National

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે ફ્લોર ટેસ્ટમાં પાસ, 164 ધારાસભ્યોએ સમર્થનમાં આપ્યો વોટ

મુંબઈ: મહારાષ્ટ્રના (Maharashtra) નવા સીએમ (CM) એકનાથ શિંદે (Eknath Shinde) અગ્નિ પરીક્ષામાંથી પસાર થઈ ગયા છે. તેમણે વિધાનસભામાં બહુમત પાસ કરી લીધું છે. તેમને 164 મત મળ્યા છે. આજે ફ્લોર ટેસ્ટમાં આશ્ચર્યજનક રીતે શિવસેનાના એક ધારાસભ્ય સંતોષ બાંગરે શિંદે સરકારના સમર્થનમાં મતદાન કર્યું હતું. ગઈકાલ સુધી સંતોષ ઉદ્ધવ ઠાકરેના જૂથમાં હતા પરંતુ સંતોષ બાંગરેએ આજે ઉદ્ધવનો સાથ છોડીને શિંદે જૂથમાં જોડાયા હતા. આ ઉપરાંત પીઝન્ટ્સ એન્ડ વર્કર્સ પાર્ટી ઓફ ઈન્ડિયાના શ્યામ સુંદર શિંદેએ પણ એકનાથ શિંદે સરકારની તરફેણમાં મતદાન કર્યું હતું. બીજી તરફ ફ્લોર ટેસ્ટ (Flor Test) પહેલા ઉદ્ધવ જૂથની મુશ્કેલીઓ વધી ગઈ હતી. શિવસેનાના (Shivsena) એક ધારાસભ્ય ગોગાવલેને મુખ્ય દંડક તરીકે માન્યતા આપવામાં આવી હતી. હવે તેમના પુત્ર આદિત્ય ઠાકરે સહિત ઉદ્ધવ જૂથના 16 ધારાસભ્યો પર શિંદે સરકારના સમર્થનમાં મત આપવાનું દબાણ છે. જો તેઓ આમ નહીં કરે તો તેમની સામે કાર્યવાહી થઈ શકે છે. આ અગાઉ મહારાષ્ટ્ર વિધાનસભામાં મતદાન દરમિયાન થોડો હંગામો થયો હતો. અહીં, જ્યારે ધારાસભ્ય પ્રતાપ સરનાયકે શિંદે સરકારના સમર્થનમાં મતદાન કર્યું, ત્યારે ઉદ્ધવ જૂથે ED-ED ના નારા લગાવ્યા હતા. નોંધનીય છે કે, શિંદે સરકારના સમર્થનમાં 164 વોટ મળ્યા છે. હાલમાં મહારાષ્ટ્ર સરકારમાં 287 ધારાસભ્ય છે અને સરકાર બનાવવા માટે 144 વોટની જરૂર હતી. વોટિંગ દરમિયાન કોંગ્રેસના અશોક ચૌહાણ સહિત 5 ધારાસભ્યો ગૃહમાં દેખાયા નહોતા.

શરદ પવારે કહ્યું, શિંદે સરકાર છ મહિનામાં પડી ભાંગશે
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારે રવિવારે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં મધ્યસત્ર ચૂંટણી સંભવ છે. કારણ કે એકનાથ શિંદેની આગેવાની હેઠળની સરકાર આગામી છ મહિનામાં પડી શકે છે. તેમણે રવિવારે સાંજે NCP ધારાસભ્યો અને પાર્ટીના અન્ય નેતાઓને સંબોધિત કરતી વખતે આ નિવેદન આપ્યું હતું. મંત્રી પદની વહેંચણી સાથે ધારાસભ્યોમાં વિભાજન થશે. શરદ પવારે કહ્યું કે શિંદેને સમર્થન આપતા ઘણા બળવાખોર ધારાસભ્યો વર્તમાન સિસ્ટમથી ખુશ નથી. એકવાર મંત્રીમંડળના વિભાગો વિભાજિત થઈ ગયા પછી તેમની અશાંતિ સામે આવશે, જે આખરે સરકારના પતનમાં પરિણમશે. ઘણા બળવાખોર ધારાસભ્યો તેમના પિતૃ પક્ષમાં પાછા ફરશે. પવારે એમ પણ કહ્યું કે આ પ્રયોગની નિષ્ફળતાને કારણે, ઘણા બળવાખોર ધારાસભ્યો તેમના પિતૃ પક્ષમાં પાછા ફરશે. તેમણે કહ્યું કે જો આપણા હાથમાં માત્ર છ મહિના છે તો એનસીપીના ધારાસભ્યોએ પોતપોતાના વિધાનસભા ક્ષેત્રમાં વધુ સમય પસાર કરવો જોઈએ.

Most Popular

To Top