્રેસે સૂત્રોચ્ચાર કરતા રાજ્યપાલે 5 મિનિટમાં તેમનું સંબોધન ટૂંકાવી દીધું હતું. સભામાં રાજ્યપાલે સંબોધન હાથ ધરતાં કોંગ્રેસે ‘ગૃહમંત્રી રાજીનામું આપે’ તેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમજ કોંગ્રેસના ધારાસભ્યો કથિત આઈપીએસ ખંડણીકાંડ બહાર લાવનાર ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલને અભિનંદન આપી સૂત્રોચ્ચાર કર્યા હતાં.

ગુજરાત વિધાનસભામાં ગુરુવારે પ્રશ્નોત્તરી દરમિયાન આણંદ અને કચ્છ જિલ્લામાં નશીલા પદાર્થોનો કેટલો જથ્થો પકડાયો તેમજ કેટલા ઇસમો પકડાયા અને કેટલા બાકી તે અંગે કાર્યવાહી કરવામાં આવી એ પ્રશ્નમાં પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવી મુંદ્રા બંદર પરથી પકડાયેલા 21 હજાર કરોડના ડ્રગ્સમાં શું કાર્યવાહી કરી એવો સવાલ વિપક્ષના પૂર્વ નેતા પરેશ ધાનાણીએ કર્યો હતો. તેમણે સરકરા પર કટાક્ષ કરતા કહ્યું હતું કે અદાણી પોર્ટે સુરક્ષાની જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધા હતા. તેમણે આક્ષેપો કર્યા કે આ જ પોર્ટ પર અગાઉ પણ અંદાજિત પોણા બે લાખ કરોડનું ડ્રગ ઉતારીને દેશભરમાં વેચી દીધાની આશંકા વચ્ચે સરકાર કેમ ઊંઘતી રહી હતી.

Most Popular

To Top