Gujarat

‘માટી બચાવો’ સેવ સોઇલ એમ.ઓ.યુ કરનારૂં દેશનું પ્રથમ રાજ્ય ગુજરાત બન્યું

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઇશા ફાઉન્ડેશનના સંસ્થાપક આધ્યાત્મિક ગુરૂ સદગુરૂ જગ્ગી વાસુદેવની ઉપસ્થિતિમાં રાજ્ય સરકારના કલાયમેટ ચેન્જ વિભાગ અને ઇશા આઉટરિચ વચ્ચે કલાયમેટ એક્શન-જમીન સંરક્ષણ અંતર્ગત ‘માટી બચાવો’ ‘સેવ સોઇલ’ માટેના MOU અમદાવાદમાં કરવામાં આવ્યા હતા. માટીને રણમાં ફેરવવાથી અટકાવવા, ક્ષાર પ્રવેશ નિયંત્રિત કરવા અને વૃક્ષારોપણ તથા ચેરનાં વૃક્ષોના આવરણ થકી હરિયાળું આવરણ-ગ્રીન કવર વધારવા જેવી બાબતોનો તેમાં સમાવેશ થાય છે.

માટી બચાવોના આ અભિયાન માટે વિશ્વવ્યાપી જાગૃતિ કેળવવા ઇશા ફાઉન્ડેશનના સ્થાપક જગ્ગી સદગુરૂ ૧૦૦ દિવસીય ૩૦ હજાર કિલોમીટરની બાઇક યાત્રા પર નીકળ્યા છે. સમગ્ર યુરોપ, મધ્ય એશિયા અને મધ્ય પૂર્વ વિસ્તારોમાં તેમણે માટી બચાવવાના તાત્કાલિક નીતિગત ફેરફારો માટે સરકારોને સજાગ કરવાના ઉદેશ્ય સાથે આ યાત્રા આરંભી છે.

સદગુરૂ જગ્ગી વાસુદેવ આ યાત્રા અંતર્ગત ગુજરાતમાં છે અને ‘માટી બચાવો’ અંગેના MOU થવા અવસરે ઉપસ્થિત રહ્યા હતા. સેવ સોઇલ’ માટી બચાવોની વૈશ્વિક ચળવળમાં આ MOUની અભિનવ પહેલ દ્વારા સહયોગ આપનારૂં દેશનું પ્રથમ રાજ્ય ગુજરાત બન્યું છે. વિશ્વમાં ઉપજાઉ માટીની ગુણવત્તા ચિંતાજનક સ્તરે નીચે જઇ રહી છે તેની સામે જનજાગૃતિ કેળવવા આ માટી બચાવો અભિયાન ઇશા ફાઉન્ડેશને હાથ ધર્યુ છે, મનુષ્યના આરોગ્ય અને અન્ય જીવોના સ્વાસ્થ્ય માટે જમીનની માટીની ગુણવત્તાની મોટી અગત્યતા છે તે માટે પણ જમીનની ફળદ્રુપતા જાળવવાની સૌની સામુહિક જવાબદારી છે તે માટે આ અભિયાન જન-જનમાં ‘માટી બચાવવા માટેનું એક મોટું જન આંદોલન બની શકે તેમ છે. એટલું જ નહિ, પૃથ્વી પર જીવસૃષ્ટિનું અસ્તિત્વ ટકાવી રાખવામાં જમીન અને માટીની મહત્વપૂર્ણ ભૂમિકા છે. માટીમાં રહેલા અનેક સૂક્ષ્મ પોષક તત્વો કૃષિ પાકોની ગુણવત્તા માટે ખૂબ જરૂરી છે.

આ સંદર્ભમાં ગુજરાતે ખેડૂતોના ખેતરની માટીના સ્વાસ્થ્ય અને ગુણવત્તા માટે ર૦૦૩-૦૪ થી ‘સોઇલ હેલ્થ કાર્ડ’ની દૂરંદેશી પહેલ વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતના મુખ્યમંત્રી પદ કાળ દરમ્યાનથી કરેલી છે. માટીમાં રહેલા પોષક દ્રવ્યોની માપણી માટેની ૧૧પ જેટલી સોઇલ હેલ્થ લેબોરેટરી પણ કાર્યરત છે. પ્રધાનમંત્રીના દિશાદર્શનમાં હવે આ સોઇલ હેલ્થકાર્ડની યોજના દેશભરમાં અમલી બનાવાઇ છે.

દેશ અને દુનિયામાં રસાયણોના ઉપયોગ અને પ્રદૂષણ તેમજ કલાયમેટ ચેન્જની અસરોના કારણે માટીની ફળદ્રુપતા ઘટતી જાય છે. કૃષિ પાકોમાં પણ તેના પરિણામે રસ-કસ ઘટી ગયા છે. એક અનુમાન મુજબ વિશ્વની ર૪ ટકા માટી રણમાં ફેરવાઇ ગઇ છે. સંયુકત રાષ્ટ્ર એ એવી ચેતવણી પણ આપી છે કે આ જ દરે માટી લુપ્ત થતી રહેશે તો ર૦પ૦ એટલે કે આવનારા ૩ દાયકા સુધીમાં ૯૦ ટકા પૃથ્વી રણમાં ફેરવાઇ જઇ શકે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના કલાયમેટ ચેન્જ વિભાગે ઇશા ફાઉન્ડેશનના ઇશા આઉટરિચ સાથે કરેલા આ માટી બચાવો-”સેવ સોઇલ” MOU વડાપ્રધાનએ આપેલા બેક ટુ બેઝિક અને પ્રાકૃતિક ખેતીના વિચારને સાકાર કરવામાં દેશભરમાં ગુજરાતની આગવી પહેલ બન્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે ક્હ્યું હતું કે સદગુરુએ શરૂ કરેલા આ અભિયાનમાં ગુજરાત અગ્રિમ રહી યોગદાન આપી શકવા શું વધુ કરી શકે તે દિશામાં પણ આવનારા દિવસોમાં સક્રિયતાપૂર્વક આગળ વધીશું.
.

Most Popular

To Top