Comments

પાંચ રાજ્યોની ચૂંટણી : ભાજપ વિ. કોંગ્રેસ

પાંચ રાજ્યોની ચૂંટણી જાહેર થઇ ગઈ છે. લોકસભાની ૨૦૨૪માં યોજાનારી ચૂંટણી પહેલાં આ રાજ્યોની ચૂંટણી બહુ મહત્ત્વની બનવાની છે કારણ કે, આ રાજ્યોમાં મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસ આમનેસામને છે. આ એનડીએ વિરુદ્ધ ‘ઇન્ડિયા’નો જંગ ઓછો છે, પણ આ રાજ્યોની ચૂંટણીનાં પરિણામો ૨૦૨૪નો એજંડા જરૂર સેટ કરી દેશે. રાજસ્થાન , મધ્યપ્રદેશ , છતીસગઢ , તેલન્ગણા અને મિઝોરમમાં આવતા મહિને ચૂંટણી થશે અને ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં પરિણામો આવી જશે. મિઝોરમ અને તેલંગણાને છોડતાં બાકીનાં ત્રણ રાજ્યોમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે.

રાજસ્થાનમાં કોઈ પક્ષની સરકાર બીજી વાર સત્તા પર આવતી નથી. તામિલનાડુ જેવું જ રાજસ્થાનમાં છે. ૨૦૧૮ની ચૂંટણીમાં કોંગ્રેસને ૯૯ અને ભાજપને ૭૩ બેઠકો આવી હતી અને કોંગ્રેસ બસપા અને અપક્ષોના સહારે સરકાર રચવામાં સફળ થઇ. પણ સચિન પાયલોટ અને ગેહલોત વચ્ચે મતભેદો થતાં સરકાર ટકશે કે નહિ એવી સ્થિતિ આવી પડી હતી પણ મધ્યપ્રદેશ જેવું રાજસ્થાનમાં થતાં થતાં રહી ગયું. આજે ય પાયલોટ અને ગેહલોટ વચ્ચે સાવ યુદ્ધવિરામ નથી થયું, પણ સ્થિતિ સાવ બગડી નથી. કોંગ્રેસ મોવડીમંડળ બંનેને સરખું મહત્ત્વ આપવાના પ્રયત્નો કરી સમતુલા જાળવે છે.

એમ તો ગેહલોતે કેટલીક લોકપ્રિય યોજના જાહેર કરી છે. એના સહારે કોંગ્રેસ આગળ વધવા માગે છે. સામે ભાજપમાં આંતરિક વિખવાદ હજુ ય જોવા મળી રહ્યો છે. વસુંધરા રાજેને મુખ્યમંત્રીનાં ઉમેદવાર જાહેર કર્યાં નથી અને કેન્દ્રીય મંત્રી અર્જુન મેઘવાલ અને અશ્વિની વૈષ્ણવને મેદાનમાં ઉતાર્યા છે. વસુંધરા નારાજ છે. આ કારણે ભાજપની સમસ્યા વધી છે. ભાજપનો દારોમદાર નરેન્દ્ર મોદી પર જ રહેવાનો છે. જો કે, રેડ ડાયરી મુદે્ ભાજપ ગેહલોત સરકાર પર ભ્રષ્ટાચારના આક્ષેપો કરે છે.

મધ્યપ્રદેશમાં ૨૦૧૮માં કોંગ્રેસને ૧૧૪ બેઠકો મળી હતી અને ભાજપને ૧૦૯. પણ એકાદ વર્ષમાં જ સરકાર ભાંગી પડી અને જ્યોતિરાદિત્ય સિંધિયા પક્ષ છોડી ભાજપમાં જોડાઈ ગયા અને શિવરાજસિંહ ફરી મુખ્યમંત્રી બન્યા. પણ ચાર વર્ષમાં ઘણું બધું બદલાયું છે. શિવરાજ સરકાર સામે લોકરોષ છે અને મોદીએ પણ એમને ફરી મુખ્યમંત્રી નહિ બનાવાય એવો ઈશારો કરી દીધો છે. પણ શિવરાજ આક્રમક બની લડી રહ્યા છે. ઘણી બધી લોકપ્રિય યોજનાઓ જાહેર કરી છે. બીજી બાજુ , અહીં કૈલાસ વિજયવર્ગીયને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે પણ એ ચૂંટણી લડવા ઈચ્છુક નહોતા. એમનાં નિવેદનોએ પણ વિવાદ જગાડ્યો છે અને સિંધિયા સાથે ભાજપમાં ગયેલાં ઘણાં બધાં લોકો પાછાં કોંગ્રેસમાં ફર્યાં છે. એટલે ભાજપ માટે અહીં સત્તા જાળવવાનો પડકાર છે. કોંગ્રેસમાં ય સમસ્યા નથી એમ નહિ. કમલનાથ અને દિગ્વિજય વચ્ચે મતભેદો છે. પણ આ વેળા કોંગ્રેસને ફાયદો થઇ શકે છે.

છતીસગઢમાં બે તબક્કામાં ચૂંટણી કરવાની જાહેરાત આશ્ચર્યજનક છે. અહીં ૨૦૧૮માં કોંગ્રેસે ૬૭ બેઠકો મેળવી સત્તા પ્રાપ્ત કરી. ભૂપેશ બધેલ દ્વારા ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ જાહેર કરવામાં આવી છે. પણ આંતરિક સમસ્યા અહીં પણ છે. ટી એસ સિંહ દેવને નાયબ મુખ્યમંત્રી બનાવાયા બાદ પણ અસંતોષ રહ્યો છે અને ભાજપ દ્વારા કોંગ્રેસ સરકાર સામે ૧૦૪ પાનાનું ભ્રષ્ટાચારનુ ચાર્જશીટ મુકાયું છે. ભાજપ દ્વારા પરિવર્તનયાત્રા પણ યોજાઈ છે. જો કે, ભાજપ ફરી રમણસિંહ પર ભરોસો મૂકવા માગતો નથી અને અહીં આપ અને હમાર રાજ નામે નાના પક્ષોની પણ હાજરી છે.

તેલંગણામાં ભાજપ સત્તાની રેસમાં નથી અને અહીં મુખ્ય જંગ બીઆરએસ અને કોંગ્રેસ વચ્ચે છે. ૨૦૧૮માં કે ચન્દ્રશેખર રાવ ૮૮ બેઠક સાથે સત્તા પર આવ્યા અને ત્યારે કોંગ્રેસને માત્ર ૧૯ બેઠક જ મળી હતી. બીઆરએસ હવે રાષ્ટ્રીય કક્ષાએ ભૂમિકા નિભાવવા માગે છે પણ સફળ થયો નથી અને બીજી બાજુ, રાહુલની ભારત જોડો યાત્રા દ્વારા આ પ્રદેશમાં સમર્થન મળ્યું છે એટલે કોંગ્રેસ અહીં આશાવાદી છે.મિઝોરમમાં મિઝો નેહ્સ્ન્લ ફ્રન્ટ સત્તા પર છે અને એનડીએનો ભાગ છે. ભાજપને તો અહીં ૨૦૧૮માં માત્ર એક બેઠક મળી હતી. મિઝો ૨૭ બેઠક સાથે સત્તા પર આવ્યો અને કોંગ્રેસને ૫ જ બેઠક મળી હતી. પણ અહીં ય કોંગ્રેસ આશાવાદી છે.

પાંચે ય રાજ્યોમાં ભાજપ હિન્દુત્વનો એજન્ડા રાખે એ સ્વાભાવિક છે. સાથે વિકાસનો મુદો્ પણ છે . પણ કોંગ્રેસ પાસે લોકકલ્યાણકારી યોજનાઓનો સહારો છે અને સાથોસાથ કોંગ્રેસે વચન આપ્યું છે કે, એ એમનાં રાજ્યોમાં જાતિગત વસ્તી ગણતરી કરાવશે અને કેટલાક સર્વે આવ્યા છે એમાં કોંગ્રેસને આ પાંચ રાજ્યોમાં ફાયદો થતો હોવાનું દર્શાવાય છે પણ સર્વે પર ભરોસો રાખી ના શકાય. એ સાચાં પડે જ એવી કોઈ ગેરેન્ટ નથી હોતી, પણ પાંચ રાજ્યોની ચૂંટણીનાં પરિણામો એ જરૂર દર્શાવશે કે, ૨૦૨૪માં શું થઇ શકે છે.

રેવડી સામે પ્રશ્નાર્થ

રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસ બંને દ્વારા નરેન્દ્ર મોદી જેને રેવડી કહે છે એવી જાહેરાતો જથ્થાબંધના ભાવે કરી છે. કોંગ્રેસે તેલંગણામાં પણ કરી છે. કર્નાટકમાં પાંચ વચનો આપેલાં એ સરકાર આવતાં જ કોંગ્રેસે પૂરાં કર્યાં છે પણ આવી યોજનાઓથી રાજ્યોની આર્થિક સ્થિતિ બગડે છે એ પણ વાસ્તવિકતા છે અને આ મુદે્ સુપ્રીમ કોર્ટે સવાલ કર્યા છે. સરકારો અને કેન્દ્ર સરકારને પણ નોટીસ આપી છે. ચૂંટણી પંચ દ્વારા આ વેળા બધા પક્ષો માટે આવી જાહેરાતોની વિગત માગી છે અને એ કઈ રીતે પૂરી કરી શકાશે એનો હિસાબ પણ માગ્યો છે પણ આ બધાથી રાજકીય પક્ષો આવી જાહેરાતોથી દૂર રહે એ વાતમાં માલ નથી. એમને સત્તા જોઈએ છે, રાજ્યની કે દેશની હાલત શું થાય એની એમને પડી નથી. એટલે આ કસરતનો કોઈ મતલબ નથી. હા, કોઈ કાયદો બને તો તો બાત બને.
કૌશિક મહેતા

Most Popular

To Top