Comments

દાવોસમાં ભેગા થયેલા અબજોપતિઓ ભેદી નવી વિશ્વવ્યવસ્થા ઊભી કરવા માગે છે

દાવોસમાં ભેગા થયેલા ધનકુબેરો કોરાના મહામારી પછીની નવી વિશ્વવ્યવસ્થા તૈયાર કરવા બંધબારણે બેઠકો કરી રહ્યા છે. આ નવી વ્યવસ્થા કેવી હશે? તેની આપણને કલ્પના પણ નથી. આંકડાઓની દૃષ્ટિએ જોઈએ તો કોરોના વાઇરસથી થતી જાનહાનિ ગંભીર સ્વરૂપના ફ્લુની બીમારીમાં થતા મોત જેટલી જ હતી. જો આવું જ હતું તો પછી સરકારોએ લોકડાઉન જેવો આટલો બધો જલદ ઉપાય કરવાની શું જરૂર હતી? અર્થતંત્રને નુકસાન થવું હોય તો ભલે થાય એવું ભ્રામક નિવેદન કરીને અર્થતંત્રોને કેમ નષ્ટ થવા દીધા? તેનું કારણ એ છે કે કોવિડના નામે વિશ્વના અર્થતંત્રોને સમૂળગા બદલી કાઢવાની તક ઊભી કરવામાં આવી હતી.

ધિરાણ બજારનો વ્યાપક દુરુપયોગ થયા બાદ 2008માં ક્વોન્ટિટેટિવ ઈઝિંગ એટલે કે અર્થતંત્રમાં વધુ ચલણી નોટોને ઉમેરવાની પ્રક્રિયા શરૂ થઈ અને ત્યારથી જ અર્થતંત્રને કૃત્રિમ રીતે ટેકો આપવામાં આવ્યો હતો. બિલ ગેટ્સનો ‘ઈવેન્ટ 201’ નામનો કાર્યક્રમ યોજાયો. એના એક મહિના પહેલા એટલે કે સપ્ટેમ્બર, 2019માં રાતોરાત સંપૂર્ણ મની માર્કેટમાં કામકાજ અટકી ગયું હતું. ફેડરલ રિઝર્વે દરરોજ રાત્રે 50થી 100 મિલિયન ડોલરનું ચલણ છાપીને એ કટોકટીને સંભાળી લેવાનો પ્રયત્ન કર્યો; પરંતુ એમાં સફળતા મળી નહીં.

કોવિડ રોગચાળો શરૂ થયો ત્યારથી તેમણે ‘કોવિડ માટેની રાહત’ના ઓઠાં હેઠળ નાણાના પુરવઠામાં 20થી 25 ટકા વધારો કર્યો. મૂળ સમસ્યા તો બૅન્કિંગ ક્ષેત્રની બીજી કટોકટી હતી. ભૂતકાળનો અનુભવ દર્શાવે છે કે વધુ પડતા પ્રમાણમાં ચલણી નોટો છાપવાની આ પ્રવૃત્તિને લીધે ચલણ સાવ નબળું પડી જાય છે. ઉપરાંત એની સાથે જોડાયેલું અર્થતંત્ર પણ નબળું પડે છે. 1971માં અનામત ચલણ તરીકે ડોલરને સોનાના જથ્થા સાથે સાંકળતા ‘ગોલ્ડ સ્ટાન્ડર્ડ’નો અંત લાવવામાં આવ્યો. એ સમયથી જ તમામ ચલણો હવે ફિયાટ કરન્સી તરીકે ઓળખાય છે.

અર્થાત્ એ છાપવા માટે કોઈ વસ્તુનો ટેકો હોવો જરૂરી નથી. એ માત્ર વિશ્વાસના આધારે છાપવામાં આવે છે. આપણા નાણાના પુરવઠામાં ફક્ત 3 ટકા હિસ્સો ચલણી નોટો અને સિક્કાઓના સ્વરૂપે હોય છે. બાકીનો 97 ટકા હિસ્સો ડેટ (કરજ) આધારિત હોય છે. કરજને લીધે વધુ નાણા અસ્તિત્વમાં આવે છે. તમે 1 લાખનું કરજ લો, ત્યારે બૅન્કો હવામાંથી એ નાણાનું સર્જન કરીને તમને એ રકમ વ્યાજે આપતી હોય છે. 2008માં આપણે જોયું કે બૅન્કોને આર્થિક સહાય આપીને ઉગારી લેવામાં આવી હતી. પરંતુ 2014 સુધીમાં આયર્લૅન્ડ અને યુનાઇટેડ કિંગ્ડમે બૅન્ક ‘બેઇલ ઇન’ની સ્થિતિનો અમલ કરવાનું શરૂ કર્યું. એનો અર્થ એવો થયો કે બૅન્કો કટોકટીની સ્થિતિમાં કાનૂની રીતે આપણી મહેનતના નાણા તેમનું દેવું ચૂકવવા માટે વાપરી શકે છે. સાયપ્રસમાં 2013માં આવું જ થયું હતું.

સરકાર બૅન્કમાં જમા રકમમાંથી અમુક નિશ્ચિત રકમ પાછી મળવાની બાંયધરી આપવાનો દાવો કરતી હોય છે. પરંતુ એમની પાસે એમાંથી ફક્ત 10 ટકા જ રકમ પડેલી હોય છે. આમ, તમારા નાણા પાછા મળી જાય તો તમારું નસીબ! ટૂંકમાં કહેવાનું કે ધિરાણની બજારો અત્યારે ભીંસમાં છે. એ દબાણ ઓછું કરવા માટે અને બજારો પડી ભાંગવાની સ્થિતિથી બચવા માટેનો ઉપાય કયો છે. એ ઉપાય છે અર્થતંત્રને નબળું રાખવાનો. કદાચ આ જ એક કારણ હશે કે કોરોનાના નામે અર્થતંત્રને બંધ રાખવાનો અને દેશભરમાં કડકમાં કડક લોકડાઉન નાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.  તમે જ્યારે નાણાનો પુરવઠો વધારવા લાગો અને તેની સાથે સાથે અર્થતંત્રને ઝડપી બનાવવાનું કહો, ત્યારે ફુગાવાની (મોંઘવારીની) સ્થિતિ સર્જાતી હોય છે.

2008માં બૅન્કિંગ ક્ષેત્ર માટે અને મોટી મોટી કંપનીઓ માટે નાણાનો પુરવઠો વધારવામાં આવ્યો પણ 2020માં એ કામ સામાન્ય જનતા માટે પણ કરવામાં આવ્યું. જેથી લોકોને તત્કાળ ખર્ચવા માટે નાણા મળી ગયાં. અર્થતંત્રના ક્ષેત્રોને બંધ રાખીને એની પ્રગતિને બ્રેક મારવામાં આવી. એટલાં ને એટલાં જ નાણા જ્યારે વધુ હાથોમાં ફરે ત્યારે આવતી ગતિને કારણે મોંઘવારી વધતી હોય છે. જે ખરેખર તો અનિચ્છનીય હોય છે.

લોકો જ્યારે વધુ પ્રમાણમાં કરજ લેવા માંડે ત્યારે કરજનો પરપોટો ફૂટી જવાનું જોખમ સર્જાય છે.  તમે બ્રેડના એક પેકેટનું જ ઉદાહરણ લો. એ તમારા સુધી પહોંચાડવા માટે વચ્ચેના લોકો એટલે કે ઉત્પાદકો, વિતરકો, વિક્રેતાઓ વગેરેએ કરજના દસ અલગ અલગ ઉપયોગ કર્યા હોઈ શકે છે. ગણિતની દૃષ્ટિએ જોઈએ તો ધિરાણનો ક્યાંક તો અંત આવે જ છે અને એ સમયે સમગ્ર અર્થતંત્રમાં ભંગાણ સર્જાઈ શકે છે. જો ધિરાણની વ્યવસ્થા કામ કરતી ન હોય તો કોઈ ચીજવસ્તુઓ પણ તૈયાર ન થાય. જ્યારે ધિરાણની માર્કેટ પડી ભાંગે છે, ત્યારે સમગ્ર અર્થતંત્ર બેસી જાય છે.  

સરકારોએ એટલું બધુ કરજ ભેગું કરી દીધું છે કે તેઓ વ્યાજના દર પણ વધારી શકે એમ નથી. જો તેઓ વ્યાજદર વધારે તો એમના કરજ પરનું વ્યાજ ચૂકવવામાં જ નાણા વપરાઈ જાય અને કરજ ચૂકવવાનું એમના માટે મુશ્કેલ બની જાય. હવે એવું લાગે છે કે તેઓ ફુગાવો વધે એવું ઈચ્છે છે. જેથી તેઓ એના પર થોડું નિયંત્રણ રાખી શકે અને સાથે સાથે કરજને પણ વધારી શકે. ફુગાવો એક પ્રકારનો છૂપો ટેક્સ હોય છે. ફુગાવા દ્વારા તથા બૅન્કોના ‘બેઇલ ઇન’દ્વારા તેઓ આપણા નાણા હજમ કરી રહ્યા છે. અહીં જોખમ એ વાતનું છે કે જો ફુગાવા પર કાબૂ રાખવામાં નિષ્ફળતા મળે અને જનતાનો વિશ્વાસ પણ ઊઠી જાય તો અતિશય ફુગાવાની સ્થિતિ સર્જાઈ શકે છે. વેનેઝુએલા અને ઝિમ્બાબ્વેનું ઉદાહરણ જુઓ. ત્યાં ચલણી નોટો શેરીમાં રઝળતી જોવા મળે છે.  બધુ નિયંત્રિત રાખવાની નીતિનો કઈ રીતે અમલ કરવામાં આવી શકે છે? તેના માટે અર્થતંત્રને ખતમ કરવામાં આવી શકે છે. જેથી કોઈ બિઝનેસ સ્વતંત્ર રહી શકે નહીં અને બધાએ સરકાર પર નિર્ભર રહેવું પડે.

ધિરાણની એવી સર્વાંગી સિસ્ટમ ઊભી કરવામાં આવે, જેને ધીરે ધીરે વધારી શકાય કે ઘટાડી શકાય. યુનિવર્સલ બેઝિક ઇન્કમ (UBI)નો કોન્સેપ્ટ છેલ્લાં થોડાં વર્ષોથી અમલમાં વિચારાધીન છે. મધ્યમથી ઓછા પગારવાળી 80 ટકા કરતાં વધુ નોકરીઓમાં વર્ષ 2030 સુધીમાં માણસોનું સ્થાન યંત્રો લઈ લેશે. મનુષ્યબળ હવે જરૂરિયાત કરતાં વધારે હોવાનું કહેવાઈ રહ્યું છે. વર્લ્ડ ઈકોનોમિક ફોરમ અનુસાર ચોથી ઔદ્યોગિક ક્રાંતિમાં આપણા શરીરને એટલાં વધુ અદ્યતન બનાવી દેવામાં આવશે કે આપણે કુદરતી અને કૃત્રિમ વચ્ચેનો ભેદ પારખી નહીં શકીએ. ભવિષ્યમાં માનવીઓ મહાશક્તિશાળી હશે. એ ખરેખર ભયાવહ સ્થિતિ હશે. એ લોકો સ્વચ્છ ઊર્જા, કાર્બન ઉત્સર્જન પર કરવેરો લાદવાની ચળવળ એ બધી બાબતોની હિમાયત કરે છે. એ ખરેખર તો યુજેનિક્સને અલગ રીતે અમલમાં લાવવાની વાત છે. તેઓ આપણને સલાહ આપે છે કે જો આપણે વધુ કરવેરા ભરીશું અને માંસ ખાવાનું બંધ કરીશું તો પૃથ્વીને થયેલું નુકસાન દૂર કરી શકાશે.

મધ્યમ અને મજૂર વર્ગના લોકોનો ખાતમો બોલાઈ જશે અને એમનું સ્થાન રોબોટ્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ટેક જાયન્ટ કંપનીઓ લઈ લેશે. એ વર્ગને માત્ર મૂળભૂત આવક આપવામાં આવશે. એ બધા માટે નાણા કોણ આપશે? દાવોસમાં IMF દ્વારા વહેતા કરાયેલા વિચાર મુજબ તમારી માલિકીની કોઈ વસ્તુ રહેવા નહીં દેવાય અને એમ છતાં તમે ખુશ રહો એવો પ્રયાસ કરવામાં આવશે. એમ કરતી વખતે તમારી ખાનગી મિલકતોને જપ્ત કરવામાં આવશે.

ધનના હસ્તાંતરણની દૃષ્ટિએ ઈતિહાસની આ સૌથી મોટી ઘટના હોઈ શકે છે. અબજોપતિઓએ આ કટોકટી દરમિયાન નાના ધંધાઓના ભોગે પોતાની સંપત્તિ 28 ટકા વધારી દીધી છે. શેરબજારો બનાવટી છે અને ચાલબાજીનું કામ છે. ચલણી નોટો છાપી-છાપીને તેને વધારવામાં આવે છે અને એક તબક્કે એ નિષ્ફળ જવાના છે. અબજોપતિઓનું જૂથ નક્કી કરે છે કે બાકીના બધા નાગરિકોએ કેવી રીતે જીવવું. દાવોસ ખરેખર તો ચૂંટાયા વગરના ખાનગી અબજોપતિઓના હિતનું રક્ષણ કરનારી સંસ્થા છે. જો આપણે ડિજિટલ કરન્સીનો સ્વીકાર કરી દઈશું તો આપણે આપણા હાથે પોતાની અંગતતા એમના હાથમાં સોંપી દીધા જેવી સ્થિતિ સર્જાશે.

સરકાર તરફથી આપવામાં આવતી સહાયને યુનિવર્સલ બેઝિક ઇન્કમની દિશામાં ભરાયેલું પગલું જ ગણજો. તમે ઘરે હોવા છતાં તમને પૈસા આપવામાં આવી રહ્યા છે. એ ખરેખર તો તમે બળવો પોકારો નહીં એ માટે તમારું મોં બંધ કરી દેનારો દટ્ટો છે! જો પાઉન્ડ, ડોલર વગેરે ચલણોની ખરીદશક્તિ ઘટી રહી હોય તો તમારે શું કામ એનો સંગ્રહ કરવો જોઈએ? આથી જ લોકો હવે ચાંદી, સોનું, જમીન અને પ્રોપર્ટી ખરીદવા લાગ્યા છે અને કરન્સીમાંથી ક્રિપ્ટોકરન્સી તરફ વળી રહ્યા છે. જેથી ફુગાવાનો સામનો કરી શકાય. ફુગાવો હવે સામે આવવા લાગ્યો છે. માલના પરિવહનનો ખર્ચ પણ ઘણો જ વધી ગયો છે. કોવિડને કારણે પુરવઠાતંત્ર (સપ્લાય ચેઇન) પર વિપરીત અસર થઈ છે.

ચીને કન્ટેનરોના કન્ટેનર ભરી દીધા અને તેને લીધે સમગ્ર તંત્ર ભાંગી પડ્યું. પરિણામે, દુકાનોમાં માલ ખૂટી ગયો. હવે જ્યારે દુકાનોમાં માલ લાવવામાં આવશે, ત્યારે એના ખર્ચનો બધો બોજ ગ્રાહકોના માથે લાદવામાં આવશે. તંત્ર ફરીથી બેઠું થઈ રહ્યું હોય એવા સમયે ચીજવસ્તુઓ જરૂર પડે ત્યારે લેવા નીકળવાને બદલે એ ભરીને રાખવાનું સમજદારીભર્યું પગલું ગણાશે. સોનું, ચાંદી વગેરે કીમતી ધાતુનો સંગ્રહ કરો, જેથી આગામી દિવસોમાં આવનારી ડિજિટલ સિસ્ટમમાં તમારી સ્વાયત્તતા ટકી રહે. હું નાણાકીય સલાહકાર નથી. હું તો એટલું જ કહીશ કે તમે જાતે આ બધી બાબતે અભ્યાસ કરો અને તમારા માટે સારું શું રહેશે એનો વિચાર કરો. સમસ્યા એ જ છે કે આપણા ફિયાટ ચલણો અને તેના આધારે ચાલતી બેન્કોનું તંત્ર પડી ભાંગવા લાગ્યું છે. અત્યાર સુધી હજારો ચલણ આવી ગયાં પરંતુ તેના આધાર તરીકે કોઈ ચીજ રાખવાની પદ્ધતિ હવે રહી નહીં હોવાથી બધા ચલણ નિષ્ફળ ગયા છે. આપણે આ હકીકત પ્રત્યે સભાન રહેવું જોઈએ. જેથી આપણે પોતાની સ્વતંત્રતા અને અંગતતાને છીનવી લેનારી સ્થિતિની સામે લડવા માટે સજ્જ રહી શકીએ.

Most Popular

To Top