Madhya Gujarat

ચોરીની ફરિયાદ માટે પોલીસ સ્ટેશને ધક્કો નહીં ખાવો પડે

આણંદ : આણંદ જિલ્લામાં નાગરિકોને આપવામાં આવતી ઓનલાઈન સેવામાં વધારો કરવા વાહન અને મોબાઈલ ચોરીની ઈ-એફઆઈઆરની સુવિધા ચાલુ કરવામાં આવી છે. જેના થકી નાગરીકો વાહન કે મોબાઈલ ચોરીના કિસ્સામાં સીટીઝન પોર્ટલ http://gujhome.gujarat.gov.in અથવા સીટીઝન ફર્સ્ટ મોબાઈલ એપ મારફતે ફરીયાદ કરી શકશે.
આણંદ જિલ્લાના લોકો ઘરે બેઠા મોબાઈલ અથવા વાહન ચોરીની ફરીયાદ કરી શકશે. આ સુવિધા ફક્ત તેવા સંજોગોમાં જ મેળવી શકાશે કે જેમાં આરોપી અજ્ઞાત હોય તથા ઘટના દરમિયાન બળનો ઉપયોગ ન થયો હોય કે ઈજા ન પહોંચી હોય. ચોક્કસ સમય મર્યાદામાં ઈ-એફઆરઆઈની પ્રાથમિક તપાસ પૂર્ણ કર્યા બાદ તેમાં તથ્ય જણાય તો તેવી ફરિયાદ એફઆઈઆરમાં રૂપાંતરિત કરવામાં આવશે.

ઈ – એફઆરઆઈ સુવિધાની કાર્યપ્રણાલી અંગે યાદીમાં જણાવાયું હતું કે, ફરિયાદીએ સીટીઝન પોર્ટલ પર રજીસ્ટર કરાવી વાહન કે ફોન ચોરી અંગે ફરિયાદ સંદર્ભેની વિગતો ભરી ઓનલાઈન અપલોડ કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરતા સમયે આપવામાં આવેલ અરજીની પ્રિન્ટઆઉટ પર ફરિયાદીની સહી કર્યા બાદ એ અરજીને સ્કેન કરીને અપલોડ કરવાની રહેશે. ફરિયાદીને મેલ અથવા એસએમએસથી ફરિયાદ અરજી મળ્યાની જાણ થશે. આ બનાવ સ્થળની વિગતમાં ફરિયાદી દ્વારા જે પોલીસ સ્ટેશનનું નામ લખવામાં આવ્યું હોય તે પોલીસ સ્ટેશનમાં ઈ-એફઆરઆઈ ફોરવર્ડ થશે.

જો પોલીસ સ્ટેશનનું નામ ન જણાવ્યું હોય તો જે-તે પોલીસ કમિશ્નર કે પોલીસ અધિક્ષકની કચેરીએ ઈ-એફઆરઆઈ ફોરવર્ડ થશે અને પોલીસ કમિશ્નર કે પોલીસ અધિક્ષકની કચેરી સંબંધિત પોલીસ સ્ટેશન ખાતે તાત્કાલિક ઈ-એફઆરઆઈ મોકલી આપશે. પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં અધિકારી ઈ-ગુજકોપના યુઝર આઈ.ડી.થી લોગ-ઈન કરીને પોર્ટલ વર્કલીસ્ટમાં ઈ-એફઆરઆઈ જોઇ શકશે અને કોઇ પણ સંજોગોમાં 24 કલાકની સમયમર્યાદામાં તપાસ અર્થે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં અધિકારી મોકલવાની રહેશે.

ઈ-એફઆરઆઈ મળ્યા બાદ કેવી રીતે કામ કરશે?
આ પ્રકારની ઈ-એફઆરઆઈ મળતાં તપાસ અધિકારીને સૌપ્રથમ જરૂરી અભ્યાસ કરશે અને અપલોડ થયાના ૪૮ કલાકની સમયમર્યાદામાં ફરિયાદીનો સંપર્ક કરી સંબંધિત દસ્તાવેજોની ખરાઇ કરશે તેમજ વાહન કે મોબાઇલ ફોન ચોરીના બનાવ સ્થળની મુલાકાત લેશે. આ સમગ્ર પ્રક્રિયા ઈ-એફઆરઆઈ અપલોડ થયાના ૪૮ કલાકમાં પૂર્ણ કરીને આ અંગેનો પ્રાથમિક તપાસ અહેવાલ થાણા ઇન્ચાર્જને મોકલી આપશે. બાદમાં થાણા અધિકારી આ અહેવાલ મળ્યાના 24 કલાકની સમયમર્યાદામાં ઈ-એફઆરઆઈનો યોગ્ય નિકાલ કરશે. ઈ-એફઆરઆઈની વિગત સાચી હોય તો ઇ-ગુજકોપમાં એફઆરઆઈ દાખલ કરશે. જો બનાવની જગ્યા પોતાના પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્રમાં ન આવતી હોય તો તે એફઆરઆઈ સંબંધિત પોલીસ સ્ટેશનને મોકલી આપવામાં આવશે. ઈ-એફઆરઆઈ માં ખોટા દસ્તાવેજ હોય અને ખોટી વિગત હોય તો અરજી દફતરે કરવામાં આવશે.

Most Popular

To Top